Advertisement
Author: નોબત સમાચાર

ક્રિસિલનો ચોંકાવનારો રિપોર્ટ... બેકાબૂ મોંઘવારીની દહેશત... સાવધાન...

                                                                                                                                                                                                      

રશિયાએ કીવને ખેદાન-મેદાન કરી નાંખે તેવા હુમલા કર્યા તો ઈઝરાયલે લેબેનોન તથા હમાસ પર એટેક કર્યો, અને બીજી તરફ ઈરાને મીડલ ઈસ્ટમાં કૂવૈત, દુબઈ પર આક્રમણ શરૂ કર્યું હોવાના તથા અમેરિકાએ કેશ્મ ટાપુ પર વળતો હુમલો કર્યો હોવાના અહેવાલો જોતા નજીકના રાજ્યમાં યુદ્ધો અટકે કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે મુક્ત થાય, તેવું લાગતું નથી, અને આ જ કારણે વિશ્વભરમાં ચિંતા વ્યાપી છે. ભારતમાં ઈંધણનો પૂરતો જથ્થો હોવાના થતા રહેલા દાવા છતાં જો આ બધા યુદ્ધો લંબાય તો ઘણી જ કપરી સ્થિતિ સર્જાય તેમ હોવાથી સરકાર અને પબ્લિકે સાથે મળીને ઈંધણના કરકસરપૂર્વકના ઉપયોગ તથા ઈ.વી. તથા પરંપરાગત ઊર્જાના સ્થાને સૌર ઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાથી ચાલતા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ, તેવી અપીલો થઈ રહી છે, તો બીજી તરફ વિરોધ પક્ષો પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિમાં સમતુલન જાળવવા અને મોંઘવારી અંકુશમાં રાખવામાં મોદી સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાની તડાપીટ બોલાવી રહી છે, કારણ કે ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવોમાં થઈ રહેલા વધારાના કારણે તમામ ચીજવસ્તુઓ મોંઘી થવા લાગતા પબ્લિક પરેશાન છે અને કચવાટ વ્યાપી રહ્યો છે.

આજે વિશ્વ સાયકલ દિવસ મનાવાઈ રહ્યો છે, અને સાયકલની પ્રગતિ યાત્રા વર્ણવાઈ રહી છે, તેની સાથે સાથે સાયકલના લોકલ પરિવહન માટે ઉપયોગ વધારીને પ્રવર્તમાન ઈંધણની ક્રાઈસીસની સ્થિતિમાં સહયોગી બનવાની સલાહ પણ અપાઈ રહી છે, તો બીજી તરફ હજુ પણ મોંઘવારી વધશે, તેવા મતલબના એક રિપોર્ટે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.

રેટિંગ એજન્સી ક્રિસિલે ગઈકાલે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઉત્તરોત્તર વધારો થતા ભારતીય ઈકોનોમિ પર ફૂગાવાજન્ય પ્રેસર વધશે. આ કારણે આગામી થોડા મહિનાઓમાં પરિવહન, પ્રવાસન અને ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો થશે, જેથી મોંઘવારી બેકાબૂ બનશે. આ રિપોર્ટમાં કરાયેલા દાવાઓ ચિંતા વધારનારા છે. આગામી અઠવાડિયામાં કદાચ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ત્રણ રૂપિયા જેટલો વધારો ઝીંકાય અને જો વૈશ્વિક ક્રૂડના ભાવોમાં સ્થિરતા રહેશે તો પણ છૂટક મોંઘવારી દરમાં ૦.૩૬ ટકાનો વધારો થઈ શકે છે, જે વધીને ૦.૪૮ ટકા સુધી પહોંચી શકે છે.

આપણાં દેશમાં હજુ પણ બળદગાડા, ઘોડાગાડી તથા ઉત્તરભારતમાં અન્ય પ્રાણીઓ જોડીને ચાલતા સાધનો દ્વારા દુર્ગમ વિસ્તારોમાં પરિવહન થાય છે, તો સાયકલ, ટ્રાઈસિકલ અને પેડલરિક્ષાઓ દ્વારા સ્થાનિક પરિવહન પણ હજુ થઈ રહ્યું છે, તેમ છતાં માલસામાનનું પરિવહન ૭૧ ટકા જેટલું સડક-પરિવહન કરતા વાહનો દ્વારા થાય છે, તો વિદેશી ઈંધણ પર નિર્ભર ૪ર ટકા પરિવહન ઉપરાંત હવાઈ અને દરિયાઈ પરિવહન માટે પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણની જરૂરિયાત અનિવાર્ય રહે છે, જે અર્થતંત્ર પર દબાણ ઊભું કરે છે.

આ રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, પરિવહન ખર્ચ વધવાથી લોકોની મૂળભૂત જરૂરિયાતો જ મોંઘીદાટ થઈ શકે છે. રસોડાની ચીજવસ્તુઓ, દૂધ અને તેની બાય-પ્રોડક્ટ્સ, ચા-કોફી, મસાલા, કઠોળ, ફળો અને શાકભાજી સહિત જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ મોંઘીદાટ બની શકે છે.

આ રિપોર્ટનેે ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ માત્ર રસોડાની જ નહીં, જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થશે, જેમાં ટેક્ષટાઈલ્સ, વુડન ઈન્ડસ્ટ્રીઝ, ઈલેક્ટ્રોનિક્સ સિમેન્ટ, કોલસો, ધાતુઓ, સિરામિક્સ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થતા અને રસાયણો, કોલ્ડ-સ્ટોરેજ તથા વીજ પુરવઠો મોંઘો થતા થોડા મહિનાઓ પછી મોંઘવારી હાહાકાર મચાવશે, તેવી દહેશત છે.

બીજી તરફ સરેરાશ મોંઘવારી દર માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નક્કી કરેલા માપદંડો હજુ જળવાઈ રહ્યા છે, અને એકંદરે મોંઘવારી દર રિઝર્વ બેંકના ચાર ટકાના માપદંડથી નીચે છે, પરંતુ થોડા મહિનાઓમાં મોંઘવારી આ માપદંડને ઓળંગી જશે, તેવી જે આશંકા વ્યક્ત થઈ રહી છે, જેને અવગણવા જેવી નથી.

એક અંદાજ મુજબ ચાર ટકાનો માપદંડ ઓળંગી ગયા પછી મોંઘવારી બે થી છ ટકાની વચ્ચે રહેશે. આરબીઆઈ મોંઘવારીમાં વધારો, સ્થાનિક અપેક્ષાઓ, ડિમાન્ડ એન્ડ સપ્લાઈ, અલનીનો, નબળા ચોમાસાની સંભાવના તથા હવામાનને સંલગ્ન બાબતો પર નજર રાખી રહી છે અને ઈકોનોમિ ક્રેશ ન થઈ જાય અને પબ્લિકને શક્ય તેટલી રાહત થાય, તેવા કદમ ઊઠાવી રહી છે, તેમ છતાં ચોતરફથી ઊભા થઈ રહેલા પડકારો તથા વૈશ્વિક કક્ષાએ અશાંતિ, યુદ્ધો અને કુદરતી આફતો તથા ઘરઆંગણે તે ઉપરાંત ચોમાસાની અનિયમિતતા, પ્રાકૃતિક આપદાઓ અને સરકારી નીતિઓમાં સંભવિત ફેરફારોના કારણે મોંઘવારી બેકાબૂ બની જશે, તેવી દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. આ તમામ કારણે ખાધ વધશે, જે અર્થતંત્રને ડામાડોળ કરી દેશે, તેવી આશંકા પણ રહે છે. તે ઉપરાંત સુપર અલનીનોની ભારતને થનારી સંભવિત ખતરનાક અસરોથી પણ મોંઘવારી વધી શકે છે.

આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા 'રેવડી' વહેંચવાની વૃત્તિ પણ દેશના અર્થતંત્ર પર નવું દબાણ ઊભું કરી શકે છે. તમિલનાડુમાં 'વિજય' સરકારે ચૂંટણીમાં કરેલા વાયદાઓ પૂરા કરવા જે નિર્ણયો લીધા છે, તેથી ત્યાંની પબ્લિકના કેટલાક વર્ગોને તો લાભ થશે, પરંતુ રાજ્યનું અર્થતંત્ર નબળું થતા તેનું પ્રેસર અંતે રાષ્ટ્રીય કક્ષા સુધી રહેશે, તેવી જ રીતે મહારાષ્ટ્ર સરકારે સહકારી ક્ષેત્રના રૂ।. બે લાખ સુધીના દેવા માફ કરવાના કરેલા નિર્ણય તથા પ. બંગાળમાં ભાજપ સરકારે કરેલા વાયદા પૂરા કરવા જે નિર્ણયો લેવાશે, તે પણ સંબંધિત રાજ્યોની ઈકોનોમિને અસર કરશે, જેનું અંતિમ પ્રેસર રાષ્ટ્રીય કક્ષાએ આવશે. આ તમામ કારણોસર આગામી સમયમાં મોંઘવારી માઝા મૂકશે, તેવી અટકળો થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh