જામનગર તા. ૭ઃ જામનગરની અગ્રગણ્ય સહકારી બેંક ધી કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ. જામનગર સામાજિક ફરજ નિભાવવા હંમેશાં અગ્રેસર રહી છે. હાલ સમગ્ર દેશ અને દુનિયા 'કોરોના'ના બીજા વાઈરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીથી ચિંતિત છે.
આ કપરા સમયમાં સરકારી હોસ્પિટલો, માનવ સેવા કરતી સંસ્થાઓ અને અન્ય સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ પોતાની રીતે લોકોને મદદરૃપ થઈ રહ્યા છે.
ધી કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ. જામનગરે આ વર્ષે પ૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જેના ભાગરૃપે બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સુવર્ણ જયંતી વર્ષ'ની ઉજવણી કરવા અગાઉ વિચારેલું, પરંતુ હાલની કોરોના મહામારીના કારણે આ વર્ષમાં બેંકના ઉજવણીના કાર્યક્રમો થઈ શકેલ નથી, પરંતુ અનુદાનથી સેવાના કાર્યો અતિરત ચાલુ રાખેલ છે જેના ભાગરૃપે બેંક દ્વારા જામનગર પાંજરાપોળને ગાયમાતાના નિભાવ માટે જીવદયાના આ કાર્યમાં રૃા. રપ,૦૦૦ (અંકે રૃપિયા પચીસ હજાર) નો ચેક બેંકના ઈન્ચાર્જ મેનેજીંગ ડાયરેક્ટર મહેશભાઈ બી. રામાણી, સિનિયર ડાયરેક્ટર પ્રવિણભાઈ વી. ચોટાઈ અને ડાયરેક્ટર વિજયભાઈ સંઘવી દ્વારા પાંજરાપોળના સેક્રેટરી વિજયભાઈ પાલા, સભ્ય વિનુભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ દવે અને વિપુલભાઈ ધામેચાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ રીતે બેંક ફક્ત નફો જ કરવાના હેતુસર નહીં, પણ સાથે સાથે સમાજ સેવાના કાર્યોમાં પણ અગ્રેસર રહી છે.