Sensex

વિગતવાર સમાચાર

પિતાએ બાઈક ચલાવવા ન આપતા માઠું લાગી આવવાથી તરૂણે ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યાઃ પરિવાર સ્તબ્ધ

પ્રેમલગ્ન પછી છૂટાછેડાની વાત થતાં યુવકે કર્યા ઝેરના પારખાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર-ખંભાળિયા રોડ પર મણીભદ્ર વિલામાં વસવાટ કરતા એક પરપ્રાંતીય પ્રૌઢ પાસે તેમનો સોળ વર્ષનો પુત્ર અવારનવાર ચલાવવા માટે બાઈક માંગતો હતો પરંતુ પિતા તેની ઓછી વયના કારણે બાઈક આપતા ન હતા તેથી માઠું લાગી આવતા આ તરૂણે ગઈકાલે સવારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે પિતાનું નિવેદન નોંધ્યું છે. જ્યારે કલ્યાણપુરના રાવલમાં નાનાના ઘેર આવેલા મૂળ પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામના એક યુવાનને પ્રેમલગ્ન કર્યા પછી પત્ની સાથે મનમેળ ન થતાં છૂટાછેડાની શરૂ થયેલી વાતચીતથી માઠું લગાડી ઝેરના પારખા કર્યા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામ પાસેના મણીભદ્ર વિલામાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની પ્રતાપભાઈ નરશીભાઈ બામણીયા નામના પ્રૌઢના પુત્ર રાકેશભાઈ (ઉ.વ.૧૬)એ ગઈકાલે સવારે પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની તેમના પરિવારને જાણ થતાં રાકેશભાઈને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પિતા પ્રતાપભાઈએ પોલીસને વાકેફ કરી છે. દોડી આવેલી સિક્કા પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી પિતાનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ રાકેશભાઈ અવારનવાર પોતાના પિતા પાસે ચલાવવા માટે બાઈક માંગતા હતા પરંતુ સોળ વર્ષના પુત્રને પિતા બાઈક આપતા ન હોવાથી માઠંુ લાગી આવતા આ તરૂણે ગળાફાંસો ખાઈ લીધો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં મોસાળ ધરાવતા મૂળ પોરબંદરના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના ચેતનભાઈ અનિલભાઈ પાંડાવદરા (ઉ.વ.ર૪) નામના યુવાને ગુરૂવારની રાત્રે નાનાના ઘેર કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી તેની જાણ થતાં ચેતનભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈ કાલે સાંજે મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ હિતેશભાઈ પાંડાવદરાનું પોલીસે નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ચેતનભાઈએ કેટલાક સમય પહેલાં એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે પછી પતિ-પત્ની વચ્ચે વિખવાદ થતાં છૂટાછેડાની વાત શરૂ થઈ હતી. છૂટાછેડા થશે તેમ મનમાં લાગી આવતા ચેતનભાઈએ ઉપરોક્ત પગલું ભર્યાનું ખૂલ્યું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી  કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial