Advertisement
Author: નોબત સમાચાર

બાળકો માટે ટકી રહેવા સંબંધો ફરજ અને મૌન વચ્ચે અટવાયેલું દામ્પત્યજીવન

                                                                                                                                                                                                      

એક દંપતી... લગ્નના દસ વર્ષ... શરૂઆતના વર્ષાેમાં જે પ્રેમ હતો તે સમય જતા વિચારો, અપેક્ષાઓ અને વ્યસ્તતાને કારણે ઘટતો ગયો... નાના નાના મતભેદોએ લાગણીમાં મોટું અંતર લાવી દીધું.. બંને વચ્ચે વાતચીત માત્ર જરૂર પૂરતી જ થતી... સાથે બેસીને પ્રેમથી વાત કરવાનું કે સાથે બેસીને જમવાનું એ ક્ષણો-એ સમય તો ગાયબ જ થઈ ગયો.. બંને વચ્ચે ઝઘડા ન થતા-પણ મૌન ઘણું હતું...

છતાં બંને સાથે હતા.. કારણ કે તેમની નાની દીકરી.. અલગ થઈ જઈએ તો દીકરી પર શું અસર પડશે. એ વિચારે બંનેએ મતભેદ-મનભેદ અને મૌનની સાથે જીવવાનું સ્વીકાર્યું... હવે તે બંને પતિ-પત્ની ન રહ્યા... ફક્ત માતા-પિતા જ બની રહ્યા...

આધુનિક સમાજમાં દામ્પત્યજીવનને લઈને ઘણાં પરિવર્તનો આવ્યા છે. એક સમયે લગ્નજીવનને સાત જન્મનું બંધન માનીને લોકો પોતાની ખુશી-દુઃખ બધું જ સહન કરતા.. આજે સંબંધોમાં પારદર્શિતા અને સ્વતંત્રતા વધ્યા છે. છતાં એક હકીકત એ પણ છે જ કે અનેક યુગલો માત્ર બાળકોના કારણે જ એક સાથે રહે છે. બહારથી બધું સામાન્ય દેખાય છે, પણ અંદરથી સંબંધો ખોખલા બની ગયેલા હોય છે.

આ વિષય અંત્યત સંવેદનશીલ છે. અહીં ટીકા કરવાનો આશય નથી, પણ એ સમજવાનો પ્રયત્ન છે કે બાળકો માટે ટકી રહેલા સંબંધો કેટલી હદે યોગ્ય છે અને તેના માનસિક-સામાજિક પરિણામો શું હોઈ શકે? આજના યુગમાં લગ્ન માત્ર સામાજિક કરાર નથી તે બે વ્યક્તિઓની લાગણી, સમજણ અને પરસ્પર સન્માન પર આધારીત હોય છે, જ્યારે આ ત્રણેય તત્ત્વ ધીમે ધીમે ઓગળવા લાગે ત્યારે સંબંધો ફક્ત જવાબદારી બની જાય છે. અનેક યુગલો, અલગ થવા ઈચ્છે છે, પણ 'બાળકો પર શું અસર પડશે?' એ વિચાર તેમને રોકી લે છે.

ઘણાં માતા-પિતા માનતા હોય છે કે બાળકોને માતા-પિતા બંનેની હાજરી જોઈએ. ભલે તેઓ વચ્ચે પ્રેમ કે સમન્વય ન રહ્યો હોય. તેઓ માને છે કે તૂટેલુ ઘર બાળકો માટે વધુ નુકસાનકારક છે પરંતુ શું માત્ર એક છત નીચે રહેવું જ પરિવારની પરિભાષા પૂરી કરે છે?

બાળકો અત્યંત સંવેદનશીલ હોય છે. તેઓ શબ્દોથી વધારે મૌન અને વર્તનને વાંચે છે. માતા-પિતાની વચ્ચેનો તણાવ, તર્ક-વિતર્ક, અવગણના અને મૌન બધું જ તેમની આંતરિક દુનિયામાં ઊંડુ અસર કરે છે. ઘણાં કિસ્સામાં માતા-પિતા વચ્ચેનો તણાવ ખૂલ્લેઆમ ન હોય પરંતુ ઘરમાં અજાણી ઠંડક હોય છે.. પ્રેમભર્યાે સંવાદ ન હોય, હાસ્ય ન હોય, સહજતા ન હોય ત્યારે બાળકો પણ એમ જ વિચારે કે લગ્નજીવન એટલે માત્ર સમજુતી-સહનશીલતા અને મૌન અને આવા વાતાવરણમાં ઉછરેલા બાળકોમાં સંબંધો પ્રત્યે અવિશ્વાસ જોવા મળે છે. તેઓ કદાચ બહારથી સંયમિત લાગે, પણ અંદરથી તૂટેલા હોય છે.

જ્યારે પતિ-પત્ની એમ કહે છે કે 'અમે બાળકો માટે સાથે છીએ' ત્યારે એમાં બે ભાવ હોઈ શકે છે.. એક સાચો ત્યાગ અને બીજો સામાજિક ભય. કેટલાક માતા-પિતા ખરેખર પોતાના મતભેદ પર કામ કરે છે. કારણ કે તેઓ પરિવાર તોડવા માંગતા નથી, એટલે સમજણ વધારવાનો પ્રયત્ન કરે છે. આવા કિસ્સામાં 'બાળકો માટે' ટકવું અર્થપૂર્ણ બની શકે છે પરંતુ ઘણી વખત 'બાળકો માટે' એ એક ઢાલ બની જાય છે. ભય અને સામાજિક કલંકથી બચવાનો .પાય, સમાજમાં હજુ પણ વિભક્ત દામ્પત્યને સારી નજરથી જોવામાં નથી આવતુંં.

સમાજમાં ઘણીવાર એવો ભાવ હોય છે કે 'ઘર તૂટવું' એ નિષ્ફળતા છે પરંતુ કેટલીક પરિસ્થિતિમાં અલગ થવું વધારે સારો નિર્ણય બને છે. જો બાળક રોજ ઝઘડા, અપમાન કે હિંસા જોઈને ઉછરે તેના બદલે અલગ થવું વધુ યોગ્ય છે. મહત્ત્વની વાત એ છે કે માતા-પિતા અલગ થયા પછી પણ સંયુક્ત રીતે બાળકોની જવાબદારી સ્વૈચ્છાએ નિભાવે.

ભારતીય સંદર્ભમાં લગ્ન માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નથી. તે બે કુટુંબો અને સામાજિક માળખાનો ભાગ છે. ઘણીવાર પરિવારજનો સગાસંબંધી અને સમાજની અપેક્ષા દંપતીના નિર્ણયને પ્રભાવિત કરે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અથવા પરંપરાગત પરિવારોમાં 'બાળકો માટે સહન કરવું' એ એક ગુણ તરીખે જોવામાં આવે છે. સ્ત્રીઓ માટે આ દબાણ વધુ હોય છે. તેમને સંતાનની માતા તરીકે પોતાની વ્યક્તિગત ખુશી ત્યાગવાની હોય છે. પરંતુ બદલાતા સમય સાથે સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બની રહી છે અને સંબંધોમાં સમાનતા અને સન્માનની માંગ ઉઠાવી રહી છે. આ પરિવર્તન દામ્પત્ય માળખાને નવી દિશા આપે છે.

પ્રશ્ન એ નથી કે 'સાથે રહેવું કે અલગ થવું?' પ્રશ્ન એ છે કે બાળકો માટે કઈ પરિસ્થિતિ વધુ સ્વસ્થ છે. જો માતા-પિતા વચ્ચે મતભેદ હોવા છતાં પરસ્પર સન્માન, શાંતિ, સંવાદ જળવાઈ રહે તો બાળકો માટે ઘરનું વાતાવરણ સલામત બની શકે છે. પણ જો સતત તણાવ, અપમાન અને મૌન હોય તો તે બાળકોના વ્યક્તિત્વ વિકાસને અસર કરે છે. બાળકોને સૌથી વધુ જે જોઈએ છે તે છે સુરક્ષા, પ્રેમ અને સ્વીકાર... તેઓને માતા-પિતાની વચ્ચેનો પ્રામાણિક સંબંધ જોઈએ છે. પણ ઘણાં યુગલો આ સમજતા નથી અને મૌન ધારણ કરે છે. પણ આ સમસ્યાનો ઉકેલ છે જ... અને સંબંધ સુધારવા પ્રયત્ન પણ કરવો જોઈએ. મુખ્ય વાત એ છે કે દંપતી જે નિર્ણય લે તે પ્રેમ અને સમજણથી લેવો જોઈએ. માત્ર ભય અથવા સામાજિક દબાણથી નહી.

સમાજ તરીકે આપણે દામ્પત્યને માત્ર ટકાવી રાખવાની જ નહી પણ તેને ગુણવતાપૂર્ણ બનાવવાની જરૂર છે. બાળકો માટે એકસાથે રહેવું ત્યારે જ અર્થપૂર્ણ બને, જ્યારે તે બાળકોને સ્વચ્છ, પ્રેમાળ અને સુરક્ષિત વાતાવરણ મળે. બાળકોને તૂટેલું ઘર નહી, પણ તૂટેલા સંબંધો વધુ દુઃખ આપે છે. દરેક યુગલે પોતાના મનમાં એક પ્રશ્ન પૂછવો જોઈએ કે 'અમે ખરેખર બાળકો માટે સાથે છીએ કે માત્ર ડર માટે?' સમાજને પણ એ સમજવું પડશે કે દામ્પત્યનો અર્થ માત્ર સાથે રહેવું જ નથી. તે સાથે ખુશ રહેવું પણ છે. જ્યાં ખુશી ન હોય ત્યાં ઈમાનદારીથી નિર્ણય લેવાની હિંમત પણ એકજાતની જવાબદારી છે.

આ સંવેદનશીલ મુદ્દે ચર્ચા કરવાની જરૂર છે, દોષારોપણ નહી પરંતુ સમજણ અને સહાનુભૂતિ સાથે... કારણ કે અંતે દરેક નિર્યણનું કેન્દ્રબિંદુ છે... બાળકોનું ભવિષ્ય અને તેની ખુશી...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh