Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

મૂળ કોંગ્રેસી રાજકીય પક્ષોના વિલીનીકરણનો પ્રયાસ... દેશવ્યાપી મજબૂત વિપક્ષ જરૂરી, પણ...

                                                                                                                                                                                                      

ગઈકાલે મહારાષ્ટ્રથી દેશની રાજધાની સુધી ચોમાસાના આગમન અને મેઘવૃષ્ટિ ઉપરાંત સૌથી વધુ ચર્ચા શરદ પવારની નેશનલ કોંગ્રેસ પાર્ટીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સંભવિત વિલીનીકરણની થઈ રહી હતી અને આ પ્રકારનો દાવો ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એનસીપી (શરદ પવાર) ના નેતાઓ દ્વારા જ કરાયો હોવાનું કહેવાય છે. આ વખતે વિલીનીકરણની ગુપ્ત વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું તથા આખરી સમજુતિ સાથે શરદ પવાર અને સોનિયા ગાંધીની સહમતિ હોવાનો દાવો પણ પાર્ટીના અંતરંગ વર્તુળોને સાંકળીને કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજ્ય કક્ષાના એક કોંગી નેતાએ પણ વિલય અંગે હાઈકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી હોવાની પુષ્ટિ કર્યા પછી આ દિશામાં પ્રગતિ થઈ રહી હોવાનો આશાવાદ જાગ્યો છે.

લગભગ અઢી દાયકા પહેલા સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે વિદ્રોહ કરીને શરદ પવાર, પી.એ. સંગમા અને તારિક અનવર સહિતના નેતાઓએ નેશનલ કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. તે પછી મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારની એનસીપીનો દબદબો રહ્યો હતો. આ એનસીપીમાં પણ વિભાજન થયું અને અજિત પવારનું જુથ અલગ થઈ ગયું, જેનું ભાજપ અને શિવસેનાના બળવાખોર જુથ સાથે ગઠબંધન રચાયું. બીજી તરફ શિવસેનામાં પણ વિભાજન થયું અને એકનાથ શિંદેના જુથે બળવો કર્યો. મોટાભાગના ફંટાયેલા જનપ્રતિનિધિઓ વિદ્રોહી જુથોમાં જતા રહેતા તેઓના જુથની એનસીપી તથા શિવસેનાને મૂળ પક્ષો ગણવામાં આવ્યા અને ચૂંટણીપ્રતીકો બળવાખોર જુથોને ફાળવાયા. તે પછી મહારાષ્ટ્રમાં બાકી રહેલી શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસે મળીને મેળવેલી મહારાષ્ટ્રની સત્તા પણ ગઈ અને ભાજપ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીના ગઠબંધનની સરકાર રચાઈ.

મહારાષ્ટ્રમાં તે પછી મહાવિકાસ અઘાડીની સામે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ રચાઈ અને અભૂતપૂર્વ સમીકરણો રચાયા તથા અજબ-ગજબની ઘટનાઓ બની. મહારાષ્ટ્રમાં જે ઘટનાક્રમો બની રહ્યા હતાં તેની વ્યાપકઅસરો રાષ્ટ્રીય રાજનીતિ પર પણ પડી રહી હતી. મહારાષ્ટ્રમાં તો રાજનૈતિક ઉઠાપટક થતી રહી હતી, પરંતુ સંસદમાં પણ આ ઘટનાક્રમોનો સીધો લાભ એનડીએને થઈ રહ્યો હતો. કોંગ્રેસ તથા વિપક્ષો ભારતીય જનતા પક્ષ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા હતાં, ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તથા રાષ્ટ્રીય નેતાગીરી વચ્ચે પણ મત-મતાંતરો સપાટી પર આવ્યા હતાં. તે પછી આ જ પદ્ધતિથી અન્ય રાજ્યોમાં પણ સમીકરણો બદલાયા હતાં, જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિમાં પણ આંતરિક મતભેદો હોવાની વાતો વહેતી થઈ હતી. આ દરમિયાન એક હવાઈ દુર્ઘટનાએ ફરીથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી.

વિમાન દુર્ઘટનામાં અજીત પવાર દિવંગત થયા પછી તેના સ્થાને તેઓના પત્ની સુનિત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવાયા, તે પહેલા શરદ પવાર અને સદ્ગત અજીત પવારની એનસીપીના પુનઃ જોડાણની વાતો વહેતી થઈ હતી, પરંતુ તે પછી સમીકરણો ફરી બદલાયા અનેે હવે શરદ પવારની એનસીપીના કોંગ્રેસમાં વિલીનીકરણની વાતો ફરીથી થવા લાગી છે અને હવે સ્થાનિક નેેતાઓ દ્વારા ઉભય પક્ષે પુષ્ટિ થવાના અહેવાલો પછી એવું મનાય છે કે ટૂંક સમયમાં શરદ પવારની એેનસીપીનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિધિવત વિલીનીકરણ થઈ જશે.

જો કે, શરદ પવારની એનસીપીમાં પણ બે ગ્રુપ છે. એક જુથ એવું માને છે કે રાજ્યકક્ષાએ ફ્રેન્ડલીફાઈટ કરીને રાષ્ટ્રીય કક્ષાએ એનસીપી (શરદ પવાર) દ્વારા એનડીએને સમર્થન આપવું જોઈએ, કારણ કે કેન્દ્ર, રાજ્ય અને બીએમસીમાં હવે એનડીએનું જ શાસન હોવાથી લોકોના કામો કરવા તથા અપેક્ષાઓ સંતોષવા માટે (ભલે બહાર રહીને પણ) એનડીએને સમર્થન આપવું જોઈએ. આ જુથ પૈકીના કેટલાક નેતાઓ તો રાજ્ય કક્ષાએ તથા સ્થાનિક સ્તરે પણ એનડીએ તરફી રાજનીતિ કરવી જોઈએ, તેવું માનતા હોવાનું કહેવાય છે. કદાચ આ કારણે જ વિલંબ થઈ રહ્યો હશે, જો કે અંતિમ નિર્ણય તો શરદ પવારનો જ હશે, તેથી આ વિલીનીકરણની સંભાવનાઓ વધુ મજબૂત છે. રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી વાતો જો હકીકતમાં બદલે, તો કોંગ્રેસ માટે તો ઉત્તમ તક હશે જ, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિ પણ કરવટ બદલશે...

આ પહેલા પ. બંગાળમાં કારમી હાર થયા પછી આસમાનમાં ઊડતા મમતા બેનરજી જમીન પર આવી ગયા, ત્યારે ખુદ સોનિયા ગાંધીએ મમતા બેનરજીને એવો પ્રસ્તાવ આપ્યો હતો કે તેઓ કોંગ્રેસમાં તૃણમુલ કોંગ્રેસની વિલીનીકરણ કરી નાખે, તો તેણીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવાશે. આ પ્રકારની વાતો વહેતી થઈ, ત્યારે મમતા બેનરજી અને ભત્રીજો અભિષેક બેનરજી દિલ્હીની મુલાકાતે પણ આવ્યા હતાં. તે પછી એવું બહાર આવ્યું કે મમતા બેનરજીએ કોંગ્રેસમાં વિલીનીકરણ પછી તેણીને તથા તેના ભત્રીજાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં અન્ય મહત્ત્વપૂર્ણ પદોની માંગણી કરી હતી. તે પછી આ વાત અટકી ગઈ છે, પરંતુ તૃણમુલ કોંગ્રેસના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલીનીકરણ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું નથી, અને આ વાત ગમે ત્યારે આગળ વધી શકે છે.

ભૂતકાળમાં રાજીવ ગાંધીના નિધન પછી જ્યારે કોંગ્રેસના ઘણાં દિગ્ગજો કોંગ્રેસ છોડવા લાગ્યા હતાં, ત્યારે સોનિયા ગાંધીએે પોતાનો રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય પડતો મૂકીને કોંગ્રેસની કમાન્ડ સંભાળી. તે પછી કોંગ્રેસ મજબૂત બની અને પ્રારંભિક પડકારો પછી કેન્દ્રમાં યુપીએની સરકાર રચીને દસ વર્ષ શાસન પણ કર્યું હતું. તેવી જ રીતે કોંગ્રેસ પુનઃ મજબૂત બનીને મજબૂત વિપક્ષ બન્યા પછી ઈતિહાસ દોહરાવી પણ શકે છે.

અત્યારે સંસદમાં એનડીએ ઘણું જ મજબૂત છે, અને હવે રાજ્યસભામાં પણ તોતિંગ બહુમતી મળી છે, તથા અધિકત્તમ રાજ્યોમાં ભાજપ અથવા એનડીએની સરકારો છે, ત્યારે કેન્દ્રમાં મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે, અને તે પૂર્તતા દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ જ કરી શકે તેમ છે. લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવો જ જોઈએ, પરંતુ હવે શું થાય છે તે જોવું રહ્યું...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial