Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સરકારી કંપનીઓના પેટ્રોલ-ડીઝલમાં ભાવો હમણાં નહીં ઘટે... કેન્દ્ર સરકારે કર્યા નિરાશ...

                                                                                                                                                                                                      

ઈરાન-અમેરિકા વચ્ચે ૬૦ દિવસના યુદ્ધ વિરામ અને તબક્કાવાર વાતચીત તથા અનિશ્ચિતતાઓ વચ્ચે હોર્મુઝ સંકટ હળવું થયા પછી ભારતના ઘણાં વહાણો હોર્મુઝ પસાર કરીને ભારતીય બંદરો આવી પહોંચ્યા છે અને હવે કેટલાક પ્રતિબંધો પણ હળવા થઈ ગયા હોવાથી પેટ્રોલ-ડીઝલ-ગેસ વગેરેના ભાવો ઘટશે તેવી અપેક્ષા હતાી, કારણ કે એક સમયે રૂ।. ૧૧૦ સુધી પહોંચેલા ક્રૂડના બેરલના ભાવમાં ત્રીસ-ચાલીસ રૂપિયા સુધીનો ઘટાડો થઈ ગયો છે.

ગઈકાલે જ્યારે સમાચાર આવ્યા કે કોમર્શિયલ ગેસના ભાવોમાં ધરખમ ઘટાડો થયો છે, ત્યારે સરકારી કંપનીઓ હવે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ત્વરીત ઘટાડો કરીને મોડું ચોમાસું તથા અલનીનોની આશંકાથી ફફડતા ખેડૂતો અને મોંઘવારીમાં પીસાતી સામાન્ય જનતાનેે કેન્દ્ર સરકાર રાહત આપશે. ખાસ કરીને ખાનગી પેટ્રોલિયમ કંપની નાયરાએ ડીઝલ અને પેટ્રોલમાં રૂ।. ૩ થી પ નો લીટરદીઠ ઘટાડો કર્યા પછી સરકારી કંપનીઓ પણ આ જ રીતે ઘટાડો કરશે તેવો આશાવાદ હતો, પરંતુ હકીકતે તેવું થયું નથી અને કેન્દ્ર સરકારે હાથ ઊંચા કરી દેતા પબ્લિકમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ છે.

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ-ડીઝલના ભાવો સરકારી કંપનીઓ હાલતુરંત નહીં ઘટાડે, તેવી ચોખ્ખીચટ જાહેરાત કરી દીધી હોવાના અહેવાલોએ દેશવાસીઓને ચોંકાવી દીધા છે અને પબ્લિકમાં નિરાશા વ્યાપી ગઈ છે.

કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ વિભાગના મંત્રીએ કહ્યું કે હલાતુરંત પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા શક્ય જ નથી. હજુ પણ સરકારી કંપનીઓ ખોટ કરી રહી છે. હોર્મુઝ સંકટ હળવું થયા પછી નવું ક્રૂડ ખરીદાય અને ઓછા ભાવે ક્રુડની આયાત થાય, ત્યાં સુધી જુના ભાવે આવેલા ક્રૂડના ભાવો ઘટાડી શકાય તેમ નથી, તેવા મતલબની કેન્દ્રિય મંત્રીની વાત સાંભળીને એવો પ્રશ્ન ઊઠે છે કે આ સરકારના મંત્રી બોલે છે કે પછી કોઈ વેપારી પેઢીના ડીલર બોલી રહ્યા છે?

તેમણે દલીલ કરી કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસમાં પડતર કિંમતથી ઓછી કિંમતે વેંચાણ કરવાના કારણે ૩૦ મી જુન ર૦ર૬ સુધીમાં સાડાચીમોતેર હજાર કરોડ રૂપિયાથી વધુ રૂપિયાની ખોટ ગઈ છે. રિફાઈનરીઓ સામાન્ય રીતે બે મહિના પહેલા કાચું તેલ (ક્રૂડ) ખરીદતી હોય છે. અત્યારે બજારમાં જે ઈંધણ વેંચાય છે તે પશ્ચિમ એશિયા સંકટ સમયે ખરીદેલું મોંઘા ભાવનું ઈંધણ છે, તેથી હાલતુરંત ભાવો ઘટાડવા સંભવ નથી.

પુરીએ એવો તર્ક પણ રજૂ કર્યો છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ તથા ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન જ્યારે હોર્મુઝ સંકટ ઘેરાયું હતું, ત્યારે પણ ભારતના નાગરિકોને અત્યંત મોંઘા ઈંધણના ભાવથી બચાવ્યા હતાં અને સપ્લાઈ ચાલુ રાખી હતી. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા ચાર વર્ષોમાં યુરોપિયન દેશોમાં ઈંધણના ભાવો ઊંચકાયા હતાં તેની સરખામણીમાં ભારતમાં માત્ર પ.પ૮ ટકા જેવો અત્યંત સાધારણ વધારો જ કરાયો હતો.

આ વાતચીત દરમિયાન હરદીપસિંહ પુરીએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવો સ્થિર રહેશે અથવા વધુ ઘટવા લાગશે અને થોડાક અઠવાડિયાઓ સુધી તેમાં વધારો થવાની સંભાવનાઓ ઊભી નહીં થાય તો સરકાર દેશમાં પેટ્રોલ-ડીઝલ-ગેસ (ઈંધણ) ના ભાવોમાં ઘટાડો કરવા 'વિચારી' શકે છે!

આ દરમિયાન પુરીએ એવો દાવો પણ કર્યો હતો કે હાલમાં ભારતની રિફાઈનરીઓની ક્ષમતા ર૭૦ એમટીપીએ (મિલિયન ટનસ પર એનમ) એટલે કે પ્રતિવર્ષ ર૭૦ મિલિયન ટનની છે, તે વધારીને ટૂંક સમયમાં ૩૦૦ એમટીપીએ કરાશે, જેથી ભવિષ્યમાં પણ ભાવો સ્થિર રહી શકે. હાલતુરંત તો પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા સંભવ જણાતા નથી તેવા સરકારી નિવેદનથી પબ્લિકમાં એક પ્રકારની નિરાશા પ્રવર્તે છે.

એવો સવાલ પણ ઊભો થાય કે જો ખાનગી કંપની ભાવો ઘટાડી શકતી હોય, તો સરકારી કંપનીઓ કેમ ભાવો ઘટાડી ન શકે? તેવો સવાલ લોકોના મનમાં ઊઠે તે સ્વાભાવિક છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડના ભાવો જ્યારે પણ વધે, ત્યારે તો તમામ કંપનીઓ તત્કાલ ભાવો વધારીને જુના ભાવે આવેલા પુરવઠામાં કમાણી કરી લેતી હોય છે, ત્યારે અત્યારે બેવડો માર ઝીલી રહેલી દેશની જનતાને રાહત આપવા માટે સરકારી કંપનીઓ ઈંધણના ભાવો તત્કાળ ઘટાડે, તેવા કદમ ઊઠાવવાના બદલે ખુદ પેટ્રોલિયમ મંત્રી જ બચાવની ભૂમિકા ભજવવા લાગે, ત્યારે જનતાને નિરાશા જાગે, તે સ્વાભાવિક છે.

જો કે, પુરીએ એલપીજીના સંદર્ભે પૂરેપૂરી માહિતી આપી હતી અને આગામી રણનીતિની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે વાતવાતમાં એવા સંકેતો આપ્યા કે સરકાર હવે દેશની અંદાજીત જરૂરિયાતનો ૩૦ દિવસ ચાલે તેટલો એલપીજીનો પુરવઠો રિઝર્વ રાખશે, અને તે માટે રૂ।. પ૦૦૦ કરોડ (પાંચ હજાર કરોડ) નું રોકાણ કરીને ભારત પેટ્રોલિયમ તેની ક્ષમતા વધારશે, અને વર્તમાન સંગ્રહ ક્ષમતા ર૦૦૦૦૦ મે.ટન છે, તે વધારીને ૩૪૦૦૦૦ મે.ટન કરશે. આમ રિફાઈનરીઓ તથા સરકારી કંપની ભારત પેટ્રોલિયમની સંગ્રહશક્તિ વધારીને કેન્દ્ર સરકાર આગામી સમયમાં જો અમેરિકા-ઈરાન વચ્ચે ફરી તંગદિલી વધે, તો પણ એલીપીજીનો પુરવઠો પણ જળવાઈ રહે, તેવા પ્રયાસો કરી રહી હોય તેમ જણાય છે, પરંતુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો કરવેરા (વેટ સહિત) ઘટાડીને જનતાને રાહત આપશે, તો મોંઘવારીથી પીડાતી પ્રજાને રાહત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial