
આજે સવારે ઉઠતા જ દિલ્હીમાં મધ્યરાત્રિથી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશના અહેવાલો લોકોએ સાંભળ્યા. આ દબાણ હટાવ ઝુંબેશ હાઈકોર્ટના આદેશથી ચાલી રહી હોવાનું કહેવાય છે અને રાત્રે હોબાળો થતાં પોલીસ એકશન પણ લેવાયુ હતું. આ પ્રકારના અહેવાલો આવે ત્યારે સવાલ એ ઉઠે કે વર્ષો કે દાયકાઓથી આ પ્રકારના ગેરકાયદે બાંધકામો થવા જ કેમ દીધા ? ગેરકાયદે, કામચલાઉ દબાણ કે બાંધકામો થતા હોય ત્યારે જ અટકાવી દેવાની કોઈ કાર્યવાહી કેમ નહીં થતી હોય ? શું હાલમાં પણ નવા ગેરકાયદે બાંધકામો થતા જ અટકાવવાની કોઈ ચોક્કસ સિસ્ટમ આપણાં દેશમાં મોજુદ છે ખરી ? અત્યારે પણ ઠેર-ઠેર નવા ગેરકાયદે માળખા કે બાંધકામો ઊભા થઈ રહ્યા હોવાની બાબત ઓપન સિક્રેટ છે, ત્યારે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ થતી જ અટકાવવાનું કોઈ મિકેનિઝમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સરકાર પાસે મોજુદ છે ખરૃં ?
આયોજનપૂર્વક દબાણો કરનારા લોકો પહેલા નાનુ સરખુ કાચુ માળખું ઊભું કરે અને પછી ધીમે ધીમે ત્યાં ઈંટો-પથ્થરો ગોઠવીને કાચુ ચણતર કામ કરે, ઝુંપડા જેવા માળખા ઊભા કરે કે છાપરાં ઊભા કરે, અને થોડા વર્ષો પછી ત્યાં પાકુ બાંધકામ થઈ જાય, આ દાયકાઓથી ચાલતી મોડસ ઓપરેન્ડીથી તમામ તંત્રો અને નેતાઓ પૂરેપૂરી રીતે વાકેફ જ છે, પરંતુ આ સમસ્યાના મૂળમાં જ "બોટમ ટુ ટોપ" ભ્રષ્ટાચાર, હપ્તા પદ્ધતિ, સગાવાદ, ભાઈ-ભતીજાવાદ અને લાપરવાહી જેવા પરીબળો તો જવાબદાર છે જ, પરંતુ પ્રવર્તમાન સમયમાં આ સમસ્યાને તદ્ન ડામી શકાતી નથી, તેની પાછળ ચૂંટણીનું રાજકારણ, મતબેંક અને જમીન માફિયાઓ તથા શાસન-પ્રશાસન વચ્ચેની સાઠગાંઠ પણ જવાબદાર છે, અને તે "ખુલ્લુ રહસ્ય" છે.
દબાણો કરનારાઓ પૈકી ઘણાં ગરીબ લોકો પરિવારને કાચી-પાકી છત મળી રહે, તે માટે નાનું સરખુ ઝુંપડુ કે છાપરૃં ઊભું કરતા હોય છે, ઘણાં બેરોજગાર લોકો પેટીયુ રળવા (રોજગારી મેળવવા) નાનકડી કેબીન, રેંકડી કે થડો (ગલ્લો) લગાવીને કે પાથરણું પાથરીને પરચૂરણ ધંધો-વ્યવસાય કરવાના પ્રયાસો કરતા હોય છે. આ પ્રકારના મજબૂર લોકોના દબાણો હટાવતા પહેલા સંવેદનશીલતાથી તેઓને વૈકલ્પિક વ્યવસ્થાઓ દ્વારા રાહત આપવાની માંગણી પણ હંમેશાં ઉઠતી હોય છે, અને જે પાર્ટીઓ વિપક્ષમાં હોય, તે આ મજબૂર વર્ગ માટે અવાજ પણ ઉઠાવતા હોય છે.
જો કે, સિક્કાની બીજી બાજુ પણ છે. જાહેર વ્યવસ્થાઓ અવરોધાઈ જાય, ટ્રાફિકમાં સતત અવરોધ ઊભો થાય, લોકોને પગે ચાલતા નીકળવામાં પણ તકલીફ થાય, કોઈની લાગણીઓ દુભાતી હોય કે નિયમ-કાયદાઓનું ઉલ્લંઘન થતું હોય કે પછી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાતી હોય, તેવા સંજોગોમાં લાચારી કે મજબૂરીના મુદ્દાનું રક્ષણ મળતું નથી, અને આ પાતળી ભેદરેખાના કારણે જ ઘણી વખત ઘર્ષણો સર્જાતા હોય છે અને ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે. તાજેતરમાં જ સુપ્રિમકોર્ટે પણ કાંઈક એવું ઠરાવ્યું હતું કે જયારે કોઈ નાગરિકતાના અધિકારો જોખમાતા હોય, ત્યાં બંધારણીય રક્ષણની મર્યાદા આવી જતી હોય છે. અદાલતોના ચૂકાદાઓનું અર્થઘટન જુદી જુદી રીતે થતુ હોય છે, પરંતુ આ સંવેદનશીલ મુદ્દે ઉભય પક્ષોએ પરસ્પરને સમજવા અને સામૂહિક હિતોને પ્રાધાન્ય આપવાની જરૂર છે, ખરૃં ને ?
છેલ્લા કેટલાક વર્ષોથી ઘણાં યાત્રાધામો, દરિયાકાંઠાઓ, નદીકાંઠાઓ તથા ધોરીમાર્ગો પર ખડકાયેલા દબાણો હટાવાઈ રહ્યા છે, તેમ છતાં આ સમસ્યા નેસ્તનાબૂદ થઈ રહી નથી, કારણ કે દબાણો હટાવાયા પછી ફરીથી તે જ સ્થળે ફરીથી દબાણો થઈ જાય કે એક સ્થળેથી દબાણો હટાવ્યા પછી બીજી જગ્યાએ તેવા જ કે તેથી પણ વધુ નવા દબાણો ખડકાઈ જતા હોય છે, તેથી જ ઘણાં લોકો કહે છે કે માત્ર દબાણ હટાવ ઝુંબેશની સાથે સાથે "દબાણ અટકાવ ઝુંબેશ" પણ ચલાવવી જોઈએ, નહીંતર પૂર્ણ સરવાણી ધરાવતા કૂવામાંથી સતત પાણી ઉલેચવા છતાં કૂવો ખાલી થતો હોતો નથી, તેવી જ રીતે દબાણોની સમસ્યા પણ ક્યારેય ઘટવાની નથી, અને એકશન, રિએક્શન, પ્રોટેકશન અને ટેન્શનની આ સાયકલ ચાલતી જ રહેવાની છે.
જામનગરના બર્ધનચોકની સમસ્યા ઘણાં વર્ષોથી યથાવત રહી છે, તે પ્રકારના દૃષ્ટાંતો કદાચ દરેક નગરો અને મહાનગરોમાં મોજુદ હશે. આ સમસ્યા નિવારવા સ્ટ્રીટ વેન્ડર્સ માટે કેટલાક કદમ ઉઠાવાયા, કેટલાક શહેરોમાં વૈકલ્પિક જગ્યાઓ ફાળવાઈ, ક્યાંક આ પ્રયોગ અંશતઃ સફળ થયો, તો ક્ેટલાક સ્થળે ફિયાસ્કો થયો. આ સમસ્યા ઘણી જ વ્યાપક અને મુદ્દો સંવેદનશીલ છે, તેથી રાજ્યવ્યાપી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી ઘડીને સરકારે સામાજિક સમર્થન તથા જનસહયોગ મેળવીને કોઈ એવો રસ્તો કાઢવો જોઈએ, જેથી, ગરીબ-નિમ્ન મધ્યમવર્ગીય પરિવારોની રોજીરોટી પણ ઝુંટવાઈ ન જાય અને આ કામચલાઉ, હંગામી કે સ્થળાંતરિત થતી રહેતી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ પણ લાવી શકાય.
બર્ધનચોક જેવી રાજ્યવ્યાપી સમસ્યાઓ માટે અલગ, મોડસ ઓપરેન્ડીથી ધીમે ધીમે દબાણ વધારતા દબાણ માફિયાઓ માટે અલગ અને લેન્ડ ગ્રેબીંગ કે સરકારી કે અન્ય લોકોની ખાનગી જમીનમાં દબાણો કરીને મોટા મોટા બાંધકામો કે સંકુલો, ફાર્મહાઉસ, ગોડાઉનો વગેરે બનાવી લેનારા જમીન માફિયાઓ માટે અલગ પોલિસી ઘડાવી જોઈએ અને તેમાં રાજ્ય સરકારના પંચાયત, શહેરી વિકાસ, મહેસુલ, ગૃહવિભાગ (પોલીસતંત્ર) સહિતના સંલગ્ન તમામ વિભાગોને સામેલ રાખીને સમસ્યાઓ નિવારવાના પ્રયાસો નહીં, પણ કડક અમલવારી કરવી જોઈએ. નગરથી નેશન સુધીની આ સમસ્યાને સળગતી રાખીને રાજકીય રોટલા શેકવાની માનસિકતાના આક્ષેપોમાં દમ હોય તો કહી શકાય કે હમામ મેં સબ નંગે હૈ...જાગો....જનતા...જાગો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial