Sensex

વિગતવાર સમાચાર

આપણે પોતાની જ સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ...

                                                                                                                                                                                                      

પુરૂષોત્તમ માસ ચાલે છે. આપણા હિન્દુ ધર્મમાં આ માસનું ઘણું મહત્ત્વ છે. પણ નવાઈ એ છે કે હમણા બે દિવસ પહેલાં ગાર્ડનમાં બેઠેલા યુવાન છોકરા-છોકરીઓની વાત પર ધ્યાન ગયું તો ખબર પડી કે તેમાંથી કેટલાયને પુરૂષોત્તમ માસ, તેનું ધાર્મિક મહત્ત્વ, તેની કથા-વાર્તા અંગે કોઈ જાણકારી ન હતી... આવું તો કેટલીય વખત બન્યું છે. ઘણી વખત કિશોર અવસ્થા પહોંચતા બાળકોને ધાર્મિક સવાલ કરીએ તો તેમની પાસે જવાબ ન હોય... અફસોસ ત્યારે થાય કે આવી સ્થિતિમાં તે બાળકોને શરમ ન લાગે અને તેના માતા-પિતા પણ એમ જ કહે કે તેને આવા બધામાં રસ નથી... અરે... ધર્મ એ રસનો નહી, શ્રદ્ધાનો વિષય છે. પણ અફસોસ આપણા હિન્દુઓ જ આપણા ધર્મનું જ્ઞાન બાળકોને આપતા નથી...

એક કિસ્સો યાદ આવે છે... એક બહેનને એક વખત કોઈ સગાના ઘરે નવા ઘરના વાસ્તુપૂજનમાં જવાનું થયું.. જઈને આવ્યા પછી તે બહેન કહે છે કે, 'આવું વાસ્તુ કરવાના ખર્ચ થોડા કરાય? નવા ઘરમાં ધુમાડો લાગે, નવા કલરને અસર થાય, હવનમાં આવેલા લોકોને ધુમાડાથી ખાંસી આવે, આંખમાંથી પાણી નીકળે.. એવું કરવાની શું જરૂર? એના કરતા એટલા રૂપિયામાંથી ફરવા જઈ અવાય ને..?' બોલો... આ શિક્ષિત લોકો શિક્ષણના અભિમાનમાં ધર્મ-ધાર્મિક ક્રિયાને ભૂલી જવા માંગે છે... હવે આમાં હિન્દુ ધર્મને ખતરો કોનાથી છે?

ઘણાં ધર્મમાં માતા-પિતા બાળકોને નાનપણથી જ ધાર્મિકવિધિ, તેના રિવાજ શીખવે છે, તેમનો ધાર્મિક પોશાક પણ ખાસ દિવસોમાં પહેરાવે છે. જ્યારે આપણે જાતે જ આપણો પરંપરાગત પોશાકનો ત્યાગ કર્યાે, કંકુનો ચાંદલો, તિલક, રૂદ્રાક્ષની માળા, શીખા કોઈ રાખે તો અન્ય તેમના પર હસે છે. તેની આસ્થાની મજાક ઊડાવે છે. પાછા આ બધા લોકો જ કહે છે કે 'આપણો હિન્દુ ધર્મ ખતરામાં છે' પ્રશ્ન એ નથી કે ખતરો ક્યાંથી છે? પ્રશ્ન એ છે કે શું આપણે પોતે જ પોતાની સંસ્કૃતિથી દૂર તો થઈ રહ્યા ને?

આજના સમયમાં એક ચિંતા ઘણાં ઘરમાં નિઃશબ્દ રીતે જન્મ લઈ રહી છે. ઘરમાં બધું જ છે... સુખ, સુવિધા, શિક્ષણ, આધુનિકતા... પણ કંઈક ખૂટે છે અને એ છે સંસ્કાર અને પોતાના મૂળ સાથેનો સંબંધ... એક સમય હતો. જ્યારે સવારની શરૂઆત ઘરમાં ઘંટડીના અવાજથી થતી. દાદીના શ્લોક, માતાની આરતી ઘરના વાતાવરણને પવિત્ર બનાવતા. બાળકોને અ.આ.ઈ...ની સાથે જયશ્રી કૃષ્ણ અને ઓમ્ પણ શીખવાતું. સવારના ભગવાનની પૂજા થતી, ઘરની દરેક વ્યક્તિ ભગવાનના મંદિર સામે બેસીને દીવો કરતા અને દર્શન કર્યા વગર ઘરની બહાર ન જતા. પણ આજે બાળકોને આરતી કરવી, દીવો કરવો, પ્રાર્થના કરવી એ બધું ઓલ્ડ ફેશન લાગે છે. બાળકોના હાય-હેલ્લો, ગૂડ મોર્નિંગ અને જયશ્રી કૃષ્ણ ખોવાય ગયું છે. બાળકોના હાથમાં મોબાઈલ છે, પણ હાથ જોડવાની સંસ્કૃતિ ખોવાઈ રહી છે. ઘણાં ઘરોમાં તો ઘરની એક વ્યક્તિ સવારમાં દીવા-અગરબત્તી કરી લે એટલે પૂરૂ... બાકીના સભ્યો માથું પણ નમાવતા નથી.

આ બદલાવ અચાનક નથી આવ્યો. આપણે જ ધીમે ધીમે આપણા બાળકોને સમજાવવાનું બંધ કરી દીધુ કે પૂજા માત્ર રીતરીવાજ નથી. પણ મનને શાંતિ આપતી પરંપરા છે. આરતી માત્ર દીવો ફેરવવાનો ક્રમ નથી, એ ઘરમાં સકારાત્મકતા પ્રગટાવતો સંદેશ છે. પણ આપણે બાળકોને અંગ્રેજી શીખવવામાં ગર્વ અનુભવ્યો. પણ પોતાની સંસ્કૃતિ શીખવવામાં સંકોચ અનુભવ્યો. આજના બાળકોને ભગવાનથી વાંધો નથી, પણ તેમને ધર્મનો અર્થ સમજાયો નથી. જ્યારે બાળકો પૂછે કે, આરતી શું કામ કરવાની? પ્રાર્થનામાં શું કહેવાનું? ત્યારે ઘણી વખત આપણે સમજવાને બદલે એમ કહી દઈએ છીએ કે એ તો વર્ષાેથી આમ જ ચાલે છે એટલે કરવાનું અને બાળકો તથા સંસ્કૃતિ-ધર્મ વચ્ચે અંતર અહીથી જ શરૂ થાય છે. ધ ર્મ જો માત્ર પરંપરા બની જાય અને સમજણ ન રહે તો નવી પેઢી તેને સ્વીકારી શકતી નથી.

સાચો ધર્મ ક્યારેય અંધશ્રદ્ધા નથી શીખવતો. એ તો જીવન જીવવાની કળા શીખવે છે. ભગવદ્દ ગીતા યુદ્ધના મેદાનમાં પણ કર્તવ્ય શીખવે છે, રામાયણ સંબંધોની મર્યાદા શીખવે છે. મહાભારત સત્ય અને અધર્મ વચ્ચેનો ભેદ સમજાવે છે. પણ દુઃખ એ વાતનું છે કે આજના બાળકોનો હેરી પોટર ખબર છે, કાર્ટુન કેરેકટર ખબર છે. પણ અભિમન્યુ કોણ હતો એ ખબર નથી. તેમને વિદેશી તહેવારોની તારીખ યાદ છે, પણ જન્માષ્ટમી કે ગીતા જયંતીનું મહત્ત્વ ખબર નથી. આપણી સંસ્કૃતિ સર્વધર્મ સમભાવ શીખવે છે. સેક્યુલરિઝમનો અર્થ એ ક્યારેય નથી કે પોતાનો ધર્મ ભૂલી જવો પણ અર્થ એ છે કે દરેક ધર્મનો આદર કરો, પણ પોતાના મૂળને ક્યારેય ન ભૂલો. પણ દુર્ભાગ્યે આજે કેટલાક લોકો માટે આધુનિક બનવાનો અર્થ પોતાની જ પરંપરાઓની મજાક બનાવવાનું બની ગયું છે.

માત્ર સમય બદલાઈ ગયો છે એમ કહીને ટાળી શકાય નહી. આજે બાળકો ધર્મથી દૂર થતા જાય છે તેમાં સૌથી વધારે વાંક માતા-પિતાનો છે. આજે માતા-પિતાને પણ પશ્ચિમી સંસ્કૃતિમાં રસ છે. જો કોઈ બાળક પશ્ચિમી તહેવાર ઉજવે તો માતા-પિતા ખુશ થાય છે. આધુનિક ગણાય છે પણ જો બાળક તિલક કરે, મંદિર જાય, શીખા રાખે, રૂદ્રાક્ષની માળા પહેરે તો ઘણાં લોકો તેને જૂની વિચારસરણી સાથે જોડે છે. આ માનસિકતા ધીમે ધીમે આપણી ઓળખ નબળી બનાવે છે.

વિચારવાની જરૂર છે કે શું બાળકોને ઈંગ્લીશ જ્ઞાન અને જુદી જુદી એક્ટિવિટી જ જરૂરી છે કે ધર્મની જાણકારી પણ આપવી જોઈએ? શું આપણે બાળકોને મત્ર કારકિર્દી માટે તૈયાર કરી રહ્યા છીએ કે જીવન માટે પણ? કારણ કે પૈસા માણસને સફળ બનાવી શકે, પણ સંસ્કાર જ માણસને શ્રેષ્ઠ બનાવે છે. ઘરમાં માતા-પિતા જ પૂજાના સમયે મોબાઈલમાં વ્યસ્ત હોય, જો તહેવારો માત્ર ફોટોશૂટ માટે ઉજવાતા હોય, જો સંસ્કૃતિને ટાઈમપાસ ગણવામાં આવે તો પછી બાળકો પાસેથી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? ધર્મનો અર્થ માત્ર મંદિર જવું નથી પણ ધર્મ એટલે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી, સત્ય બોલવું, વડીલનો આદર કરવો એ જ છે. સનાતન ધર્મની ઓળખ ભૂસાય જાય એ પહેલાં આપણે સાવચેત થવાની જરૂર છે.

સમય હજી પસાર થઈ નથી ગયો. જો માતા-પિતા બાળકો સાથે પાંચ મિનિટ ઘરના મંદિરમાં બેસે, દીવા કરે, પ્રાર્થના કરે, તહેવારનો સાચો અર્થ સમજાવે, ઈશ્વર-ભગવાન વિશેની જાણકારી આપે, ધર્મના ડરથી નહી, પ્રેમથી સજાવે તો શક્ય છે કે ઘરમાં સંસ્કારનો દીવો પ્રગટી શકે... કારણ કે ધર્મ પુસ્તકોમાં નહી, પરિવારના વર્તનમાં જીવતો હોય છે.

અંતે એટલું જ કે આપણા ધર્મની જવાબદારી આપણી જ છે. જે લોકો આધુનિકતાની દોડમાં ધર્મથી શરમ અનુભવે છે, મંદિર-પૂજા-પ્રાર્થનાથી દૂર જાય છે તેમની પાસે ભવિષ્ય તો હોય છે પણ કદાચ ઓળખ નહી હોય... આપણે જ આપણો ધર્મ સાચવવાનો છે, નહી તો ઈતિહાસ પણ સાક્ષી છે કે કેટકેટલી વાર આપણા ધર્મ પર-ધાર્મિક સ્થાન પર હુમલા થયા છે, હવે એ ન થાય એ જોવાની જવાબદારી આપણી જ છે...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial