Sensex

વિગતવાર સમાચાર

જામનગર જિલ્લાના બેડ અને સોયલ ટોલનાકા પર ટોલ ટેકસ ચૂકવવો ફરજિયાત

બાયપાસ જેવી સગવડ આપનાર સામે તવાઈ કયારે ?

જામનગર તા. ૧: જામનગર જિલ્લાના સોયલ અને બેડ ગામના ટોલટેક્સ પ્લાઝા પરથી પસાર થતા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જો કે, આ પ્રકારના જાહેરનામાની અસરો કેટલી થાય છે, તે અંગે ચર્ચા થઈ રહી છે.

ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગાંધીનગર અને એલ.એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલવે લિમિટેડ વચ્ચે રાજકોટ-જામનગર- વાડીનાર રોડ ચારમાર્ગી બનાવવા અંગે કેન્દ્ર સરકારની વાયેબીલીટી ગેપ ફંડિગ યોજના હેઠળ એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે. જે મુજબ નિયત કરેલા વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

જે પૈકી, જામનગર જિલ્લામાં જામનગર તાલુકાના બેડ ગામ તથા ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે ટોલ પ્લાઝા આવેલા છે. ઉપરોક્ત ટોલ પ્લાઝાની આજુબાજુના ગામોના લોકો કોમર્શીયલ વાહનો પણ ધરાવે છે. આવા વાહન ધારકો સરકારના જાહેરનામાનો અમલના કરીને નિયત ટોલ ચાર્જની ચુકવણી કરતા નહી હોવાના બનાવો બનેલા છે.

તેમજ, ગુનેગારો ગુનાના સ્થળેથી અન્ય જિલ્લા તેમજ રાજય બહાર પણ નાસી જતા હોય છે. જિલ્લાના ટોલનાકાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. પરંતુ, કેટલાક લોકો ટોલ પ્લાઝાના નજીકમાં આવેલી તેમની જમીનમાં થઈને વાહનોને ટોલગેઈટમાંથી પસાર થવું ન પડે તે રીતે બાયપાસ થવાની સવલત પૂરી પાડે છે.

તેથી આવા બનાવો નિવારી શકાય તે હેતુથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલા ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્સ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલપ્લાઝાની નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા રાજ્ય સરકારે નક્કી કરેલો ટોલ ટેક્ષની ચુકવણી બાદ તેની પહોંચ મેળવી લેવી. જો નિયમાનુસાર મુક્તિ મળવા પાત્ર હોય, તો તે અંગેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી, એજન્ટ કે નોકરને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવું.

આ ટોલનાકાઓ નજીક આવેલી જમીનના માલિકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાના બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઈ પસાર થઈ શકે તેવો કોઈપણ બાયપાસ પ્રકારનો રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાઓથી જે વાહનોને ટોલટેકસ ચુકવવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોય, તો તેવા વાહનચાલકોને આ જાહેરનામાની જોગવાઈ લાગુ પડશે નહી.આ જાહેરનામુ આગામી તા.૨૬-૦૫-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

જો કે, આ પ્રકારના જાહેરનામાની અસરો કેટલી થાય છે, અને ગેરકાનૂની પ્રવૃતિ કેમ અટકતી નથી, તે અંગે પણ તરેહ-તરેહની ચર્ચા થતી હોય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial