
કવિવર રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતાનો મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો, તે કવિતાના શબ્દો છે...
તારી જો હાક સુણીને કોઈ ના આવે રે,
તો એકલો જા ને રે...એકલો જા ને રે...
આ કવિતાની પ્રત્યેક પંક્તિમાં એક મજબૂત સંદેશ છૂપાયેલો છે. અને જ્યારે બધા લોકો મોઢું ફેરવી જાય કે વિપરીત સંજોગો ઊભા થાય ત્યારે, એકલા જ આગળ વધવાની પ્રેરણા અપાઈ રહી છે. આવી જ એક કવિતા ગોળમેજી પરિષદમાં લંડન જતા ગાંધીજી માટે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીએ "છેલ્લો કટોરો" શીર્ષકથી લખી હતી.
ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખેલી કવિતાના શબ્દો છે...
છેલ્લો કટોરો ઝેરનો, પી જજો બાપુ !
સાગર પીનારા, અંજલિ નવ ઢોળજો બાપુ !
અણખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન મારૃં,
ધૂર્તો-દગાબાજો થકી પડિયું પનારૃં,
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સુનારૂ,
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !
આ બંને કવિતાઓનો સંદર્ભ હાલના રાજકીય રંગમંચના ઘટનાક્રમોને આબેહૂબ લાગુ પડે છે. વર્ષ ૨૦૨૪માં ભાજપને પહેલાની બે લોકસભાની ચૂંટણીઓ કરતા ઓછી બેઠકો મળી હોવા છતાં એનડીએ ગઠબંધનની સરકારનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સરકાર પછીના દસ વર્ષ પછીની સ્થિતિમાં નવા નામકરણ સાથે વિપક્ષોનું "ઈન્ડિયા" ગઠબંધન રચાયું છે, જે હાલનું મજબૂત વિપક્ષી ગઠબંધન ગણાય છે.
વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતાપક્ષની પીછેહઠ પછી પણ સાથીદાર પક્ષોના ટેકાથી મોદી સરકાર ચાલી રહી છે, ત્યારે વિપક્ષો માટે એકજૂથ થઈને ભાજપને વધુ પડકાર આપવાની તક હતી, પરંતુ કેટલાક રાજ્યોમાં ભાજપને જનાદેશ મળ્યો, તો અન્ય કેટલાક રાજ્યોની વિધાનસભાઓમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકારોના સથવારે ભાજપે ડેમેજ કંટ્રોલ કરી લીધુ છે અને કેટલાક રાજ્યોમાં, ઉભયપક્ષે તોડફોડ પછી સત્તા પરિવર્તનો થયા છે, તો બીજી તરફ કોંગ્રેસ બદલાયેલી રાજકીય સ્થિતિનો લાભ લઈ શકી નથી. છેલ્લે બિહારમાં તો વિપક્ષોના સુપડા સાફ થઈ ગયા, અને નીતિશકુમારના નેતૃત્વમાં ત્યાં ફરીથી એનડીએની સરકર તોતીંગ બહુમતીથી રચાઈ, અને કોંગ્રેસને સિંગલ ડિજિટમાં બેઠકો મળી, તે પછી હવે કોંગ્રેસે કદાચ "એકલો જા ને રે..."કવિતાની જેમ એકલા જ ચૂંટણીઓના મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હોય અને છેલ્લો ઝેરનો કટોરો પી લેવાની ગાંધીબાપુને ઉદૃેશીને લખાયેલી કવિતા મુજબ ધૂર્ત અને ધોખેબાજો સાથે લડવા માટે કાંઈક અલગ જ રણનીતિ ઘડીને કોંગ્રેસે મક્કમતાથી એકલા હાથે રાજકીય પડકારો ઝીલવાનું નક્કી કર્યું હોય, તેવા સંકેતો મળી રહ્યા છે, અને કોંગ્રેસે દિલ્હીમાં એસઆઈઆર વિરોધી રેલીમાં અન્ય પક્ષોને બોલાવ્યા જ નથી.
બિહાર અને તે પહેલાની ચૂંટણીઓના અનુભવે એ સમજાયું છે કે જો કોંગ્રેસે એકલા હાથે ચૂંટણીઓ લડી હોત તો અત્યારે જે બેઠકો મળી રહી છે, તેના કરતા તો વધુ બેઠકો મળી જ હોત. કોંગ્રેસ જો એકલા હાથે ચૂંટણી લડે, તો સૌથી જૂની અને સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન રચાયેલી કોંગ્રેસ પાર્ટીના કમિટેડ મતો વહેંચાઈ ન જાય, અને સાથીદાર પક્ષોના વિરોધી જનમતનો ભોગ પણ કોંગ્રેસને બનવું ન પડે...
વિપક્ષોના ગઠબંધનમાં કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ હોવા છતાં બેઠકોની વહેંંચણી સમયે ઓછી બેઠકો મળે, તેમાં પણ કોંગ્રેસના કમિટેડ મતો તથા ભાજપ-એનડીએ વિરોધી જનમત રહેતો હોય, તેવી બેઠકો સાથીદાર પક્ષોને ફાળે જાય, ચૂંટણી પ્રચાર દરમ્યાન પ્રાદેશિક પક્ષોનો પ્રચાર પણ કોંગ્રેસે કરવો પડે, ત્યારે પ્રાદેશિક પક્ષો શાસિત રાજ્યોમાં ત્યાંની એન્ટી ઈન્કમ્બન્સીનો ભોગ કોંગ્રેસને પણ બનવું પડે, અને સૌથી વધુ મહત્ત્વનું એ પણ છે કે ગઠબંધન ધર્મ નિભાવીને કોંગ્રેસને ફાળે આવેલી બેઠકો પર સાથીદાર પક્ષોના કાર્યકરોએ કોંગ્રેસનો પ્રચાર કરવો જોઈએ અને પ્રાદેશિક પક્ષોના કમિટેડ મતો કોંગ્રેસને ટ્રાન્સફર થવા જોઈએ, તેવું થવાના બદલે મતો વહેંચાઈ (કે વેચાઈ) જાય, તેથી એકંદરે હવે ગઠબંધન રચીને ચૂંટણી લડવી, એ કોંગ્રેસ માટે ખોટનો સોદો બની રહ્યું હોવાના તારણો આંતરિક સર્વે તથા તટસ્થ વિશ્લેષકો દ્વારા નીકળી રહ્યા હોવાનું કહેવાય છે.
બીજી તરફ કોંગ્રેસના કમિટેડ મતો ગઠબંધનના સાથીદાર પક્ષોને ટ્રાન્સફર થતા ગઠબંધનના અન્ય પક્ષો મજબૂત બનતા જાય, અને કોંગ્રેસ નબળી પડતી જાય, તેવો ઘાટ સર્જાતા કોંગ્રેસ પણ "આપ" ની જેમ "એકલો જા ને રે..."ની નીતિ અપનાવવા જઈ રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. કેટલાક ચોક્કસ વિસ્તારો કે બેઠકો પર ગઠબંધનમાં રહીને લડવાથી કોંગ્રેસને ફાયદો પણ થઈ શકે, પરંતુ એકંદરે કોંગ્રેસના ભોગે અન્ય પક્ષો વધુ શક્તિશાળી બનતા જાય, અને કોંગ્રેસ દિવસે દિવસે નબળી પડતી જાય, તેના કરતા કોંગ્રેસ મોટેભાગે એકલા હાથે ચૂંટણી લડે, તો સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટીની શાખ પણ જળવાઈ રહે અને ભાજપ-એનડીએ સામેની એન્ટી ઈન્કમ્બન્સીનો મહત્તમ ફાયદો કોંગ્રેસને મળી શકે, તેવું ગણિત મંડાયું હોય તેમ જણાય છે.
કોંગ્રેસમાં ભૂતકાળમાં પણ ઘણી વખત પડકારો ઊભા થયા હતા અને ભાગલા પડતા રહ્યા હતા. અત્યારે ભાજપ, શિવસેના, સમાજવાદી, સામ્યવાદી અને ડાબેરી પક્ષો, મુસ્લિમ લીગ, ઓવૈસીની પાર્ટી જેવા કેટલાક રાજકીય પક્ષો સિવાયના મોટા ભાગના રાજકીય પક્ષો ભૂતકાળમાં વિખરાયેલી કોંગ્રેસમાંથી જ સ્થપાયા છે. વર્ષ ૧૯૬૯, ૧૯૭૫, ૧૯૮૯, ૧૯૯૫ અને ૧૯૯૯માં કોંગ્રેસને ઝટકો આપીને ઘણાં કદાવર નેતાઓએ કાં તો અન્ય રાજકીય પક્ષ બનાવ્યો, અથવા તો અન્ય પક્ષમાં પક્ષાંતર કર્યું, અને જે તે સમયે કોંગ્રેસ નબળી પડી ગઈ. કેટલીક વખત તો કોંગ્રેસના અસ્તિત્વનો સવાલ ઊભો થાય, તેવા ઘટનાક્રમો પણ સર્જાયા, પરંતુ ધીમે ધીમે આપબળે લડીને કોંગ્રેસ પુનઃ ઊભી થતી રહી. એકવીસમી સદીના પ્રારંભે કેન્દ્રમાંથી ભાજપના નેતૃત્વમાં રચાયેલી એનડીએની સરકારને હટાવવા કોંગ્રેસે યુપીએ ગઠબંધનનું નેતૃત્વ કર્યું અને દસ વર્ષ શાસન પણ કર્યું, પરંતુ તે પછી મોદી યુગ આવ્યો અને છેલ્લા દાયકામાં કોંગ્રેસ ધીમે ધીમે ઘસાતી જ રહી, જ્યારે યુપીએના સાથીદાર પક્ષોનું જોર વધતું રહ્યું. એકવીસમી સદીના પ્રારંભે કોંગ્રેસ પાસે જે રાજ્યો હતા, તે પણ ધીમે ધીમે સરકવા લાગ્યા. તેથી બિહારની ચૂંટણી પછી કોંગ્રેસે હવે "એકલા હાથે" તમામ ચૂંટણીઓ લડવાનો નિર્ણય લીધો હોય, તો તે સાચી દિશાનું કદમ હોવાના પ્રતિભાવો અને અભિપ્રાયો સામે આવી રહ્યા છે.
બીજી તરફ ભાજપ અને એનડીએને અંકુશમાં રાખવા કે મહાત કરવા એકજૂથ થવું પડે, તો પણ ગઠબંધનોમાં જોડાવાના બદલે પ્રદેશવાર તથા બેઠકવાર વિચારણા કરીને બેઠકોની વહેંચણી કરી શકાય, તેવો વિકલ્પ પણ ખુલ્લો રહે છે. ટૂંકમાં આ પ્રયોગ ટૂંકા ગાળા કે એકાદ ચૂંટણી પૂરતો મર્યાદિત નહીં, પણ લાંબા ગાળા માટે કરવો જોઈએ, તેવું તારણ નીકળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial