
ડિસેમ્બર-૨૦૨૪માં ભલે બહુ ઠંડી પડી ન હોય, પરંતુ નવા વર્ષે ઠંડી વધી રહી છે અને વર્ષ ૨૦૨૫ના પહેલા અઠવાડિયામાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતો ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જના કારણે ઋતુચક્ર બદલી રહ્યું હોવાના તારણો કાઢી રહ્યા છે અને હવામાન નિષ્ણાતો માવઠાઓ, ઠંડી-ગરમીના ટાઈમટેબલમાં બદલાવ અને રણપ્રદેશોમાં પૂર આવી જાય તેવો વરસાદ થવાના ઘટનાક્રમોના કારણો આપી રહ્યા છે, ત્યારે કંડલા તથા રાજકોટમાં ૧૦ ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન આવી જતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આ કારણે કેટલાક સ્થળે સ્કૂલોના ટાઈમટેબલ બદલાઈ રહ્યા છે, તો શેરી-ગલી-મહોલ્લાથી લઈને ધોરીમાર્ગો સુધી લોકો તાપણાંઓ તાપી રહેલા જોવા મળી રહ્યા છે. હાલાર, સૌરાષ્ટ્ર સહિત દેશમાં શિયાળો જમાવટ કરી રહ્યો છે.
એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ ગાઢ ધૂમ્મસની સમસ્યાએ પરિવહન અને જનજીવનને ઘણું જ પ્રભાવિત કર્યું છે. એક તરફ બંગાળની ખાડીમાં સાઈકોલોનિક સર્ક્યુલેશન ઊભું થતા પાંચેક દિવસ સુધી દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ ઉત્તર ભારતમાં સાત દિવસ સુધી સવાર-સાંજ ગાઢ ધૂમ્મસ તથા રાજસ્થાન સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કડકડતી ઠંડીની આગાહી સાથે શીત લહેરની વોર્નિંગ આપવામાં આવી છે.
એક તરફ આપણે ત્યાં શિયાળો શરૂ થયો છે, અને ઠંડી વધી રહી છે, તો બીજી તરફ દેશના જુદા જુદા વિસ્તારોમાં મિશ્રઋતુની અનુભૂતિ થઈ રહી છે, તેમ જ વરસાદ પડવાની આગાહીઓ થઈ રહી છે, તેમાં વિશ્વનું રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે, અને ડામાડોળ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં અચાનક બદલાવ આવ્યો છે અને હવે યુએનએસસીની તાકીદની બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે.
અમેરિકાની સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ઉઠાવી લઈને તેને બંદીવાન બનાવ્યા છે, અને ન્યૂયોર્કની અદાલતમાં રજૂ કરીને તેના પર ખટલો ચલાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, તો બીજી તરફ સીરિયાના આતંકવાદી સ્થળો પર બ્રિટન અને ફ્રાન્સે સહિયારૂ આક્રમણ કર્યું છે. એવું કહેવાય છે કે સીરિયા અને ઈરાકમાં આઈએસઆઈએસના હજારો આતંકવાદીઓ રહે છે. અમેરિકાના વેનેઝુએલા પર કરાયેલા હૂમલાઓમાં કેટલાક લોકો માર્યા ગયા હોવાના અહેવાલો વચ્ચે ઘણાં દેશોએ અમેરિકાને વેનેઝુએલાના ઘટનાક્રમોમાં આંતરરાષ્ટ્રીય નિયમો-કાયદાઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવી જોરદાર વિરોધ નોંધાવ્યો છે, તો કોલંબિયા, બ્રાઝીલ મક્સિકો વગેરે દેશો પર પણ અમેરિકા આક્રમણ કરી શકે છે, તેવી સંભાવનાઓના કારણે વૈશ્વિક અજંપા સાથે અનિશ્ચિતતાઓ પ્રવર્તિ રહી છે. યુનોની સલામતિ સમિતિની બેઠક (યુએનસી)ની બેઠકમાં અમેરિકા કે ટ્રમ્પ સામે કડક વલણ લેવાની કેટલી ત્રેવડ છે એન આ સમિતિનું ટ્રમ્પ માનશે ખરા ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
વૈશ્વિક પ્રવાહો સૌરાષ્ટ્ર સુધી પડઘાયા છે અને વિદેશોમાં ભારતીય રાજદૂત તરીકે કામ કરી ચૂકેલા સુજોય ચિનોપને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ભારતની બિનજૂથવાદી નીતિ તથા અમેરિકા અને રશિયા, ઈરાન અને સાઉદી અરેબિયા, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન, રશિયા અને યુક્રેન જેવા પરસ્પર ટકરાતા દેશો સાથે બંને તરફ કૂટનૈતિક સંબંધો જાળવવામાં ભારત સફળ રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વશાંતિ જાળવવા ભારત પરસ્પર સહયોગ અને વ્યાપાર વધારવાની નીતિ અપનાવી રહ્યું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્યાપારને હથિયાર બનાવીને અસહયોગ તથા મનસ્વી રણનીતિ અપનાવી રહ્યા છે, તેવા તારણો કાઢતા કેટલાક વિશ્લેષકો ટ્રમ્પની આ હકીકતને "દાદાગીરી" તથા "એક મહાસત્તાને ન છાજે તેવું શરમજનક વલણ" ગણાવી રહ્યા છે. શાંતિનો નોબેલ પુરસ્કાર મેળવવાના હક્કદાર હોવાનો દાવો કરતા ટ્રમ્પ પોતે જ વિશ્વમાં અશાંતિ, અરાજકતા અને અનિશ્ચિતતાઓ ફેલાવી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
ઘણાં લોકો એવું કહે છે કે જો વેનેઝુએલા પર અમેરિકાનું આધિપત્ય વધે, તો તેમાં ભારતને આડકતરો ફાયદો થશે. કેટલાક પ્રતિબંધો હટી જતા વેેનેઝુએલામાં ભારતની પાર્ટનરશીપ ધરાવતા, ઓએનજીસીના પ્રોજ્ેક્ટો પુનઃ શરૂ થશે અને ત્યાંથી સસ્તુ ક્રૂડ પણ ભારતને મળી રહેશે, જેથી ભારત રશિયા અને અમેરિકા વચ્ચેનું કુટનૈતિક તથા વ્યાપારિક સમતુલન બેસાડી શકશે. બીજી તરફ ભારત સામે બિનજૂથવાદી તટસ્થ પરંપરાગત નીતિને અનુસરવાનો પડકાર પણ રહેશે. આ મુદ્દે વૈશ્વિક ચર્ચાઓ વચ્ચે વેનેઝુએલાના ઘટનાક્રમ અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી છે, તેવા અહેવાલો પણ આવ્યા છે. ભારતે સત્તાવાર રીતે એક સમતોલ અને મર્યાદિત નિવેદન આપ્યું છે, જેને ઘણાં લોકો ભારતની બિનજૂથવાદી નીતિને અનુરૂપ ગણાવે છે, તો કેટલાક વિશ્લેષકો તેને સંયમિત પ્રતિક્રિયા ગણાવે છે.
વોશિંગ્ટનથી એક અહેવાલ એવો આવ્યો છે જે ભારત અને ભારતીયોનું ધ્યાન ખેંચે તેવો છે. અમેરિકાએ એક એવી યાદી જાહેર કરી છે, જેમાં બાંગલાદેશ અને પાકિસ્તાનનું નામ છે, પણ ભારતનું નામ નથી. અમેરિકામાં વસવાટ કરતા એશિયન વસાહતીઓમાં ભારતીયો બીજા ક્રમે હોવાનું કહેવાય છે. તાજેતરમાં ટ્રમ્પે વેલ્ફેર સ્કીમનો લાભ લેતા વિશ્વના ૧૨૦ જેટલા દેશોની યાદી જાહેર કરી છે, ઈમિગ્રન્ટ વેલ્ફેર રેસિપિય રેટ્સ બાય ઓરિજિનના મથાળા હેઠળ એક યાદી જાહેર કરાઈ છે. આ યાદી ઈમિગ્રન્ટ્સના જન્મનું સ્થળ (દેશ) અને ઈમિગ્રન્સ દ્વારા મેળવવામાં આવતી સહાયનું આંકડાકીય વર્ણન છે. અમેરિકાના વેેલ્ફેર સ્કીમની સહાય મેળવતા ૧૨૦ દેશોમાં ભારતનું નામ નહીં હોવાના અહેવાલોએ બધાનું ધ્યાન પણ ખેંચ્યું છે. આ ચાર્ટ મુજબ બાંગલાદેશના ૫૪.૮ ટકા અને પાકિસ્તાનના ૪૦.૨ ટકા, ચીનના ૩૨.૯ ટકા અને નેપાળના ૩૪.૮ ટકા વસાહતીઓને અમેરકિાની સરકારી સહાય મળે છે, સૌથી વધુ ભૂતાનના વસાહતીઓને ૮૧.૪ ટકા સહાય મળે છે, પરંતુ આ યાદીમાં ભારતનું નામ જ નથી.
ટ્યૂ રિસર્ચ સેન્ટરને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ અમેરિકામાં જે એશિયન વસાહતીઓ છે, તેમાં બીજા ક્રમે ભારતીયો વસાહતીઓ ૨૧ ટકા છે, પરંતુ ભારતીયો અમેરિકાની વેલ્ફેર એઈડ (કલ્યાણ સહાય) મેળવતા નથી.
બે વર્ષ પહેલાના આંકડાઓ મુજબ અમેરિકામાં રહેતા એશિયનો પૈકી ભારતીય મૂળના લોકોની આવકની સરખામણી કરીને એવા તારણો નીકળી રહ્યા છે કે ભારતમાંથી આવીને અમેરિકામાં વસેલા ભારતીયો કરતા અમેરિકામાં જ જન્મેલા ભારતીય મૂળના નાગરિકોની આવક વધુ છે. આ તારણો ભારતીયોની ક્ષમતા અને ડિગ્નીટીને પણ ઉજાગર કરે છે.
અત્યારે કડકડતી ઠંડી સાથે શિયાળો જમાવટ કરવા જઈ રહ્યો છે, ત્યારે ટ્રમ્પ ફેઈમ વૈશ્વિક પ્રવાહો વૈશ્વિક ગરમાટો ઊભો કરી રહ્યો છે. સર્વત્ર એક જ પ્રશ્ન છે કે, "હવે ટ્રમ્પ શું કરશે ?"
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial