
જામનગર અને હાલાર સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને બંગાળની ખાડી પરની સિસ્ટમનો ડિપ્રેશનમાં ફેરવાઈને રસ્તો બદલતા સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ આજથી ત્રણ દિવસ દરમ્યાન પડી શકે છે, તેવી આગાહીઓ થઈ છે, તો બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં સતત અતિવૃષ્ટિ અને પૂર પછી જળપ્રલયના દૃશ્યો સર્જાયા છે અને લેન્ડ સ્લાઈડ તથા વાદળ ફાટવાના કારણે તબાહી મચી ગઈ છે.
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર પણ આજથી શરૂ થયું છે, અને આજે પ્રશ્નોત્તરીકાળ પછી વિધાનસભામાં દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પહેલેથી જાહેર કરાયો હતો. આ ટૂંકા સત્ર દરમ્યાન રાજ્ય સરકાર કેટલાક વિધેયકો રજૂ કરશે. આ દરમ્યાન વિપક્ષો પણ કેટલાક મુદ્દાઓ ઉઠાવશે તેથી સત્ર હંગામેદાર બનશે, તેમ જણાય છે. વિધાનસભાના ગલીયારાઓ સુધી જામજોધપુરના ધારાસભ્યની પદયાત્રા પડઘાઈ છે અને પોલીસે મામલતદાર કચેરીને તાળાબંધી કરવા દીધી નહીં અને કાર્યકરોની અટકાયત કરી, તે પછી આમઆદમી પાર્ટી દ્વારા આ મુદ્દો રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ જોરશોરથી ઉઠાવશે, તે નક્કી છે.
ગઈ રાતે દસેક વાગ્યાના સુમારે શરૂ થયેલું ચંદ્રગ્રહણ મધ્યરાત્રિ પછી દોઢેક વાગ્યા સુધી ચાલ્યું અને પરોઢીયે તેનો સુતક કાળ સમાપ્ત થયો. દેશભરમાં જ્યાં વાદળછવાયુ વાતાવરણ હતું, તે સિવાય આ ચંદ્રગ્રહણ (બ્લડમૂન) નો નજારો લોકોએ નિહાળ્યો અને દેશભરમાં ન્યુઝ ચેનલોના માધ્યમથી આ નજારો જોવા મળ્યો, જેથી કેટલીક તસવીરો આજે અખબારોમાં પણ પ્રસિદ્ધ થઈ છે. બીજી તરફ અનંત ચતૂર્થી સાથે ગણેશોત્સવ ધામધૂમથી સંપન્ન થયો, અને કર્ણાટક સહિત કેટલાક સ્થળે કેટલીક દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની, તે સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવ અને ઈદેમિલાદના તહેવારો ખૂબજ ધામધૂમથી સંપન્ન થયા અને ઘણાં સ્થળે કોમી એકતા અને ભાઈચારાના પ્રેરક દૃશ્યો પણ ખડા થયા.
ગણેશોત્સવ પછી હવે શ્રાદ્ધના દિવસો શરૂ થયા છે અને જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી પરંપરાઓ અને રીતિ-રિવાજો મુજબ શ્રાદ્ધકારો દ્વારા માતૃ-પિતૃ તર્પણ સાથે જીવદયા, દાનપુણ્ય અને માનવતાલક્ષી સેવાકાર્યો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રાજકીય ક્ષેત્રે પણ નવી હલચલ અને અટકળો જોતા થોડા દિવસોમાં કાંઈકને કાંઈક નવાજૂની થશે, તેમ મનાઈ રહ્યું છે.
ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક રાષ્ટ્રીય કક્ષાએ નવા ભાજપ પ્રમુખની પાછળ અટવાઈ ગઈ હોય તેમ જણાય છે. જ્યારે ગુજરાતમાં નવા પ્રદેશ ભાજપ પ્રમુખની સંભવિત નિયુક્તિની સાથે સાથે પ્રદેશ ભાજપની આખેઆખી ટીમ બદલાઈ જાય, તેવી અટકળો થઈ રહી છે, એટલું જ નહીં, ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ મોટા ઉલટફેર થનાર હોવાની અટકળો ગઈકાલથી જ ચાલી રહી છે. કેટલાક રાજ્યોમાં ભાજપે આખેઆખું મંત્રીમંડળ બદલવા સફળ પ્રયોગો કર્યા હોવાથી તથા ગુજરાતમાં આનંદીબેન પટેલ પછી સ્વ. વિજયભાઈ રૂપાણી અને તેઓના પુરોગામી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની અચાનક નિમણૂક થઈ હતી, તેને ધ્યાને લઈને મંત્રીમંડળનું સ્વરૂપ જ બદલાઈ જશે, તેવી અટકળોની આંધી ઉઠતા એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં વર્ષ - ૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વર્તમાન ભાજપ સરકાર સામેની એન્ટી ઈન્ક્મ્બન્સી દૂર કરીને નવો જનલક્ષી આભાસ ઊભો કરવાની રણનીતિ ભાજપનું હાઈકમાન્ડ અપનાવશે, તેવું પણ જણાય છે. જોઈએ, હવે શું થાય છે...
આ તરફ આમઆદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના વધુ વર્ચસ્વવાળા કેટલાક વિસ્તારોમાં નવેસરથી પાર્ટીનું માળખુ ઊભું કરવાના પ્રયાસો શરૂ કર્યા છે, તો કોંગ્રેસ પણ વોટ ચોરીના મુદ્દે "વોટ ચોર, ગાદી છોડ" ના સુત્રો ગજવવાની સાથે સાથે ભાજપના અસંતુષ્ટ દિગ્ગજ તેનાઓ તથા ભાજપમાં ગયા પછી હાંસિયામાં ધકેલાવેલા જૂના પીઢ કોંગ્રેસી નેતાઓને હવા આપીને ભાજપ સામે નવો પડકાર ઊભો કરી રહી છે, તે જોતા ભાજપ માટે રાજ્યમાં વર્ષ-૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે છે, તેવી પ્રચંડ બહુમતી મેળવવી અઘરી થઈ જશે, તેમ જણાય છે.
વિપક્ષના કેટલાક નેતાઓ જ નહીં, પરંતુ ભાજપમાં રહેલા અસંતુષ્ટો પણ એવો આશાવાદ સેવી રહ્યા હશે કે આ વખતે ભાજપના વળતા પાણી થશે અને ત્રણેક દાયકાથી ગુજરાતમાં સ્થપાયેલું ભારતીય જનતા પક્ષનું શાસન સમાપ્ત થશે, જ્યારે કેટલાક વિશ્લેષકો પણ એવું તારણ કાઢવા લાગ્યા છે કે વર્ષ-૨૦૨૭માં કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી જોરદાર ટક્કર આપશે અને ગુજરાત વિધાનસભામાં ભાજપને સાદી બહુમતી મેળવવાના પણ ફાંફા પડી જશે. આ આશાવાદી હાંસી ઉડાવતા ભાજપના નેતા-પ્રવક્તાઓ તેને "મુંગેરીલાલ કે હસીન સપને" ગણાવે ત્યારે તટસ્થ રાજકીય પંડિતો એવી સલાહ આપે છે કે ભાજપે વર્ષ-૨૦૨૭ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં અતિશય આત્મવિશ્વાસમાં રહેવા જેવું નથી. અંતિમ નિર્ણય મતદારોએ કરવાનો છે, જોઈએ હવે શું થાય છે તે...
આ વર્ષે થયેલા ભારે વરસાદ અને ઠેર-ઠેર થયેલા જલભરાવના કારણે ઊભી થયેલી હાલાકીઓના કારણે માત્ર ગ્રામ્ય વિસ્તારો નહીં, પણ હવે શહેરીજનોનો શાસન પ્રશાસન પ્રત્યેનો જનાક્રોશ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં શાસક પક્ષોને નડવાનો છે, અને ગુજરાતમાં તો નગરો-મહાનગરોમાં "મિત્રો" ની મદદ કરવા માટે આડેધડ અપાયેલી મંજુરીઓથી ખડકાયેલા બાંધકામોએ ઘણાં સ્થળે કુદરતી જલપ્રવાહો અટકાવ્યા છે અને નદી-તળાવ-ઝરણાંઓના પ્રવાહો બદલાઈ જાય કે નવા બાંધકામો તણાઈ જાય અથવા ઘરો જળમગ્ન થઈ જાય, તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેની નારાજગી પણ ચૂંટણીઓમાં પડઘાશે, તેમ મનાય છે, જોઈએ...હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial