રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ હેઠળ ૧૦૦ દિવસની ખાસ ઝુંબેશ
જામનગરઃ વરવાળા ટી.બી. સેનેટોરિયમ સંચાલિત શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલના આયુર્વેદાચાર્ય વૈદ્ય ડી.પી. મહેતાએ ક્ષયરોગ અંગે જાણકારી સાથે તેને મટાડવાના ઉપાયો અંગે કેટલીક ગાઈડલાઈન આપી છે.
ક્ષય (ટી.બી.)ના રોગને આયુર્વેદમાં 'રાજયક્ષ્મા' કહે છે. આયુર્વેદના ચરકસંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય વગેરે ગ્રંથોમાં આ રોગ અંગે રસપ્રદ વર્ણન જોવા મળે છે. આ રોગનું આક્રમણ માનવ શરીરના કોઈપણ અંગ પર થઈ શકે છે. પરંતુ ભારતમાં મુખ્યત્વે ફેફસાનો ટી.બી.નો રોગ જ થાય છે. વડાપ્રધાને પણ ટી.બી. નાબુદીનું આહ્વાન કર્યું છે.
નશો, ધુમ્રપાન કે તમાકુના વ્યાપક સેવન જેવા જુદા જુદા વ્યસનો, માદક દ્રવ્યોનું વધુ પડતું કે નિયમિત સેવન, હવા-ઉજાસ વિનાનું બંધિયાર અને ગંદકીભર્યું રહેઠાણ, ગીચ વસવાટ, વધારે પડતું કામ, અપૂરતો ખોરાક, નબળું પોષણ, શ્વાસમાં જતાં ધૂળ, ધુમાડો, માનસિક ચિંતા જેવા વિવિધ કારણોથી આરોગ્ય કથળતા રોગ પ્રતિકારક શકિત ઘટવાના કારણે આ રોગ સહેલાઈથી શરીરમાં પ્રવેશી જાય છે. ક્ષય (ટી.બી.)નો રોગ ચેપી છે તેથી સાવચેતી રાખવી જરૂરી છે. ક્ષય રોગમાં શંકાસ્પદ દર્દીઓના ગળાની તપાસ, એકસ-રે, લોહીનું, ગળફાનું પરીક્ષણ વગેરે પદ્ધતિથી ક્ષય રોગનું નિદાન થાય છે. ક્ષયના દર્દીને ક્ષય રોગ વિશે સંપૂર્ણ જાણકારી આપવી જરૂરી છે. તેમને દરરોજ નિયમિત દવાઓ ખાસ કાળજી રાખીને આપવી ખૂબ જ જરૂરી છે. દવાનો કોર્ષ પૂરેપૂરો અને સતત લેવો અનિવાર્ય હોય છે. ક્ષયના દર્દીના પરિવારે પણ ક્ષય અંગેનું પરીક્ષણ સાવચેતી ખાતર કરાવી લેવું જોઈએ.
લાંબા સમયથી આવતો તાવ, ઉધરસ, ગળફા, કયારેક ગળફા સાથે લોહી નીકળવું કે લોહીની ઉલ્ટી થવી, શરીરનું સુકાવું, શરીરનો ઘસારો, વજનનો ઘટાડો, ખૂબ જ અશકિત, હાંફ ચડવી વગેરે પ્રાથમિક લક્ષણો ટી.બી. હોવાની શકયતા દર્શાવે છે. નિયમિત તબીબી તપાસ, વહેલી સવારનો સૂર્યપ્રકાશ, સ્વચ્છ હવાનું વિધિપૂર્વક સેવન, સંયમી જીવન, પૌષ્ટિક ખોરાકનું સેવન તથા નિયમિત દવાનો કોર્ષ પૂરેપૂરો કરવાથી ક્ષય સદંતર મટી શકે છે. ટી.બી.ના નિદાનમાં વિલંબ ન થવો જોઈએ. વહેલું નિદાન અને નિયમિત ઉપચાર ટી.બી.ના દર્દીને ટી.બી.માંથી રોગમુકત કરી શકે છે. કેન્દ્ર સરકાર-રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી આ રોગ અંગેના અપાતા સૂચનો કે માર્ગદર્શનનું પાલન કરવું હિતાવહ છે. આ અભિયાનમાં જન ભાગીદારી આવશ્કય છે.
વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટી.બી. મુકત બનાવવના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ નિર્ધારને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને આપણો દેશ, શહેર, જિલ્લાને ક્ષય (ટી.બી.) મુકત કરવાના સહિયારા પ્રયાસોમાં સક્રિય યોગદાન આપીને ૧૦૦ દિવસની ટી.બી. નિર્મૂલન ઝુંબેશને વેગવાન બનાવીએ, તે અત્યંત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial