
ગઈકાલે રાત્રે જામનગરમાં ફટાકડા ફૂટવા લાગ્યા અને દિવાળી જેવો માહોલ ઊભો થયો. હાલાર અને ગુજરાત સહિત આખો દેશ અને જ્યાં જ્યાં ભારતીયો વસવાટ કરે છે, તે વિશ્વભરના વિસ્તારોમાં ખુશીનો માહોલ હતો અને જોરદાર ઉજવણીઓ થઈ રહી હતી, કારણ કે ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની શાનદાર જીત થઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી-૨૦ ફાઈનલ મેચમાં દશેરાના દિવસે ઘોડા ખૂબ દોડયા અને ૧૪૦ કરોડ દેશવાસીઓના દિલ જીતી લીધા. ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સતત બીજી વખત અને એકંદરે ત્રીજી વખત ચેમ્પિયન બની. ટીમ ઈન્ડિયામાં સામેલ ત્રણેય ગુજ્જુ ખેલાડીઓએ પણ આ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને ખાસ કરીને બૂમરાહ અને અક્ષર પટેલે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. સંજુ સેમસન અને ઈશાન કિશન સહિત તમામ ખેલાડીઓએ મજબૂત ટીમવર્કથી પોતાની તમામ તાકાત ઝીંકી દીધી. મેન ઓફ ધ મેચ જાહેર થયેલા બૂમરાહ ઉપરાંત આખી ટીમે પૂરા એફર્ટથી મેચ જીતી લીધી.
આ વિજયની ઉજવણી રાતભર ચાલી. દેશભરમાં ફટાકડા ફૂટ્યા, મીઠાઈઓ વહેચાઈ અને પાર્ટીઓ યોજાઈ. ક્રિકેટ રસિયાઓ જ નહીં, પરંતુ તમામ દેશવાસીઓ અને દુનિયાભરમાં પથરાયેલા ભારતીયોએ વિજયોત્સવ મનાવ્યો. ટી-૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં ટૂર્નામેન્ટની યજમાન ટીમે પોતાના જ દેશમાં આ વર્લ્ડ કપ જીત્યો હોય, તેવી આ પ્રથમ ઘટના છે અને ત્રીજી વખત ચેમ્પિયન થયા પછી ભારતીય ટીમનો જુસ્સો તો વધ્યો જ હશે, પરંતુ ક્રિકેટ રસિયાઓમાં પણ આ વિજયનો રોમાંચની ઉત્તેજના ફેલાઈ હતી.
આ વિજય અસાધારણ હતો. જે ટીમ દક્ષિણ આફ્રિકા સામે સુપર એઈટમાં જ હારી ગઈ હોય અને એ જ દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને ફાઈનલ સુધી પહોંચી હોય, તે ન્યુઝીલેન્ડની ટીમને ૯૬ રને હરાવીને ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનેલી ભારતીય ટીમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા ગણાય.
ફાઈનલ મેચ પહેલા ન્યુઝીલેન્ડની ટીમના કેપ્ટન તથા અન્ય ખેલાડીઓ જે રીતે માઈન્ડ ગેઈમ રમી રહ્યા હોય, તેવા નિવેદનો આપી રહ્યા હતા અને ન.મો. સ્ટેડિયમમાં લાખો ભારતીયોના દિલ તોડીને પોતાની ટીમના વિજયની ડંફાસો મારી રહ્યા હતા, તેઓ ફાઈનલમાં પૂરી ૨૦ ઓવર પણ રમી શક્યા નહીં, અને ૧૯ ઓવરમાં ઓલઆઉટ થઈ ગયા, તે પૂરવાર કરે છે કે તેઓ ઓવર કોન્ફીડન્સમાં હાર્યા અને ભારતીય ટીમ પૂરેપૂરા પ્લાનીંગ અને ટીમવર્ક તથા હાર્ડવર્કના કારણે જીતી ગઈ. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલીંગ કરી, તે પણ કદાચ તેનો ઓવર કોન્ફીડન્સ જ હતો. સેમિ ફાયનલમાં પણ ઈંગ્લેન્ડ બેટીંગ સામે ટોસ હાર્યા પછી ભારતીય ટીમે પહેલા બેટીંગ કરીને ૨૫૦થી વધુ રન કર્યા હતા અને ભારતીય ટીમ એકતરફી રીતે જીતી જશે, તેવું લાગતુ હતું, પરંતુ ઈંગ્લેન્ડે જોરદાર વાપસી કરી અને એક તબક્કે ભારતીય ટીમના જંગી જુમલાને ઓળંગી જશે, તેવું લાગતુ હતું, પરંતુ અંતે ભારતીય ટીમ માંડ માંડ જીતી હતી અને ફાઈનલમાં પહોંચી હતી. આ કારણે જ જ્યારે ભારતીય ટીમનો સ્કોર ૨૫૦થી વધુ નોંધાવ્યો હોવા છતાં ભારતીય ટીમના ચાહકોને આશંકા હતી કે ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમ સામે ટીમ ઈન્ડિયા કેવી રીતે જીતશે ?
તે પછી ભારતીય ટીમનું બેટીંગ શરૂ થયું ત્યારે આ ટૂર્નામેન્ટમાં છેલ્લી ચાર-પાંચ મેચોથી નિષ્ફળ જઈ રહેલો ઓપનર અભિષેક શર્મા પણ ચાલ્યો અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયેલા સંજુ સેમસને જંગી સ્કોર ખડકવામાં મુખ્ય ભૂમિકા નિભાવી. તે પછી ઈશાન કિશને પણ ફટકાબાજી કરી. ટીમ ઈન્ડિયાનો કપ્તાન સૂર્યકુમાર યાદવ બેટીંગમાં નિષ્ફળ રહ્યો પણ તેની કેપ્ટનશીપ તથા કોચ ગૌતમ ગંભીરની માર્ગદર્શક ભૂમિકાની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. ખેલાડીઓને કોચીંગ, સપોર્ટીંગ અને ફિટનેસ મો ટીમ ઈન્ડિયાની સાથે રહેલી આખી સપોર્ટીંગ ટીમ તથા મેનેજમેન્ટ પણ આ વિજયના યશભાગી ગણાય, તદૃુપરાંત ટીમ ઈન્ડિયાના દેશ અને વિશ્વવ્યાપી ચાહકોના મેન્ટલી સપોર્ટને પણ યાદ કરવો જ પડે.
આજે જયારે ક્રિકેટની રમત આપણાં દેશના નાગરિકોની મનપસંદ રમતો પૈકીની એક રમત ગણાવા લાગી છે, અને રાજાશાહીના સમયમાં જામનગરના રાજવી જામ રણજીતસિંહે સ્વયં ક્રિકેટ રમીને તથા ક્રિકેટની રમતમાં આપણા પ્રદેશને પ્રોત્સાહન મળે, તેવા પ્રયાસો કરીને આ ખેલને લોકપ્રિય બનાવ્યો, તેની બુનિયાદ પર આજે બીસીસીઆઈ વિશ્વની સૌથી ધનાઢય ખેલ સંસ્થા બની ગયું છે, ત્યારે હવે બીસીસીઆઈની ફરજ પણ એ છે કે આપણા દેશની અન્ય મૂળભૂત રમતોને વધુ પ્રોત્સાહિત કરે અને મહિલા ક્રિકેટ ટીમ તથા ડોમેસ્ટીક ક્રિકેટને ઉત્તેજન આપ્યા પછી હવે અન્ય રમત-ગમતમાં પણ યોગદાન આપે, ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના કૌશલ્યવાન ખેલાડીઓને ક્રિકેટ સહિત તમામ રમત-ગમતોમાં આગળ વધવા માટે કોઈ પૂરક સંસ્થા ચલાવે.
ટી-૨૦ વર્લ્ડ કપ પૂરો થયા પછી હવે ઈન્ડિયન પ્રિમિયર લીગની મેચો શરૂ થશે, અને ફરીથી દેશભરમાં ક્રિકેટ ફિવર ફેલાશે. બીસીસીઆઈ અને ક્રિકેટરો ભલે આ પ્રકારની ટૂર્નામેન્ટોના માધ્યમથી કરોડો-અબજો રૂપિયા કમાતા હોય, પરંતુ સમાજ અને દેશ પ્રત્યેની નૈતિક ફરજો પણ વધુ દિલ ખોલીને બજાવવી જ જોઈએ, અને આ માટે બીસીસીઆઈની કમાણીના અમુક ટકાના રેગ્યુલર ફંડીંગ સાથે કોઈ એવી સ્વતંત્ર સંસ્થા ઊભી કરીને છેક ગ્રામ્ય વિસ્તારો સુધીના તથા તમામ વયજૂથના ખેલાડીઓને જરૂરી તાલીમ, સાધનો અને સુવિધાઓ મળી રહે, તેવો કોઈક કોન્સેપ્ટ વિચારવો જોઈએ, અમદાવાદની મેચ જોવા આવેલા બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને આઈસીસીના વર્તમાન ચેરમેન જય શાહ અને તેમના પિતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ કોન્સેપ્ટ સંદર્ભે પહેલ કરી શકે છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial