
દુનિયા કી રોનક ઐસી હી રહેગી, અફસોસ... હમ નહીં હોંગે
દિવાળીના તહેવારો પૂરા થાય, ત્યારે નવું વર્ષ આવે છે, અને નાતાલના તહેવારો પૂરા થાય, ત્યારે પણ નવું વર્ષ આવે છે. તે ઉપરાંત એપ્રિલ મહિનામાં નાણાકીય નવું વર્ષ બેસે છે. વિશ્વના જુદા જુદા કેલેન્ડરો, ધર્મ-સંપ્રદાયો તથા પરંપરાઓ મુજબ વર્ષના અલગ-અલગ દિવસે જુદા જુદા નવા વર્ષોની શરૂઆત થતી હોય છે, તેથી એવું કહી શકાય કે જિંદગીના જેટલાવર્ષો વિત્યા હોય, તેટલા નૂતન વર્ષો વીતી ચૂક્યા છે. તેથી જ ઘણાં લોકો કહેતા હોય છે કે, તેમને ઘણી દિવાળી જોઈ છે...
નવું વર્ષ નવી ઉમ્મીદો લઈને આવે છે અને યાદો આપીને પૂરૃં થાય છે. વર્ષો વિતતા જાય છે અને જિંદગી ઘણું બધું શિખવતી જાય છે. વિતેલા વર્ષના અનુભવોના આધારે નવા વર્ષના આયોજનો ઘડાતા હોય છે, અને આયોજનોના આધારે જિંદગી આગળ વધતી રહે છે. આ સાયકલ જ્યાં સુધી માનવીના શ્વાસ ચાલતા રહે છે, હૃદય ધબકતું રહે છે અને દિમાગ કામ કરતું રહે છે, ત્યાં સુધી ચાલતી રહે છે. માનવીની જિંદગી થંભી જાય છે પણ પ્રકૃતિની લીલા થંભતી જ નથી. તેથી જ એક ડાયલોગ પ્રચલિત થયો છે, જેમાં કહેવાયું હતું કે, 'દુનિયા કી રોનક તો ઐસી રહેગી, પર અફસોસ... હમ નહીં હોંગે...'
એક હિન્દી ફિલ્મના ગીતમાં ગવાયું છે કે, 'જિંદગી એક સફર હૈ સુહાના... યહાં કલ ક્યા હો... કિસને જાના?'
જિંદગી ખરેખર અદ્ભુત છે... દરરોજ દુઃખદાયી દૃશ્યો પણ સામે આવતા રહે છે, અને ખુશખુશાલ જીવન જીવતા લોકોના દૃષ્ટાંતો પણ સામે આવતા રહે છે. ખરેખર સુખ અને દુઃખ જીવનની ઘટમાળ જ છે અને આપણે તેને જ જિંદગી કહીયે છીએ. દરેક માનવીની આ જિંદગી કુદરતની અલમોલ ભેટ છે, અને માનવજીવન જ નહીં, સમગ્ર પ્રકૃતિ રહસ્યમય છે. બંગબેરંગી, રોમાંચક અને રમણીય પ્રકૃતિના સુક્ષ્મથી માંડીને વિરાટકાય જીવો અને તેની શારીરિક રચનાઓ એટલી બધી શુદ્ધ છે કે કોઈ કવિ બોલી ઊઠ્યા હતાં કે, યે દુનિયા ઈતની ખૂબસૂરત હૈ, તો ઈસે બનાને વાલા કિતના સુંદર હોગા?
ઘણી વખત એવું લાગે છે કે, આ જિંદગી તો ખરેખર એક પૂર્વનિર્ધારિત નાટક જ છે, જેના આપણે બધા જુદા જુદા પાત્રો છીએ. આ દુનિયા એક રંગમંચ છે અને તેના સ્ટેજ પર આપણે જુદી જુદી ભૂમિકા જ ભજવી રહ્યા છીએ. આપણે માત્ર જે સ્ક્રીપ્ટ લખાઈ હોય છે, તે જ બોલીએ છીએ, તેવું જ કરીએ છીએ અને તેને જ અનુસરીયે છીએ. આપણા હાથમાં બધું હોવા છતાં એ પણ વાસ્તવિક્તા છે કે હકીકતે આપણા હાથમાં કંઈ જ નથી!
આપણે પહેલા રંગભૂમિ, ભવાઈ, રામલીલા, ઢાઢીલીલા તથા રાસ-ગરબા, નૃત્ય નાટિકાના કથાકારોમાં જુદા જુદા પાત્રોના દર્શન કરતા હતાં, અને તે પછી હવે ચલચિત્રો (ફિલ્મો), સિરિયલો તથા વીડિયો-યુ-ટ્યુબ વિગેરેના માધ્યમથી આપણે જુદા જુદા અભિનેતા-અભિનેત્રીઓને જાણીએ છીએ અને તેઓની કલાના દર્શન કરીએ છીએ. નાટક-ફિલ્મના કલાકારોને અભિનેતા કહેવામાં આવે છે, પરંતુ બીજુ ઓછા કલાકારો અભિનેતામાંથી રાજકારણમાં પ્રવેશ્યા પછી સફળ રહ્યા છે. ઘણાં કલાકારો અભિનેતાની દુનિયામાંથી રાજનીતિમાં ગયા પછી ઘણાં જ સફળ રહ્યા છે, જ્યારે ઘણાં કલાકારોને રાજનીતિ ફળી નથી અને અભિનયની દુનિયામાં પાછા ફર્યા છે.
અભિનેતા થવું અઘરૃં છે પણ...
ઘણાં લોકો કહે છે કે, અભિનેતા બન્યા પછી સફળ થવું ઘણું અઘરૂ છે, તો ઘણાં લોકો માને છે કે અભિનેતા બન્યા પછી સફળ થવું ઘણું અઘરૂ છે, તો ઘણાં લોકો માને છે કે, અભિનયની કલા તો કુદરતી જ હોય છે, અને તે બાળપણથી જ પ્રગટતી હોય છે, પરંતુ જરૂરી માર્ગદર્શન, શિક્ષણ, પ્રશિક્ષણ અને પ્રોત્સાહન મળે તો તેની આ કુદરતી નિપૂણતા નિખરી ઊઠે છે અને તે ખૂબ જ આગળ વધીને પ્રતિષ્ઠા અને પ્રશંસાઓ પ્રાપ્ત કરે છે, જ્યારે ઘણાં લોકો એવું પણ માને છે કે, કોઈપણ વ્યક્તિ સાચો કલાકાર બની શકે છે, બસ, એ માટે સાચી ધગશ અને ધીરજ હોવા જરૂરી છે. અભિનેતા થવું અઘરૂ છે, પણ અશક્ય નથી.
અભિનેતા થવું એ થી પણ અઘરૂ
એવું કહેવાય છે કે, અભિનેતા થવા કરતા પણ સફળ નેતા થવું ઘણું જ અઘરૂ છે. કલાકારોને તો મંચન કે શૂટિંગના સમયે જ અભિનય કરવો પડે છે, જ્યારે નેતાઓએ પોતાનું સમગ્ર જીવન 'સેવા' માટે સમર્પિત કરી દેવું પડે છે. કેટલાક લોકો કટાક્ષમાં એવું પણ કહે છે કે અભિનેતાને તો મર્યાદિત સમય માટે જ અભિનય કરવો પડે છે, પરંતુ નેતાઓને તો જ્યાં સુધી જાહેર જીવનમાં રહે ત્યાં સુધી અભિનય કર્યા કરવો પડતો હોય છે, અને રાત-દિવસ જાગૃત રહીને કામ કરતા રહેવું પડતું હોય છે.
મન હોય તો માળવે જવાય
નેતાઓ તથા અભિનેતાઓમાંથી મોટાભાગના એવા લોકો છે, જેઓ ગરીબ કે સામાન્ય પરિવારોમાંથી આગળ વધ્યા હોય છે, અને મન હોય તો માળવે જવાની ઉક્તિને સિદ્ધ કરતા હોય છે, જ્યારે કેટલાક કલાકારોને વારસાગત પ્લેટફોર્મ પણ મળતું હોય છે. નેતા હોય કે અભિનેતા હોય, તેઓનું જીવન અત્યંત ખાનગી કે છૂપું રહેતું હોતું નથી અને જાહેર જીવનમાં રહેતા આ લોકોએ ઘણું જ જાગૃત પણ રહેવું પડતું હોય છે, કારણ કે તેઓને ચાહનારા અસંખ્ય ચાહકો હોય છે, તો ઈર્ષ્યા કરનારા દ્વેષીઓ પણ ઘણાં જ હોય છે.
આ રહ્યા દૃષ્ટાંતો...
સફળ અભિનેતાઓ તથા નેતાઓની યાદી તો ઘણી લાંબી છે, પરંતુ અભિનેતામાંથી નેતા થયેલા સફળ લોકોમાં એમ.જી. રામચંદ્રન, જયલલિતા, જયા બચ્ચન, એન.ટી રામારાવ, સુનિલ દત્ત, સંજય દત્ત, રાજ બબ્બર, વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિંહા, ચિરંજીવી, રજનીકાન્ત, ચિરાગ પાસવાન, જયા પ્રદા, ધર્મેન્દ્ર, હેમા માલિની, કિરણ ખેર, ગોવિંદા, અમિતાભ બચ્ચન, સની દેઓલ, ઉર્મિલા માતેંડકર, કંગના રનૌત, નવજ્યોતસિંહ સિદ્ધુ, રવિ કિશન, મિમિ ચક્રવર્તી, નુસરત જ્હાં, દીપક અધિકારી, સ્મૃતિ ઈરાની, અનુભવ મોહંતી, હંસરાજ હંસ, સુમલતા અંબરીશ, ઉપરાંત ઘણાં લેખકો, ગાયકો, સંગીતકારો વિગેરે રાજનીતિનો અનુભવ લઈ રહ્યા છે, અને તેમાંથી રાજનીતિના ક્ષેત્રે કેટલા સફળ થયા છે, કેટલા નિષ્ફળ રહ્યા છે, અને કેટલા રાજનીતિ છોડીને અભિનય કે કલાના ક્ષેત્રે પરત ફર્યા છે, તે ઓપન સિક્રેટ જ છે ને?
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial