જામનગર તા. ૨૩ઃ જામનગરના કેટલાંક સટ્ટોડીયાઓએ આજે મતગણત્રીના દિવસ પહેલાં છેલ્લે-છેલ્લે કમાઈ લેવાના ઉદ્દેશથી ગઈકાલે રાત્રે નગરના ચાંદીબજાર ચોકમાં એકત્ર થઈ ખુલ્લેઆમ સોદા શરૃ કર્યાની બાતમી મળતાં પોલીસ ત્યાં પ્રગટી હતી અને પોલીસને જોઈને દોડધામ મચી ગઈ હતી.
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન રવિવારે યોજાયા પછી આજે તેની ગણત્રી રાખવામાં આવી હતી. નગરના સોળે-સોળ વોર્ડના મુખ્ય પક્ષો તેમજ અન્ય પક્ષોના ઉમેદવારના નામ જાહેર થયા પછી ચૂંટણીનો માહોલ ગરમ બન્યો હતો.
બે મુખ્ય પક્ષના કયાં કયાં ઉમેદવારો તેમજ નવા ઉભરી રહેલાં પક્ષના કેટલાં ઉમેદવારો વિજયી બનશે ?, કયાં પક્ષને કેટલી બેઠક મળશે ?, કયો પક્ષ કેટલી લીડથી જીતશે ? તે પ્રકારના સોદાઓ સટ્ટોડીયાઓએ શરૃ કરી દીધા હતાં. રોજેરોજ જેમાં જુદાજુદા ભાવ આપવામાં આવી રહ્યા હતાં.
તેમાં ખાસ કરીને રવિવારે મતદાન પૂર્ણ થયા પછી મતદાનની ટકાવારી જાહેર થતાં સટ્ટોડીયાઓ વધુ ગેલમાં આવ્યા હતાં. ગઈકાલે રાત્રે કેટલાંક સટ્ટોડીયાઓ ચાંદીબજારમાં એકત્ર થઈ ઉપરોકત સોદાઓમાં કમાઈ લેવા માટે ભારે ઉથલપાથલ કરી રહ્યા હોવાની અને તેના કારણે ચાંદીબજારમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી ટોળા એકઠા થયાની વિગત પોલીસને મળતા રાત્રે પોલીસ કાફલો ચાંદીબજાર ધસી ગયો હતો. અચાનક જ પોલીસના થયેલા આગમનના પગલે ત્યાં મતગણત્રીની આગલી રાત્રે છેલ્લી ઘડીના ભાવનો સોદો કરી રહેલાં એકત્ર થયેલાં સટ્ટોડીયાઓમાં દોડધામ મચી ગઈ હતી. થોડી મિનીટો પહેલાં જયાં ટોળા જોવા મળતા હતા ત્યાં ગણત્રીની સેંકન્ડોમાં એકલદોકલ વ્યક્તિ હાજર રહ્યા હતાં. બાકીના પોબારા ભણી ગયા હતાં.