તમે જ તમારા તબીબ

એવી કઈ દસ બાબતો છે, જે આપણને તંદુરસ્ત બનતા અટકાવે છે...?

આપણે સામાન્ય રીતે અત્યાર સુધીના અગાઉના લેખમાં ડાયેટ દ્વારા અને કસરતો દ્વારા શરીરને તંદુરસ્ત બનાવવા વિશે જ મુખ્યત્વે વાત કરી. આજે વિચારીએ એવી દસ વાતો જે તમને તંદુરસ્ત થતા અટકાવે છે.

૧. આપણી જ ભૂલોમાંથી શીખવાને બદલે બેદરકારી જેમ કે વારંવાર બહારનો ખોરાક ખાવો, કોઈ ખોરાક અગાઉ નુક્સાનકારક સાબિત થયો હોય છતાં ઉપયોગમાં લેતા રહેવો વગેરે.

ર. વજન ઘટાડવા માટે અનેકવિધ પ્રયત્નો કર્યા પછી પણ હંમેશાં ડાયેટ કે કસરત સિવાયના જાદુઈ રસ્તાની તલાશમાં રહેવું અથવા ડાયેટ અને કસરત સાથે પ્રયત્નો કર્યા વગર જ જે શક્ય જ નથી તેવા જાદુઈ રસ્તાઓ શોધવા.

૩. પોતાની સંભાળ રાખવાને બદલે બીજા પર આધારિત રહેવું. જેમ કે ડાયેટિશિયન પાસેથી ડાયેટ ચાર્ટ બનાવી લીધા પછી પણ તે બરાબર રીતે અનુસરવામાં આવે તે માટે અન્ય વ્યક્તિએ સતત ધ્યાન આપવું પડે.

૪. પોતાની ખોરાક લેવાની શૈલી બરાબર ના હોવા છતાં તેના પર ગર્વ કરો, અથવા સ્વીકારવું નહીં, અથવા પોતાની જાતને વધુ પડતી ક્રિટીસાઈઝ કરવી. જેના કારણે એક વાર મક્કમ નિર્ણય કર્યા પછી પણ ચરબી ઘટાડવાના પ્રયત્નો છોડી દેવા.

પ. 'હું તો એક વાર જ ભરપેટ જમું'- આવું કહેનારા ઘણાં ક્લાયન્ટ સાથે કામ કરવાનું થતું રહે. ખરેખર એમ કરવાથી દિવસ દરમિયાન વધુ સમય માટે પેટ ખાલી રહે છે, જે વધુ નુક્સાનકારક છે.

૬. દિવસ દરમિયાન જ્યારે પણ ખાવામાં આવે ત્યારે બે મીલ વચ્ચેનું અંતર અનિયમિત હોય તો એ પણ હિતાવહ નથી. જેમ કે સવારમાં ૭ વાગે નાસ્તો, ચા-કોફી લીધા પછી સીધું બપોરે ર-૩ વાગે અને ત્યારપછી રાતે સીધું ૮-૯ વાગે જમવું.

૭. રજાના દિવસોમાં જાણે કસરતમાં પણ રજા હોય તેમ ખાઈ-'પી'ને પડ્યા રહેવું. વળી ઘણાં લોકોને તો રોજ રજા હોય કે ના હોય ખાઈ-પીને માત્ર આરામ જ કરવાની આદત હોય છે. ખાસ કરીને રાતે જમ્યા પછી સૂતા પહેલા વધારે સમય ના રહેતો હોય, તો એ આદત સુધારવી જોઈએ.

૮. કસરતો અને ડાયેટ શરૃ કર્યા પછી તાત્કાલિક પરિણામની અપેક્ષા રાખવી પણ યોગ્ય નથી અને તે કારણ માત્રથી શરૃ કરેલી સારી આદત છોડી દેવી તો બિલકુલ યોગ્ય નથી.

૯ કસરતો અને ડાયેટ શરૃ કરવું જરૃરી છે, પણ અતિની ગતિ ક્યારેય પણ સારા માર્ગે હોતી નથી. માટે ક્રેશ ડાયેટ એટલે કે માંદગીને નોતરે તેવી રીતે ડાયેટ કે કસરત કરવા જોઈએ નહીં.

૧૦. ઉપરના ૯ મુદ્દાઓ જેટલું જ મહત્ત્વનું એ પણ છે કે ખોરાકને આયોજનબધ્ધ રીતે લેવો અને કસરતો કરવી એ જિંદગીનો ભાગ છે, જિંદગીનું લક્ષ્ય નથી... માટે ઘટાડવાના પ્રયત્નો કરતી વખતે જીવનના બાકીના લક્ષ્યાંકોને પણ એટલા જ મહત્ત્વના સમજવા અને જાળવી રાખવા.

 

 



close
Ank Bandh