Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

એસઆઈઆરની પ્રક્રિયામાં બીએલઓના ભથ્થા વધ્યા, અને ફોર્મ ભરવાની મુદ્દત તો વધી પણ...?!

                                                                                                                                                                                                      

એસઆઈઆરમાં ફોર્મ્સ ભરવાની મુદ્દત એક અઠવાડિયું લંબાવાઈ છે, પરંતુ સમજવા જેવી વાત એ છે કે જે આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે, તે માત્ર ફોર્મ વિતરણની ટકાવારી દર્શાવાઈ રહી છે, અને હજુ પૂરેપૂરા ફોર્ર્મ્સ પહોંચાડી શકાયા નથી, ત્યારે માત્ર આઠ દિવસમાં પૂરેપૂરા ફોર્મ્સ વેરીફિકેશન સાથે ભરાઈ જ જશે તેવું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી, હકીકતે અત્યારે જે આંકડા ફોર્મ વિતરણના જાહેર કરાયા છે તે ફોર્મ્સ પહોંચાડી દેવાના જણાય છે. ફોર્મ્સ ભરીને પાછા આવી ગયા હોય તે રિસિવીંગની ટકાવારી તથા તેની "સિસ્ટમ" માં ડેટા એન્ટ્રી કેટલી થઈ છે, તેની વાસ્તવિક ટકાવારીના આધારે જ આ સંપૂર્ણ કાર્યવાહીનો પ્રથમ તબક્કો પૂરો થયો ગણાય, તેથી ખરેખર એક અઠવાડિયું નહીં, પરંતુ એક મહિના માટે આ મુદ્દત વધારાય, તો પણ માંડ લક્ષિત પ્રથમ તબક્કો પૂર્ણ થાય તેમ હોવાના તારણો આ પ્રકારની કામગીરીના અનુભવીઓ કાઢી રહ્યા છે, અને તે પછી વાંધા-સૂચનો તથા નોટિસ પીરિયડ પણ એક મહિનાની મર્યાદામાં પૂરો નહીં થાય, કારણ કે અત્યારે જે રીતે ફોર્મ ભરાઈ રહ્યા છે તે જોતાં ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી મોટી સંખ્યામાં અન્યત્ર રહેવા ગયેલા, કામચલાઉ સ્થળાંતર ગયેલા, લગ્ન પછી સાસરે ગયેલી દીકરીઓ, અભ્યાર્થીઓ ને કામ-ધંધા-નોકરી-મજુરી માટે અન્યત્ર ગયેલા મતદારો, તંત્રની ભૂલથી ખોટા સરનામે ચૂંટણીકાર્ડ નીકળ્યા હોય તેવા વગર વાંકે હેરાન થતા મતદારો, ભાડેથી રહેતા હોય અને વર્તમાન મતદારયાદી તૈયાર થયા પછી અન્યત્ર રહેવા ગયેલા મતદારો, કોઈ કારણે નામ-સરનામા અપડેટ કર્યા પછી નામ-સરનામું બદલી ગયું હોય, તેવા મતદાર યાદી તૈયર પછી પરણેલી દીકરીઓ, જેનું સાસરિયામાં ગયા બાદ સરનેમ-નામ-સરનામું બદલી જતું હોય છે અને પિતાની જગ્યાએ પતિનું નામ લાગી જતું હોય છે, તેવા તાજેતરના કિસ્સાઓ, આપણે ત્યાં નામની પાછળ ભાઈ, લાલ, કુમાર, રાય જેવા શબ્દો લગાડાય છે, તેમાં મામુલી ફેરફાર હોઈ વર્ષ ૨૦૦૨-૦૩ની મતદાર યાદી સાથે સુસંગત ન હોય અને 'સિસ્ટમ' કાઢી નાખતી હોય, તેવા ઘણાં બધા મતદારો પોતાના નામ ડ્રાફટ યાદીમાં નહીં મળે, ત્યારે વાંધો લેવાના જ છે અને રાજકીય પક્ષો પણ આ વખતે ડ્રાફટ યાદી બિલોરી કાચ લઈને જોવા બેસવાના છે, (જે જરૂરી પણ છે). તો બીજી તરફ પોતપોતાના મતવિસ્તારોમાં જનપ્રતિનિધિઓ પણ ડ્રાફટ યાદીમાં મતદારોના નામ ન હોય, તો તેની કમ્પલેઈન કરવા માટે ગલી-મહોલ્લા-વોર્ડ અને ગામ વાર સહાય કેન્દ્રો, હેલ્થ સેન્ટરો ઊભા કરવાની તૈયારીમાં હોવાના સંકેતો પણ મળી રહ્યા છે, જેથી પાછળથી હોબાળા થાય, આક્રોશ થાય અને બીએલઓની વિટંબણાઓ વધે તેના કરતા અત્યારે જ આ તમામ સંભાવનાઓ ઉકેલીને જ ડ્રાફટ યાદી બહાર પડે, તે માટે કમ-સે-કમ ચાર અઠવાડિયાની પ્રથમ તબક્કાની મુદ્દત જ વધારી દેવી જોઈએ, તેવો અભિપ્રાય આ પ્રકારની કામગીરીના અનુભવી તથા રાજકીય ક્ષેત્રના નિષ્ણાતો, અનુભવીઓ અને વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે, જે અવગણવા જેવો નથી જણાતો.

ચૂંટણીપંચે બીએલઓના પ્રોત્સાહક ભથ્થામાં વધારો કરીને સારૃં કામ કર્યું છે, આ વખતે જે વર્કલોડ છે, તે અભૂતપૂર્વ છે અને વસતિ, વિસ્તાર તથા મતદારોની સંખ્યામાં થયેલ વધારા ઉપરાંત ઓનલાઈન એન્ટ્રી-ડેટા કલેકશનની કામગીરીને જોતા તો બીએલઓ ડબલ પગાર  તથા તેના મદદનીશો દોઢા પગારના હક્કદાર હોવાની ટકોર પણ સંભળાવા લાગી છે.

જો કે, કેટલાક બીએલઓએ ઉત્કૃષ્ટ કામ કર્યું છે, અને તેને બીરદાવાઈ રહ્યા છે, પરંતુ દરરોજ કોઈને કોઈ બીએલઓ કામના ભારણ કે ડિપ્રેશનમાં બીમાર પડી જતાં હોવા કે આત્મહત્યા અથવા તેવો પ્રયાસ કરવાની બની રહેલી ઘટનાઓને પણ અવગણી શકાય તેમ નથી, અને એ દૃષ્ટિએ પણ પ્રથમ તબક્કો ચાર અઠવાડિયા માટે લંબાવવામાં ચૂંટણીપંચને કોઈ વાંધો તો નહીં જ હોય...

જો કે, ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે અને ૧૨ પૈકી કેટલાક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓની સંભાવનાઓ હોય, તો તેને સુસંગત રહીને આ કામગીરી આટોપી લેવી પડે તેમ હોવાની તર્કબદ્ધ દલીલો પણ છે, પરંતુ કોઈના જીવના જોખમે અને મતદારોના અધિકારો છીનવાઈ જવાથી લેશમાત્ર પણ સંભાવના રહી જાય, તેવી રીતે ઉતાવળ કરવાના બદલે યોજાનારી ચૂંટણીઓ જરૂર પડયે થોડી ઘણી પાછળ ઠેલીને પણ આ એસઆઈઆરની કામગીરી એક પણ યોગ્ય મતદાર વંચિત ન રહી જાય, તેવી રીતે જ સંપન્ન થવી જોઈએ.

આ માટે મુદ્દત લંબાવવી પડે તો લંબાવ્યા કરવી જોઈએ, કારણ કે આપણાં દેશમાં તો સંસદની મુદ્દત પણ એક વર્ષ માટે લંબાવી શકાઈ હોવાના બંધારણીય દૃષ્ટાંતો છે, તેથી રાજકીય એન્ગલ નહીં પણ બંધારણીય એન્ગલથી મતદારોના હિતમાં જ નિર્ણયો લેવાય તે જરૂરી છે, અને એ પ્રકારની સ્થાપિત સત્તાઓ તો ચૂંટણીપંચ પાસે હશે જ ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial