Advertisement
Author: નોબત સમાચાર

સંચાર વ્યવસ્થાઓ ખોરવાઈ જાય, ત્યારે સર્જાતી અફરા-તફરી... બેકીંગમાં વિકલ્પો વિચારવા જરૂરી...

                                                                                                                                                                                                      

જામનગરમાં ગઈકાલે સાંજે થોડા સમય માટે કેટલાક મોબાઈલ સેલફોનમાં સિગનલ મળતા બંધ થઈ ગયા હતાં અને ઈન્ટરનેટ વ્યવહાર પણ ખોરવાયો હતો. મોબાઈલ ડેટા બંધ થતા જ ઘણાં વ્યવહારો ખોરંભે પડી ગયા હતાં. નાણાકીય વ્યવહારો જ નહીં,પરંતુ સંદેશા વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો, જેથી રોજીંદી જિંદગી પર વિપરીત અસરો પડી હતી. એવું કહેવાય છે કે, વોડાફોન-આઈડિયા (વીઆઈ) અને એરટેલનું નેટવર્ક ગઈ સાંજે કેટલાક સમય માટે ખોરવાઈ ગયું હતું.

આજે અદ્યતન ટેકનોલોજી તથા ઈન્ટરનેટના કારણે માનવજીવન ઘણું જ બદલી ગયું છે અને એક તરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, તો બીજી તરફ આ અદ્યતન વ્યવસ્થાઓ થોડીકવાર ખોરવાઈ જાય, તો પણ થોડા સમય માટે માનવી તરત પાંગળો અને હાંફળો ફાંફડો થવા લાગે છે, જેનું દૃષ્ટાંત ગઈકાલે સાંજે આપણે બધાએ જોયું પણ છે અને અનુભવ્યું પણ છે. આ સ્થિતિ એવું દર્શાવે છે કે, અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ આધારિત વ્યવસ્થાઓ જ્યારે ખોરવાઈ જાય, ત્યારે તેના વિકલ્પે ઓફલાઈન વિકલ્પો તથા કેટલાક દેશી પદ્ધતિના ઉપાયો પણ હોવા જોઈએ, જેથી વ્યવહારો તદ્ન ઠપ્પ થઈ જાય નહીં...

એવું નથી કે આવી સ્થિતિ માત્ર આપણા દેશમાં કે જિલ્લામાં જ થાય છે, આ ગ્લોબલ સમસ્યા છે. તાજેતરમાં જ લાલસાગરમાં લાંગરેલા જહાજોના લંગર સાથે ટકરાઈને કેટલાક અંડર શી (દરિયાના તળિયે બીછાવેલા) કેબલ્સ ક્પાઈ ગયા હતાં, જેના કારણે ભારત, પાકિસ્તાન તથા મીડલ ઈસ્ટના દેશોમાં ઈન્ટરનેટ ધીમુ પડી ગયું હતું અને કેટલાક સ્થળે બંધ થઈ ગયું હતું. આ કારણે સડક-રેલવે અને હવાઈ સેવાઓ, બેન્કીંગ સુવિધાઓ તથા ઘણી ઈન્ટરનેટ આધારિત સેવાઓ ખોરવાઈ જતા હાહાકાર મચી ગયો હતો.

વિશ્વનું ૯પ ટકાથી વધુ ઈન્ટરનેટ દરિયાના તળિયે બિછાવેલા સબમરીન કેબલ્સ આધારિત છે. જો આ કેબલ્સ તૂટી જાય, તો આપણે આખા દેશ અથવા મહાદ્વીપોમાં ઈન્ટરનેટ ધીમુ પડી જાય છે, અને ક્યારેક થોડા સમય માટે તદ્ન બંધ પણ થઈ જાય છે, અને તેની મરામત જટિલ અને મહેનત માંગી લેતી હોવાથી પડકારરૂપ બને છે.

કોરોનાકાળના ઉત્તરાર્ધમાં વર્ષ ર૦ર૧ માં પણ ફેસબુક, વ્હોટ્એપ, ઈન્સ્ટાગ્રામ સહિતની પેટા કંપનીની ઈન્ટરનેટ આધારિત ઓનલાઈન સુવિધાઓ ખોરવાઈ ગઈ, ત્યારે ઉહાપોહ મચી ગયો હતો. આ ખલેલ પહોંચી અને તમામ ડેટા સેન્ટર્સ ૬ કલાક માટે ઓફલાઈન થઈ ગયા હતાં, તેનું કારણ અક કોન્ફિગ્રેશન ક્ષતિ હતી. એમ કહેવાય છે કે, સાડાત્રણથી ચાર અબજ લોકો પ્રભાવિત થયા હતાં.

જ્યારે ગુગલ, એ.ડબલ્યુ.એસ કે મેટા જેવી જાયન્ટ ટેક કંપનીઓના સર્વર્સ ડાઉન થાય કે ક્લાઉડ, સિસ્ટમ્સ ખોરવાય, ત્યારે હજારો વેબસાઈટ્સ અન એપ્લિકેશન્સ એક સાથે ઠપ્પ થઈ જાય છે. આ કારણે પ્રવર્તમાન ઈન્ટરનેટ આધારિત તમામ પ્રવૃત્તિઓ, પ્રક્રિયાઓ અને સેવાઓ અટવાઈ જાય છે, ત્યારે આપણે અદ્યતન ટેકનોલોજીના વધી રહેલા વ્યાપની સિક્કાની બીજી બાજુ પણ અનુભવતા જોઈએ છીએ.

ઘણી વખત સ્થાનિક કારણોસર પણ ચોક્કસ વિસ્તારોમાં નેટવર્ક ખોરવાઈ તું હોય છે. જામનગરની જેમ જ એેક વિકાસ કામે સડકો ખોદવામાં આવે, તે ફરીથી પૂર્વવત થાય, ન થાય, ત્યાં બીજા કામ માટે ખોદકામ થાય. આ દરમિયાન જમીનમાં બીછાવેલી પાણીની પાઈપલાઈનો, અંડરગ્રાઉન્ડ વીજકેબલ્સ અને ઘણી વખત ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ પણ કપાઈ જતા હોય છે. આ કારણે પણ આખા શહેર, વિસ્તાર કે કેટલાક ચોક્કસ હિસ્સામાં ઈન્ટરનેટ ગાયબ થઈ જતું હોય છે, અને તેની મરામત થતા સુધી તમામ ડિજિટલ વ્યવહારો, ઈન્ટરનેટ આધારિત સેવાઓ તથા ઘણી વખત સંદેશાવ્યવહાર પણ ખોરંભાઈ જતો હોય છે. આ સ્થાનિક કારણોસર ઓનલાઈન સુવિધાઓ તથા ડિજિટલ પેમન્ટ તથા હોમ ડિલિવરી સહિતના વ્યવહારો ખોરવાઈ જતા ઘણી વખત વિચિત્ર સ્થિતિ ઊભી થતી હોય છે.

ઈન્ટરનેટ ઘણી વખત કૃત્રિમ અથવા શુદ્ધ ઈરાદાપૂર્વક પણ બંધ કરવામાં આવતું હોય છે. કાનૂન વ્યવસ્થા જાળવવા, પેપરલીક અટકાવવા, હિંસક તોફાનો, આંદોલનો અને ચળવળો દરમિયાન અફવાઓ ફેલાતી અટકાવવા અથવા વીવીઆઈપીના આગમન વખતે સુરક્ષા કારણોસર તંત્રો દ્વારા પણ ચોક્કસ-મર્યાદિત સમય માટે ઈન્ટરનેટ બંધ કરવામાં આવતું હોય છે.

ઘણી વખત સાયબર હુમલાઓ વધી જાય ત્યારે પણ ઈન્ટરનેટ અટકાવાય છે, તો કેટલીક વખત ચોક્કસ સ્પોટમાં સાયબર એટેકની આશંકાના કારણે પણ ઈન્ટરનેટ સુવિધા અટકાવી દેવામાં આવતી હોય છે. વર્ષ ર૦૧ર માં અલાસ્કાના મતનુસ્કા અને સુમિત્રાના વિસ્તારોમાં સાયબર હુમલાઓના કારણે ડિજિટલ સુવિધાઓ સદંતર ઠપ્પ થઈ જતા લોકોએ કોમ્પ્યુટર્સના બદલે ફરીથી ટાઈપરાઈટર્સનો ઉપયોગ કરવો પડ્યો તો. તે સમયે ત્યાં ઈન્ટરનેટ પૂર્વવત થતા અઢી મહિના જેટલો સમય લાગ્યો હતો.

વર્ષ ર૦૧૯ માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા પછી ત્યાં લાંબા સમય સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવાયું હતું. તે પછી પણ સુરક્ષા કારણોસર અને આતંકી હુમલાઓ પછી અવાર-નવાર ઈન્ટરનેટ બંધ કરવામાં આવે છે. વર્ષ ર૦ર૪-રપ માં મણીપુરમાં અને છેલ્લા કેટલાક વર્ષો દમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ, આસામ, ઉત્તરપ્રદેશ, પ. બંગાળ વિગેરે શહેરોમાં પણ વિવિધ કારણોસર ઈન્ટરનેટ સુવિધા ચોક્કસ સમય માટે બંધ કરવી પડી હોય તેવા ઘણાં દૃષ્ટાંતો છે. ગુજરાતમાં પણ વર્ષ ર૦૧પ માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે તથા વર્ષ ર૦૧૬ માં તલાટીઓની ભરતી માટે લેવાનાર પરીક્ષા સમયે પણ કામચલાઉ ધોરણે ઈન્ટરનેટ બંધ કરાયું હતું, તે ઉપરાંત સીએએ વિરોધી આંદોલન તથા કેટલાક વિવિધ વિરોધ-પ્રદર્શનો સમયે પણ થોડા કલાકો માટે અલગ-અલગ સ્થળે ઈન્ટરનેટ બંધ કરાયું હતું. આ તમામ અનિવાર્ય ગણી શકાય તેવા પ્રતિબંધો સમયે પણ લોકોને મુશ્કેલી તો પડી જ હતી.

આ રીતે કૃત્રિમ, કુદરતી કે અનિવાર્ય સંજોગોમાં ઈન્ટરનેટ ઠપ્પ થાય, અટકાવાય, ધીમુ પડે કે ખોરવાઈ જાય, ત્યારે પણ કેટલીક સુવિધાઓ તદ્ન અટકી ન પડે અને તદ્ન ઓનલાઈન સુવિધાઓ કે ડિજિટલ વ્યવસ્થાઓના આધિન રહેવાના બદલે લોકોને તેનો કોઈ અસરકારક વિકલ્પ મળી રહે, તે દિશામાં વિચારવું જ જોઈએ. ખાસ કરીને સડક, રેલવે, હવાઈ પરિવહન, ડિજિટલ પેમેન્ટ તથા એજ્યુકેશન-હેલ્થ-સરકારી રોજીંદી સેવાઓમાં વૈકલ્પિક ઓફલાઈન વ્યવસ્થાઓ પણ બેકીંગમાં (પહેલા હતી તેવી રીતે) સક્રિય રાખવી જોઈએ, જેથી 'પેનિક' તથા અફરા-તફરી થતી અટકાવી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh