Advertisement
Author: નોબત સમાચાર

સંસદના શોરબકોર વચ્ચે સોનુ, ચાંદી, શેરબજારમાં ઉતાર-ચઢાવ... સીતારમણ, અંબાણી અને તજજ્ઞો શું કહે છે ?

                                                                                                                                                                                                      

સુપ્રિમકોર્ટમાં મમતા બેનર્જીએ એસઆઈઆરના મુદ્દે વકીલ બનીને કરેલી ધારદાર દલીલો પછી સુપ્રિમકોર્ટને નોટિસ, સંસદમાં શરમજનક દૃશ્યો અને વાદ વિવાદો તથા નગરથી નેશન સુધી કેટલાક મોટા માણસોની જેલયાત્રાના અહેવાલો વચ્ચે પણ સોનુ, ચાંદી અને શેરબજારમાં હમણાંથી થતા રહેતા અસાધારણ ઉતાર-ચઢાવની ચર્ચા અને વ્યાપાર-ઉદ્યોગ તથા રાજકીય ક્ષેત્રોમાંથી તદ્વિષયક આવી રહેલા અભિપ્રાયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, તથા સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણે આપેલા મંતવ્યને કેન્દ્રમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાંથી પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોનાના ભાવોમાં અણકલ્પ્ય અને અસાધારણ ઉતાર-ચઢાવ પાછળ "ગ્લોબલ અનસર્ટેનિટી" અથવા વૈશ્વિક અનિશ્ચિતતાઓને જવાબદાર ગણાવી છે. ગ્લોબલ માર્કેટમાં સતત બદલાતી રહેતી આર્થિક સ્થિતિ તથા ભૌગોલિક-રાજકીય અને કૂટનૈતિક પ્રવાહો તરફ સંકેત કરતા નાણામંત્રીએ કહ્યું છે કે ઈન્વેસ્ટરોનો કેટલાક દેશોની કરન્સી (ચલણ) પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હોવાથી તેની સીધી અસર ગ્લોબલ ગોલ્ડ માર્કેટ પર પડી રહી છે., કારણ કે જનસામાન્ય ધારણા મુજબ સોનામાં થતું ઈન્વેસ્ટમેન્ટ સુરક્ષિત છે, જયારે પેપર કરન્સી એટલે કે રૂપિયો, પાઉન્ડ, ડોલર વગેરે જુદા જુદા દેશોની કાગળની કરન્સી (ચલણ)માંથી લોકોને વિશ્વાસ ડગમગી રહ્યો છે. રોકાણકારો સોનામાં મૂડી રોકાણને "સેઈફ હેવન" માનતા હોવાથી મોટા પાયે મૂડી રોકાણ સોનામાં કરે છે, ત્યારે ભાવો ઉછળે છે, પરંતુ જયારે નફો મેળવવા માટે એકસાથે પ્રોફિટ બુકીંગ થવા લાગે છે, અથવા વેચવાલી વધે છે, ત્યારે ભાવો તૂટે છે. આ સાયકલ હમણાંથી મોટા માર્જીન અથવા મોટા ગાબડાં પાડી રહી છે અને તેજ ગતિથી ફરી રહી છે. અને તેમાંજ સામાન્ય ગ્રાહકો, રોજીંદી જરૂરિયાતો કે પ્રસંગો માટે ખરીદી કરતી સામાન્ય જનતા પણ અટવાયા કરતી હોવાનો અભિપ્રાય પણ વ્યક્ત થતો હોય છે.

છેલ્લા એક અઠવાડિયામાં વૈશ્વિક બજારની અસરો, ભારત સરકારનું બજેટ, વૈશ્વિક અશાંતિનો પ્રભાવ તથા ટ્રમ્પ ટેરિફની તઘલખી જાહેરાતોના કારણે ભારતીય અને ગ્લોબલ માર્કેટોમાં થયેલી ઉથલ-પાથલો દરમ્યાન સોના-ચાંદીના ભાવો રોકેટ ગતિથી આસમાનને આંબી ગયા પછી તેટલી જ સ્પીડથી જમીન પર પછડાયા તેથી ઊંચા ભાવે રોકાણ કરનાર ઈન્વેસ્ટરો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ ગઈ, પરંતુ લગ્ન પ્રસંગો જેવી સામાજિક-પારિવારિક ઉજવણીઓ માટે સોનુ-ચાંદી ખરીદવાનું બાકી હતું તેઓને ટ્રમ્પ ટેરિફના ૧૮ ટકાની જાહેરાત પછી પછડાયેલા ગ્લોબલ અને નેશનલ માર્કેટના કારણે રાહત પણ થઈ છે.

બીજી તરફ નેશનલ-ઈન્ટરનેશનલ પ્રેસ-મીડિયામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું સોના-ચાંદીમાં ઈન્વેસ્ટમેન્ટને લઈને અપાયેલું મંતવ્ય આજે અગ્રીમ હરોળમાં ચર્ચાઈ રહ્યું છે.

મુકેશ અંબાણીએ જિયોની બ્લેકરોક પહેલની ચર્ચા કરતી વખતે આપણાં દેશમાં ગયા વર્ષે સોના-ચાંદીની થયેલી જંગી આયાતનો આંકાડાઓ સાથે ઉલ્લેખ કરતા કહ્યું કે ગતવર્ષે ૬૦ બિલિયન ડોલર સોનાની ભારતે આયાત કરી છે, જયારે ૧૦ થી ૧૫ બિલિયન ડોલર ચાંદીની પણ આયાત કરી છે, જેમાં ઈન્વેસ્ટરોએ મોટા પાયે રોકાણ કર્યું છે.

મુકેશ અંબાણીના અભિપ્રાય મુજબ સોના-ચાંદીમાં થતું મૂડી રોકાણ સુરક્ષિત તો છે, પરંતુ (વ્યક્તિગત, પારિવારિક કે રાષ્ટ્રીય) વૃદ્ધિ કે વિકાસને વેગ આપતું નથી, અને સીધા ઉત્પાદનમાં વધારો કરતુ નથી.

આપણે ભારતીયો બચત કરવામાં માનીએ છીએ, પરંતુ સોના-ચાંદીમાં મૂડી રોકાણ કરવાના બદલે જો આ બચત મૂડી બજારોમાં નાખવામાં આવે તો માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી કે વિવિધ કંપનીઓમાં કરેલા ઈન્વેસ્ટમેન્ટ થકી વ્યાપાર-ઉદ્યોગ, વ્યવસાયોને વેગ મળે, ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થાય, નોકરી-રોજગારીની તકો વધે, અને રોકારણકારોની સંપત્તિમાં વધારો થતો જણાય. ટૂંકમાં નાણાનો પ્રવાહ વહેતો રહે તે પ્રકારે બચત કરવી જોઈએ.

અંબાણીનું મંતવ્ય એવું હતું કે બચત કે મૂડી તિજોરીઓમાં સંગ્રહ કરીને રાખવાથી અથવા સોના-ચાંદી જેવી ધાતુઓમાં ઈન્વેસ્ટ કરીને રાખવાથી તે 'સ્થિર' થઈ જાય છે અને પ્રોડક્ટિવ રહેતી નથી, પરંતુ જો શેરબજારના માધ્યમથી ઈન્વેસ્ટમેન્ટ કરીને અર્થવ્યવસ્થાની સાયકલમાં રોકવામાં આવે તો તેના કારણે બહુહેતુક ફાયદાઓ થઈ શકે છે. તેમણે કહ્યું કે કિંમતી ધાતુઓ મૂલ્ય જાળવી રાખી શકે છે, જ્યારે શેરબજારમાં રોકાણ કરાયેલા (સમજદારીપૂર્વક) નાણા રિયલ એસ્ટેટ (સાચી સંપત્તિ)નું નિર્માણ કરી શકે છે.

તેમણે ભારતીય ઈકોનોમિને ફળ આપતા વૃક્ષ સાથે સરખાવીને કહ્યું કે ભારત લાંબા ગાળે આઠ થી દસ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરીને તેને ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે.

જયારે કિંમતી ધાતુઓની વાત આવે ત્યારે, રેર અર્થ માટે ફાંકા મારતા ટ્રમ્પદાદા અને જીનપીંગ અંકલ પણ યાદ આવી જ જાય. રેર અર્થ અથવા કિંમતી ખનિજોની ગ્લોબલ સપ્લાય પર ચીનનું વર્ચસ્વ હોવાથી ચીન સામે ટ્રમ્પે મોરચો માંડ્યો છે એન વોશિંગ્ટનમાં ભારત સહિત ૫૦ દેશોની કોન્ફરન્સ બોલાવીને આ મુદ્દે ચીનની પકડ ઢીલી કરવાની દિશામાં કદમ માંડ્યું, ત્યાં જ ચબરાક ચીને ચાલ બદલી અને શાણપણભર્યો પ્રત્યાઘાત આપ્યો. યુરોપિયન યુનિયન અને અમેરિકાના પ્રસ્તાવનો ઉલ્લેખ કરીને ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વિશ્વમાં ક્રિટિકલ મિનરલ ઈન્ડસ્ટ્રીયલ અને સપ્લાય ચેઈનને મજબૂત કરવા સંયુક્ત રીતે તેને સુરક્ષિત રાખવાના પ્રયાસો જરૂરી છે. વિશ્વના દેશોએ માર્કેટ ઈકોનોમિના સિદ્ધાંતોનું પાલન કરવાની જરૂર છે, અને પરસ્પર સંવાદ વધારવાની જરૂર છે.

સોનુ-ચાંદી, શેરમાર્કેટ અને રેર અર્થના વિષયો પર થતી ચર્ચા, અભિપ્રાયો તથા પ્રવર્તમાન પ્રવાહોને લઈને તદ્વિષયક તજજ્ઞો, માર્કેટીંગ સેકટર તથા જન-સામાન્યના બુદ્ધિજીવી વર્ગમાંથી પ્રતિ-પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે, જેનો નિચોડ એવો નીકળે છે કે નાણામંત્રીના સોના-ચાંદીના ભાવોના ઉતાર-ચઢાવ અંગેનો અભિપ્રાય ભલે તથ્યપૂર્ણ હોય, તો પણ પ્રવર્તમાન પ્રવાહોમાં દેશનો સામાન્ય નાગરિક અટવાઈ ન જાય અને ભારતીય કરન્સી તથા અર્થતંત્રમાં ભારતીયો તથા લોકલ-ગ્લોબલ ઈન્વેસ્ટરોનો વિશ્વાસ જળવાઈ રહે, તેની જવાબદારી તો સરકારની જ ગણાય.

રેર અર્થને લઈને ચીન ભલે હવે ડાહી ડાહી વાતો કરે, પરંતુ અત્યાર સુધી સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય નિયમોની અવગણના કરનાર ચીનનો જરાયે ભરોસો કરી શકાય તેમ નથી, તેવી જ રીતે અમેરિકાએ ભલે પ૦ દેશોની બેઠક બોલાવીને આ મુદ્દે ચીનને પડકાર્યું હોય, પરંતુ ભારતે તેમાં સહયોગ અને સમર્થન પણ સમજી વિચારીને કરવું જોઈએ, અને ચીન સામે અમેરિકા ભારતના ખભે રાખીને બંધુક ન ફોડે, તેની સાવચેતી રાખવી પડે તેમ છે.

બીજી તરફ એવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે કે માત્રને માત્ર શેરબજારમાં જ રોકાણ કે બચત કરવી જોઈએ અને વેન્ડિંગ કે કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાથી તદ્દન દૂર રહેવું જોઈએ, તેવું તો કહી શકાય નહીં, પરંતુ એવું કહી શકાય કે બચત અથવા ઈન્વેસ્ટમેન્ટ પૂરેપૂરી સમજદારી સાથે અને વ્યક્તિગત તથા દેશનો વિકાસ થાય, તેવી રીતે "પ્રોડકટીવ" હોવું જોઈએ, ગેમ્બલીંગની જેમ પણ ન હોવું જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh