
એક સમય હતો, જ્યારે મમતા બેનર્જી પ. બંગાળમાં સર્વેસર્વા હતાં અને કેન્દ્રની મજબૂત સરકારોને પણ હંફાવતા હતાં. લગભગ દોઢ દાયકાના શાસન દરમિયાન તેણીએ કેન્દ્રમાં પહેલા યુપીએ સરકાર અને પછી એનડીએ સરકાર સામે કેટલાક મુદ્દે બાથ ભીડી હતી. કેન્દ્રિય એજન્સીઓને પ. બંગાળમાં જઈને કાર્યવાહી કરવમાં ધોળે દિવસે તારા દેખાતા હતાં, તો ગત કેટલીક ચૂંટણીઓ સમયે કેન્દ્રિય ગૃહમંત્રીને પણ હંફાવ્યા હતાં, અને કેટલાક મુદ્દે એનડીએના નેતાઓને પણ અદાલતનો આશરો લેવો પડી રહ્યો હતો.
એ જ મમતા બેનર્જી અત્યારે પોતાના જ પક્ષમાં એકલા-અટુલા પડી ગયા હોય, તેમ જણાય છે. પ. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી તૃણમુલ કોંગ્રેસમાં દબાયેલો તીવ્ર અસંતોષ સ્પ્રીંગની જેમ ઉછળ્યો અને વિધાનસભામાં ચૂંટાયેલા તૃણમુલ કોંગ્રેસના ૮૦ માંથી પ૯ ધારાસભ્યોએ મમતા બેનર્જીના બદલે ઋતબ્રત બેનર્જીને સમર્થન આપ્યું છે. પાર્ટી દ્વારા નક્કી થયા, તે નેતાના બદલે વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ અધ્યક્ષે પ૯ ધારાસભ્યોનું સમર્થન ધરાવતા ઋતબ્રત બનર્જીને ફાળવી દીધા પછી પ. બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની હાલત પણ મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરેની શિવસેના જેવી થઈ ગઈ છે. મીડિયા ડિબેટીંગમાં ઋતબ્રત બેનર્જીને એકનાથ શિંદે સાથે સરખાવાઈ રહ્યા છે અને આ બધો ખેલ પડદા પાછળથી ભારતીય જનતા પક્ષનો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો કેટલાક વિશ્લેષકો આ વિદ્રોહ માટે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને જવાબદાર ગણાવી રહ્યા છે.
એવું કહેવાય છે કે, ઋતબ્રત બેનર્જીને મમતા બેનર્જીએ પાર્ટીમાંથી કાઢી મૂક્યાની જાહેરાત કરી હોવા છતાં ઋતબ્રત બેનર્જી સહિતના ધારાસભ્યો હજુ પણ મમતા બેનર્જીને તો પોતાના નેતા માને છે, પરંતુ તેને અભિષેક સામે વાંધો છે. આ કારણે જ લગભગ ૬૦ બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભામાં જુદો ચોકો જમાવીને તૃણમુલ કોંગ્રેસનું વિધાનસભા પક્ષનું નેતૃત્વ જ મમતા બેનર્જી પાસેથી આંચકી લીધું છે. અટકળો તો ત્યાં સુધી થઈ રહી છે કે પક્ષાંતર વિરોધી કાયદા મુજબ બે-તૃતીયાંશથી વધુ ધારાસભ્યોનું સમર્થન મેળવીને ઋતબ્રત બેનર્જીએ આખેઆખી તૃણુમલ કોંગ્રેસ જ મમતા-અભિષેક પાસેથી આંચકી લીધી છે.
અત્યારે પાનખરમાં ખરી પડતા પીપળાના પાનની જેમ મમતા બેનર્જી પણ ખરી રહેલા પીપળાના પાનની હાંસી ઊડાવતી પીપળાની જ તાજી ફૂટલી કુંપણીઓ સમાન ઋતબ્રત બેનર્જી સહિતના બળવાખોરોને કહી રહ્યા હશે કે, 'મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા...'
કર્ણાટકમાં કોંગ્રેસના મુખ્યમંત્રી બદલાયા અને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ પછી આખરે સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું અને તેના સ્થાને ડી.કે. શિવકુમાર કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા. ગઈકાલે નવા મંત્રીમંડળે શપથ લીધા. આ ઘટનાક્રમ પછી મનમાંને મનમાં કદાચ સિદ્ધારમૈયા પણ પીપળાના પાનની જેમ શિવકુમારને ઉદ્દેશીને કહી રહ્યા હશે કે, 'મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા'.
આ કાવ્યપંક્તિનો સારાંશ એવો છે પાનખરમાં ઘરડા થઈ ગયેલા પીપળાના સૂકાયેલા પાન ખરી પડે, ત્યારે એ જ વૃક્ષમાં નવી નવી ઉગેલી કુમળી કુંપણો ખરતા પાનની હાંસી ઊડાવતી હોય અને ખરતા પાન તે કુંપણીને કહેતા હોય કે આજે અમારા પર વિતી રહી છે, તેવી સ્થિતિ તમારી પણ આવશે. ધીરજ રાખજો...
કવિની આ કલપનામાંથી બોધપાઠ એવો નીકળે છે કે કોઈની નબળી સ્થિતિ કે કોઈપણ કારણે કોઈની દૂર્દશા ચાલી રહી હોય, ત્યારે તેની મજાક ઊડાવવી કે અપમાન કરવું યોગ્ય નથી, કારણ કે એવી જ સ્થિતિ આપણી પણ આવવાની શક્યતા હોય છે, અને એ જ કુદરતનો ક્રમ છે.
અત્યારે દેશના કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત લગભગ બે ડઝન રાજ્યોમાં ભાજપનું શાસન છે, અને તે રાજ્યોની સ્થાનિક સ્વરાજ્યની મોટાભાગની સંસ્થાઓમાં પણ ભાજપનું વર્ચસ્વ છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર છે. લોકસભામાં ભાજપને બહુમતી મળી નથી, પરંતુ ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશકુમારની પાર્ટીઓ તથા કેટલાક અન્ય પક્ષોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સમર્થન છે. આ સંજોગો અત્યારે દેશના મહત્તમ રાજ્યોમાં ભાજપનો દબદબો દર્શાવે છે. બીજી તરફ પ. બંગાળમાં જે ઘટનાક્રમ સર્જાયો છે, તેમાંથી બોધપાઠ લઈને એનડીએના નેતાઓએ પણ મમતા બેનર્જી કે તૃણમુલ કોંગ્રસની મજાક ઊડાવવા કે વ્યંગ કરવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે કવિ કહે છે કે, પીપળ પાન ખરંતા... હસતી કુંપણીયા... મુજ બિતી તુ જ બિતશે... ધીરી કુંપણીયા...
જામનગર અને હાલારના કેટલાક હાંસિયામાં ધકેલાયેલા દિગ્ગજ નેતાઓ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો પણ વિચારતા હશે કે 'પીપળ પાન ખરતા-હસતી કુંપણીયા!'
બધાના દાયકા આવે છે અને જાય છે. એ જ પ. બંગાળમાં ડાબેરી પક્ષોએ ત્રણ દાયકાથી વધુ એકચક્રીય શાસન એ જ બંગાળી જનતાના જનાદેશથી ભોગવ્યું હતું, અને તે પછી તેવી જ મજબૂતીથી તૃણમુલ કોંગ્રેસે દોઢ દાયકા જેટલું શાસન ભોગવ્યું હતું. આ જ બંગાળી જનતાએ આ વખતે ભાજપને ચાન્સ આપ્યો છે, ત્યારે એ દિમાગમાં રાખવાની જરૂર છે કે એ જ બંગાળની જનતાને સંતોષ નહીં થાય તો ફરીથી પરિવર્તન લાવી શકે છે, અને ભાજપને પણ ઘેર બેસાડી શકે છે.
આખરે ભારતીય જનતા પક્ષનો સૂરજ મધ્યાન્હે છે, અને કેન્દ્રિય કક્ષાએ કદાચ એેક કિચન કેબિનેટ તથા સંગઠનમાં એક ત્રિપુટીનો દબદબો છે, ત્યારે એક-દોઢ દાયકા પહેલા જેનો દબદબો હતો, તેવા માર્ગદર્શક મંડળમાં મૂકાયેલા અડવાણી-મુરલીમનોહર જોષી જેવા એક સમયના ભાજપના સર્વેસર્વા હતાં, તેવા નેતાઓ પણ મનોમન કહેતા હશે કે, પીપળ પાન ખરંતા, હસતી કુંપણીયા... મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા...
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તો પૂનરાવર્તનનો પવન ફૂંકાયો અને મતદારોએ મહત્તમ જનાદેશ આપ્યો, તે પછી જામનગર મહાનગરપાલિકામાં નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, ત્યારે પૂર્વ મેયરો તથા ચેરમેનો પણ કહેતા હશે કે 'પીપળ પાન ખરંતા... હસતી કુંપણીયા... મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial