
ગાઢ ધૂમ્મસના કારણે ગઈકાલે ભારત-દ. આફ્રિકા વચ્ચેની ટી-ર૦ ક્રિકેટ મેચ રદ્ કરવી પડી અને મેદાન પર મોજુદ હજારો પ્રેક્ષકો સહિત કરોડો ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હશે, પરંતુ આ મેચ પડતી મૂકવાનું કારણ તથા તેની બુનિયાદમાં હવાઈ પ્રદૂષણ કારણભૂત હતું, તેની ચર્ચા ઓછી થઈ રહી છે. ખરેખર તો દેશની રાજધાની દિલ્હીમાં જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું હોય અને વ્યાપક હવાઈ પ્રદૂષણ હવે દિલ્હી, પંજાબ, હરિયાણાથી આગળ વધીને પડોશના રાજ્યોમાં ફેલાઈ રહ્યું હોય તો તે ગંભીર ચિંતાની વાત જ ગણાય.
ગઈકાલે સમીસાંજે શરૂ થનારી લખનૌની ક્રિકેટ મેચ મોડી રાત સુધી શરૂ થઈ નહીં, અને અમ્પાયરોએ છ-છ વખત નિરીક્ષણ કર્યા પછી મેચ પડતી મૂકવાનો અંતિમ નિર્ણય લેવો પડ્યો હોય તો તે ખેલકૂદથી લઈને હવાઈ શુદ્ધતા, પર્યાવરણ અને જાહેર આરોગ્યને લઈને પણ ખૂબ જ ચિંતાજનક ગણાય, અને તેને કેજ્યુલી (હળવાશથી) અવગણી શકાય નહીં. ઉત્તર ભારતના રાજ્યોમાં ધૂમ્મસની કુદરતી સમસ્યા તથા હવાઈ પ્રદૂષણ જેવા કૃત્રિમ કારણોથી ઊભી થતી સમસ્યાઓ વચ્ચેની પાતળી ભેદરેખા સમજવી પડે તેમ છે. એક દૃષ્ટિએ હાલના ધૂમ્મસની મહત્તમ સમસ્યા માનવસર્જિત જ હોય છે, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય.
જો કે, ધૂમ્મસના કારણે આ પહેલા પણ ક્રિકેટ મેચમાં ખલેલ પહોંચી હોય તેવી ઘટનાઓ બની છે, અને છેલ્લે કદાચ મધર્મશાળામાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ અટકી પડી હતી, પરંતુ થોડા સમયના અવરોધ પછી મેચ શરૂ થઈ શકી હતી અને તેનું પરિણામ પણ આવ્યું હતું, જ્યારે ગઈકાલે એટલું ગાઢ ધૂમ્મસ છવાયું હતું કે છેવટે મેચ જ રદ્ કરવી પડી, અને તે કારણે જ ધૂમ્મસના કુદરતી અને કૃત્રિમ કારણો તથા તેના નિવારણની જરૂર, લોકોની લાપરવાહી, તંત્રોના તિક્કડમ્ અને રાજનેતાઓની રાજરમતની પણ ચર્ચા થવા લાગી છે, અને તે બધાના મૂળમાં હવાઈ પ્રદૂષણ છે અને હવાઈ પ્રદૂષણના મૂળમાં રહેલા કારણોમાં મહત્તમ જેની ચર્ચા થાય છે તે ખેતરોમાં સામૂહિક રીતે સળગાવી નંખાતી પરાલીને સૌથી મોટું કારણ માનવામાં આવે છે.
ગઈકાલે લખનૌમાં હાર્દિક પંડ્યા માસ્ક પહેરેલો જોવા મળ્યો, તેવી જ રીતે વર્ષ ર૦૧૭ માં ભારત-શ્રીલંકા વચ્ચેની ટેસ્ટમેચના બીજા દિવસે શ્રીલંકાના ખેલાડીઓ ફિલ્ડીંગ કરતી વખતે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતાં. તેનું કારણ પ્રદૂષણ જ હતું. તે સમયે તો શ્રીલંકાના કેટલાક ખેલાડીઓને શ્વાસ લેવામાં પડી રહેલી તકલીફના કારણે ઉલટી થતા લગભગ અડધો કલાક સુધી રમત અટકાવી પડી હતી. તે પછી વર્ષ ર૦ર૩ માં પણ દિલ્હીમાં વર્લ્ડકપની શ્રીલંકા-બાંગલાદેશની પ્રેક્ટીસ મેચો કેન્સલ થઈ હતી. તે ઉપરાંત મેચોના સ્થળાંતર પણ થયા હતાં. ભારત-વેસ્ટઈન્ડિઝ ટેસ્ટ મેચ એક મહિનો વહેલી રમવી પડી હોય કે ભારત-દ. આફ્રિકા વચ્ચેની ટેસ્ટમેચ દિલ્હીના બદલે ગૌહાટીમાં રમાડવી પડી હોય, તે ફેરફારોના મૂળમાં દિલ્હીનું પ્રદૂષણ જ જવાબદાર હતું.
આજે પણ એર ક્વોલિટી ઈન્ડેક્ષ ૧૯૯ બતાવતો હોવાથી લખનૌમાં હવાઈ પ્રદૂષણનું સ્તર ગંભીર કેટેગરીમાં આવે છે. યુ.પી.ના શહેરોમાં આજની સ્થિતિમાં સવારે એક્યુઆઈની માત્રા ર૧૪ થી ૪૦૧ વચ્ચે હતી તથા પીએમ-ર.પ અને પીએમ-૧૦ નું સ્તર ઘણું જ ઊંચુ હતું. આવી સ્થિતિમાં એન-૯પ માસ્ક પહેરવા તથા ઘરના બારી-દરવાજા બંધ રાખવાની એડવાઈઝરી અપાતી હોય, તેવામાં ખુલ્લા મેદાનમાં ક્રિકેટ કેવી રીતે રમી શકાય? ઘણાં લોકોએ પ્રશ્ન ઊઠાવ્યો છે કે બીસીસીઆઈ ટાઈમ-ટેબલ નક્કી કરતી વખતે આ બધા સિઝનલ સેક્ટર ધ્યાને નહીંં લેતી હોય? અત્યારે ઉત્તરપ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં ભાજપની સરકાર છે, અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર છે, ત્યારે હવાઈ પ્રદૂષણના નિયંત્રણ માટે સંકલિત કદમ કેમ ઊઠાવાઈ રહ્યા નથી? દિલ્હીમાં ભૂતકાળમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી, ત્યારે કેજરીવાલ હવાઈ પ્રદૂષણ માટે પંજાબના ખેડૂતોને પરાલી રોકવા તે સમયની પંજાબની કોંગ્રેસ સરકાર કાંઈ કરી રહી નહીં હોવાના સવાલો ઊઠાવતા હતાં, જ્યારે આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યારે ત્યાંના મુખ્યમંત્રી ભગતસિંહ માન કેમ કાંઈ કરી રહ્યા નથી? તેવા સવાલો ઊઠે તે સ્વાભાવિક છે.
હવે દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે દિલ્હીની ભાજપ સરકાર પર તડાપીટ બોલાવી છે, અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ચમચીઓથી થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીની ભાજપ સરકારને ઉદ્દેશીને કટાક્ષમય રીતે 'પ્રદૂષણના સંદર્ભે 'પોલ્યુશન તુઝે જાના હોગા'ની નારેબાજી કરી હતી.
આમ આદમી પાર્ટીએ દિલ્હીના પ્રદૂષણ સામે નિદ્રાધીન દિલ્હીની રેખા ગુપ્તા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં અને એક્યુઆઈ કેન્દ્રોમાં ગરબડ-ગોટાળા ચાલી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતાં. સૌરભ ભારદ્વાજે સણસણતો સવાલ કર્યો હતો કે રાજ્યમંત્રી મનજિંદરસિંહ સિરસા કૃત્રિમ વરસાદ કરાવવાના હતાં, તેનું શું થયું?
દિલ્હી સરકાર હવાઈ પ્રદૂષણ નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ ગઈ હોવાથી હવાઈ પ્રદૂષણના ઊંચા સૂચકાંકોને નીચા દેખાડીને જનતા અને અદાલતો સાથે પણ દગાબાજી કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ તેમણે કર્યા છે.
ભારદ્વાજે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ હવાઈ પ્રદૂષણને લઈને કહ્યું છે કે, દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો હોવાના દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ હકીકતે હવાઈ પ્રદૂષણ સાયલન્ટ કીલર બનીને નરસંહાર કરી રહ્યું છે, અને સરકાર આંકડાઓ સાથે રમત રમી રહી છે.
હકીકતે હવાઈ પ્રદૂષણની દિલ્હીની સરકારને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટીની સરકારે પરસ્પર દોષારોપણ કરીને જનતા સાથે રમત રમી રહી છે. સત્તાધારી પાર્ટી બદલાઈ જાય છે, ત્યારે સૂર બદલાઈ જાય છે. લખનૌમાં હવાઈ પ્રદુષણે એક ક્રિકેટ મેચ રદ્ કરાવી તો ઘણી બધી ચર્ચા થઈ, જ્યારે દિલ્હીના હવાઈ પ્રદુષણની કાયમી સમસ્યા નિવારવા પાર્ટીલાઈન તથા વોટબેંકની રાજનીતિ, વાહવાહી કરાવવાની આદત અને લીંબડજશ ખાટવાની માનસિક્તા છોડીને તમામ પક્ષો સહિયારા પ્રયાસો કરે, તે જ સમયની માંગ છે, અને જનતાની અપેક્ષા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial