
વર્ષ ર૦રપ નું વર્ષ પૂરૃં થયું અને વર્ષ ર૦ર૬ નો પ્રારંભ, તેના સંદર્ભે જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને વિવિધ દેશોમાં જુદી જુદી રીતે ઉજવણી પણ થઈ છે. નવા વર્ષને વધાવવા લોકતાંત્રિક દેશોમાં પણ ભિન્ન-ભિન્ન પદ્ધતિથી કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, અને કોઈપણ ઉજવણીની કોઈ ચોક્કસ પૃષ્ઠભૂમિ પણ હોય છે. ઘણાં દેશોમાં દિવાળી પણ ઉજવાય છે અને નાતાન પણ ઉજવાય છે, તો વિચારધારાઓ વચ્ચેના ટકરાવ અને મૂળભૂત રીતે રાજનૈતિક ઉદ્દેશ્યથી ઊભા થતા અથવા કરાતા વિવાદો પણ ચર્ચાની કોરાણે ચડતા હોય છે. આમ છતાં આપણી મૂળભૂત પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ અને સચવાઈ રહી છે, તે પણ હકીકત છે.
નવા વર્ષે કેટલાક દેશોના વડાઓએ કરેલા નિવેદનો તથા અપનાવાયેલા વલણોની ચર્ચા પણ થવી જ જોઈએ. ચીનના સરમુખત્યાર બની બેઠેલા રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમના દેશવાસીઓને ઉદ્દેશીને રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું અને તેમાં જે કાંઈ કહ્યું, તેનાથી તાઈવાન તમતમી ઊઠ્યું હશે અને ભારતના ભવાં ખેંચાયા હશે, કારણ કે નવા વર્ષની સ્વાભાવિક રીતે અપાતી શુભકામનાઓ સાથે સકારાત્મક, શાંતિ અને સુલેહનો સંદેશ આપવાના બદલે જીનપિંગે ઘમંડ, પડકાર અને સામ્રાજ્યવાદી માનસિક્તા પ્રગટ કરી છે અને તેના આ પ્રવચનના કારણે તેના (ચીનના) ખોળે બેઠેલા વિદ્રોહી બાંગલાદેશને પણ ઝટકો લાગવો જોઈતો હતો. આ પ્રવચન ગઈકાલથી ગ્લોબલ ચર્ચાનો વિષય બન્યો છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કરેલા આ સંબોધનમાં કહ્યું છે કે, તાઈવાનનું ચીનમાં એકીકરણ કોઈ અટકાવી શકે તેમ નથી. તાઈવાન જલ સંધિની બન્ને બાજુએ રહેનારા ચીનના લોકોને રાહત અને બંધુત્વના અતૂટ બંધનથી જોડાયેલા છે અને તેઓનું જોડાણ અમારી માતૃભૂમિની મહેચ્છા છે, તેથી તાઈવાનને ચીનમાં સામેલ થતું કોઈ રોકી શકે તેમ નથી.
એક તરફ શી જિનપિંગ આ પ્રકારની ફાંકેબાજી કરી રહ્યા છે, તો બીજી તરફ ચીનની સેના તાઈવાન નજીક યુદ્ધવિમાનો, જહાજો અને ડ્રોન્સ સાથે જબરદસ્ત યુદ્વાભ્યાસ કરી રહી છે. એવું કહેવાય છે કે, છેલ્લા ચાર વર્ષનો આ સૌથી વ્યાપક અને મોટો યુદ્ધાભ્યાસ છે. ચીન એક વર્ષમાં બબ્બે વખત યુદ્ધાભ્યાસ કરીને શક્તિ પ્રદર્શન કરતુંહોય છે. આવું આ પહેલા પણ ચીન પાંચ-છ વખત કરી ચૂક્યું છે.
ચીનના રાષ્ટ્રપતિનો આ રાષ્ટ્રજોગ સંદેશ તાઈવાન સામે એક ચેલેન્જ પણ છે અને તાકીદ પણ છે. ચીનના રાષ્ટ્રપતિની આ ભાષા નવા વર્ષના સંદેશમાં વપરાઈ છે, તે ઘણું જ સૂચક છે અને તેમાંથી જ સામ્રાજ્યવાદી માનસિક્તા અથવા ચીનની પરંપરાગત પોલિસીની ગંધ આવે છે. આ સંદેશના સમાચારો વહેતા થયા પછી તાઈવાન તમતમી ઊઠ્યું હશે, અને તેના પ્રત્યાઘાતો કદાચ અમેરિકામાં પણ પડઘાશે, તે નક્કી મનાય છે.
તિબ્બેટની જેમ જ ભારતને પણ ચીને ગર્ભિત ચેલેન્જ કરી હોય અને અરૂણાચલનું નામ લીધા વગર તાઈવાનની સાથે જ સૂચિત મહત્ત્વાકાંક્ષી ડેમનો ઉલ્લેખ કરીને જિનપિંગે ભારત-બાંગલાદેશની ચિંતાઓને ફગાવી દઈને એક કાંકરે અનેક પંખી માર્યા હોય તેમ જણાય છે.
આપણે જેને બ્રહ્મપુત્રા નદી તરીકે ઓળખીએ છીએ, તેને ચીનમાં ત્સાંગ વો તરીકે ઓળખવામાં આવે છે. આ નદી પર બંધાનારા વિવાદાસ્પદ ડેમનો ઉલ્લેખ કરતા જિનપિંગે કહ્યું કે વિશ્વનો આ સૌથી મોટો બંધ (ડેમ) પણ બનીને જ રહેશે. તેમણે કહ્યું કે, આ ૧૭૦ અબજ ડોલરનો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ છે, જે કોઈપણ કાળે અટકી શકે તેમ નથી, અને નિર્માણ પામીને જ રહેશે.
આ સંદેશ ભારત માટે તો જીવન-મરણનો સવાલ છે, અને સીધો સંકળાયેલો અરૂણાચલનો મુદ્દો પણ તેમાં સમાવી લેવામાં આવ્યો હોય તેમ જણાય છે. ચીને અરૂણાચલની નજીકમાં બ્રહ્મપુત્રા નદી પર ડેમ બાંધવાનો જે મેગા પ્રોજેક્ટ હાથ ધરવાના જે સંકેતો આપ્યા છે, તે ભારત અને બાંગલાદેશ માટે ખતરાની ઘંટડી નહીં, પરંતુ ઝળુંબતા જોખમનો ઘંટનાદ છે, અને તેને કોઈપણ દૃષ્ટિએ તદ્ન હળવાશથી લઈ શકાય તેમ નથી.
ભારતની અરૂણાચલ સરહદો બંધાનારો આ સૂચિત ડેમ ભારત અને બાંગલાદેશને મળતો બ્રહ્મપુત્રા પાણીનો વિપુલ જળરાશિ અટકાવી દેશે અને તે કારણે ભારત અને બાંગલાદેશએ બન્ને દેશોની ડેમોગ્રાફી તો બદલી જ જશે, પરંતુ ખેતી, રોજગાર અને જનજીવનને જબરદસ્ત ફટકો પડશે. એટલું જ નહીં, આર્થિક, વ્યાપારિક અને વિકાસ પ્રક્રિયાની દૃષ્ટિએ પણ બન્ને દેશોને વ્યાપાક માઠી અસર પહોંચાડશે.
જો બ્રહ્મપુત્રા નદી પર સૂચિત બંધ બંધાઈ જાય, તો ભારતના પૂર્વિય પ્રદેશો અને બાંગલાદેશમાં તારાજી સર્જાવાની એવી એક ચાવી ચીન પાસે હશે, જે ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડીને ભારત અને બાંગલાદેશને નુક્સાન પહોંચાડી શકે છે. ખાસ કરીને પૂર્વોત્તર ભારત પર જળપ્રલયનો ખતરો કાયમી ધોરણે ઝળુંબતો રહેશે.
જો ચીન સૂચિત ડેમમાંથી જાણી જોઈને કોઈ ચોક્કસ અને વ્યુહાત્મકઢબે પાણી છોડે, તો તેથી આવેલા પ્રચંડ પૂરથી ભારત અને બાંગલાદેશમાં ધોવાણ થઈ જાય તથા વિનાશ વેરાય, તે ઉપરાંત આ મુદ્દો એક પ્રેસર ટેકનિક કે બ્લેક મેઈલીંગનું હથિયાર પણ બની જાય, તેથી ભારતે આ મુદ્દે ફૂંકી ફૂંકીને કદમ માંડવા જેવું છે. અમેરિકાના બદલેલા વલણ પછી એક તરફ જિનપિંગ અને પુતિન ચીન-રશિયા-ઈન્ડિયાનું ગઠબંધન રચીને મહાસત્તાને પડકારવાના અભરખા રાખતા હોય અને બીજી તરફ જિનપિંગ અરૂણાચલ પાસે બ્રહ્મપુત્રા નદી પર (ભારતના પ્રચંડ વિરોધ છતાં) ડેમ બાંધવાનો હૂકાર ભરતા હોય, તો વર્ષ ૧૯૬૦ ના દાયકાના અનુભવોને મમળાવીને ભારતે ચીનનો જરાય ભરોસો કરવો જ નહીં જોઈએ, તેવો જનમત પણ યથાર્થ છે.
વૈશ્વિક આંકલન સંસ્થા ફોર્બસ ઈન્ડોર્નેટે જાહેર કરેલા અહેવાલ મુજબ ચીન ગમે ત્યારે તાઈવાન પર હુમલો કરી શકે છે, અને તેની જાણ અમેરિકાને પણ હોવાથી તાઈવાનને ટ્રમ્પ હવા ભરી રહ્યા છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ઈઝરાયલ-હમાસની શાંતિ સમજુતિ માત્ર કાગળ પર છે અને અમેરિકા ગાઝા પર કબજો જમાવવા તત્પર છે.
આ રિપોર્ટમાં એવી સંભાવના પણ વ્યક્ત થઈ છે કે, પાકિસ્તાનની પ્રજા મોંઘવારી અને અરાજક્તાની સ્થિતિથી ત્રસ્ત છે, અને શાહબાઝ સરકાર પ્રજાનું ધ્યાન બીજી બાજુ વાળવા કોઈપણ બહાને ભારત સાથે યુદ્ધ છેડી શકે છે. આ રિપોર્ટમાં ચીન અને પાકિસ્તાનને ભારત સાથે સાંકળીને જે ગર્ભિત ઉલ્લેખો કર્યા છે, તે ચિંતાજનક છે. આ રિપોર્ટમાં વેનેઝુએલા, રશિયા-યુક્રેન સુદાન, યુગાન્ડા, ઈઝરાયલ-હમાઝ તથા ચીન-અમેરિકા વચ્ચેનું કોલ્ડવોર વગેરેને સાંકળીને ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ પણ જણાવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial