Advertisement
Author: નોબત સમાચાર

ઓપરેશન સિંદૂર પાર્ટ-ર પછી એક જ રાતમાં પાક.તબાહ.. યે તો અભી ટ્રેલર હૈ... પિક્ચર તો અભી બાકી હૈ...

                                                                                                                                                                                                      

પહલગામ હૂમલાનો બદલો લેવા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ નવ આંતકી ઠેકાણા ધ્વસ્ત કર્યા પછી ગઈરાત્રે ઓપરેશન સિંદૂર પાર્ટ-ર હેઠળ વધુ આતંકી સ્થળોના ખાત્મા ઉપરાંત પાકિસ્તાને અસંખ્ય ડ્રોન દ્વારા કરેલા હૂમલાને નિષ્ફળ બનાવીને જે પ્રચંડ પ્રહારો કર્યા અને પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી, ઈસ્લામાબાદ, કરાંચી સહિતના મોટા શહેરોમાં ડ્રોન-મિસાઈલો દ્વારા જે આક્રમણ કર્યુ, તે પછી એક જ રાતમાં પાકિસ્તાનમાં તબાહી મચી ગઈ હતી, અને રાતોરાત ત્યાંના સેનાના વડા બદલાઈ ગયા હતાં, એટલું જ નહીં, ભારતીય સેનાની આર્મી, વાયુદળ અને નૌકાદળે જે રીતે વ્યૂહાત્મક ઢબે પાકિસ્તાનની તમામ ડિફેન્સ સિસ્ટમો, ઉડતું રડાર અને બંદર તથા સ્ટેડિયમ વિગેરેને ફૂંકી માર્યા પછી કેટલાક આતંકી આકાઓને મોત પ્રત્યક્ષ દેખાવા લાગ્યુ હશે. પાકિસ્તાને કલ્પના પણ નહીં કરી હોય, તેવા પ્રચંડ પ્રહાર પછી આજે પણ એલઓસી પર ગોળીબાર, સીમાપારથી ઘૂસણખોરી અને ડ્રોન હૂમલાના પ્રયાસો જોતા એમ જણાય છે કે, ઓપરેશન સિંદૂર હવે પાકિસ્તાનની પોતાની અવળચંડાઈના કારણે પૂર્ણ કક્ષાના યુદ્ધમાં ફેરવાઈ જશે.

યે તો અભી ટ્રેલર હૈ... પિક્ચર તો અભી બાકી હૈ...

ગઈરાત્રે પાકિસ્તાને ગુજરાતથી જમ્મુ-કાશ્મીર યુદ્ધની સરહદો સુધી પહેલા જે ડ્રોન-મિસાઈલ હૂમલાના પ્રયાસો કર્યા તે તો ભારતની ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવી દીધા હતાં, પરંતુ તે પછી ભારતે કરેલા પ્રતિપ્રહારો દરમિયાન પાકિસ્તાનમાં ભારે તબાહી મચી ગઈ હતી, અને પાકિસ્તાને તેના ત્રણ-ચાર યુદ્ધ વિમાનો તથા મિસાઈલો પણ ગુમાવ્યા હતાં, એટલું જ નહીં, ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા થયેલા પ્રચંડ અને અનઅપેક્ષિત પ્રહારોથી પાકિસ્તાનમાં ભારે ફફડાટ ફેલાયો હતો. પાકિસ્તાનના નિષ્ફળ ડ્રોનના હૂમલાથી તો ભારતમાં કોઈ નુકસાન થયું નહીં, પરંતુ તેના જવાબમાં ગઈકાલે રાત્રે થોડા કલાકોમાં જ ભારતે પાકિસ્તાનના અનેક શહેરોમાં તબાહી મચાવી દીધી હતી.

કરાંચી બંદર તો ખંઢેર જ થઈ ગયું હતું. પાકિસ્તાનના તમામ મોટા શહેરોની ડિફેન્સ સિસ્ટમો નાશ પામી. પાકિસ્તાનમાં સંખ્યાબંધ વ્યૂહાત્મક સ્થળોને ભારતીય સેનાએ કાટમાળમાં ફેરવી નાંખ્યા. પાક.ના વડાપ્રધાન શાહબાજના નિવાસસ્થાનથી તદ્દન નજીક ભારતીય સેનાની મિસાઈલો ખાબકી અને એક જ રાતમાં પ્રચંચી પાકિસ્તાન ત્રાહિમામ...ત્રાહિમામ... પોકારવા લાગ્યુ હતું. અડધી રાત પછી તબાહ થયેલા પાકિસ્તાને વિશ્વ સમુદાય સમક્ષ કાકલૂદીઓ કરવી પડી હતી, જે ભારતીય સેનાની તાકાત દર્શાવે છે.

ગઈરાત્રે પાકિસ્તાન પર એક તરફ ભારતીય સેના ચોતરફથી ત્રાટકી રહી હતી, તો બીજી તરફ બ્લુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ દ્વારા પણ પાકિસ્તાનના વ્યૂહાત્મક સ્થળોમાં વિસ્ફોટો કરાયા અને પાકિસ્તાનનો ધ્વજ હટાવીને તેમનો (બ્લુચિસ્તાનનો) ધ્વજ લહેરાવી દેવાયો, તો ઈમરાનખાનના સમર્થકો પણ સડકો પર ઉતરી જતા પાક.માં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આથી પાકિસ્તાનમાં આખી રાત ગભરાટ ફેલાયો અને નાસભાગ પણ મચી હતી. રાવલપિંડીનું સ્ટેડિયમ, કરાંચી બંદર અને અનેક વ્યૂહાત્મક સ્થળો પર પણ ભારતીય સેના ત્રાટકતા તબાહી અને બરબાદીના દૃશ્યો સર્જાયા હતાં, અને રાતોરાત પાકિસ્તાનના સૈન્ય વડા મુનિરને હટાવીને તેના સ્થાને મિરઝાને પાકિસ્તાની સેનાની કમાન્ડ સોંપાઈ હતી. તે પછી તખ્તાપલટની સંભાવનાઓ પણ ઊભી થઈ ગઈ હતી. કાયર અને નફફટ પાકિસ્તાની શાસકો દ્વારા લૂલો બચાવ અને આક્ષેપો થતા રહ્યાં અને બીજી તરફ ભારતના વિદેશમંત્રી વિશ્વ સમુદાય સાથે સતત સંપર્કોમાં રહ્યા અને વાસ્તવિક સ્થિતિ વર્ણવતા રહ્યાં હતાં. તો વિપક્ષના ટોચના નેતાઓ સરકારની પડખે અડીખમ ઊભા રહ્યાં...

એક તરફ ભારતે વળતો હૂમલો કર્યો, તેમાં પણ પાકિસ્તાનના નિર્દોષ નાગરિકો અને ત્યાંના વસાહતી વિસ્તારોને નુકસાન ન થાય, તેનો ખ્યાલ રાખ્યો, તો બીજી તરફ પ્રપંચી જૂઠ્ઠા અને કાયર પાકિસ્તાની શાસકો તથા ત્યાંની નપાવટ સેનાએ એલઓસી પર રહેતા ભારતીય નિર્દોષ લોકો પર આર્ટીલરી એટેક ચાલુ રાખીને તથા ક્રૂરતા, માનવતા અને સમજદારીને નેવે મૂકીને યુદ્ધના મૂળભૂત કેટલાક સિદ્ધાંતો અને નિયમોનો પણ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુદ્ધમાં બધું જ યોગ્ય હોવાના ગાણા ગાઈને પાકિસ્તાની પબ્લિકને ભરમાવવા ખોટા અને ખોખલા દાવા થયા અને સવાર થતા સુધીમાં તો નક્કર વાસ્તવિકતાઓ સામે આવી ગઈ હતી. આ અંગે આજે જે સીલસીલાબંધ વાસ્તવિક વિગતો રજૂ થઈ, તે પછી પાકિસ્તાનની પોકળતા અને જૂઠ્ઠાણાઓનો પર્દાફાશ થઈ ગયો છે. કુદરતી આફતો સમયે ભારતે જેને જીવતદાન આપ્યુ હતું. તે દગાબાજ તૂર્કીયે સિવાયના વિશ્વ સમુદાયે ગઈકાલે પાકિસ્તાનની તરફેણ કરવાના બદલે તેને દર્પણ દેખાડ્યુ હતું, તે પણ નોંધનીય છે.

આજે પણ પાકિસ્તાન એલઓસી પર ગોળીબાર ઉપરાંત ડ્રોન દ્વારા હૂમલા કરી રહ્યું છે અને તેના તમામ હૂમલા નિષ્ફળ થઈ રહ્યાં છે. તેથી હવે આરપારની લડાઈ નિશ્ચિત છે, ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી, તેની ખેલજગત પર પણ વિપરીત અસર પડી છે. ભારતમાં આઈપીએલની ધર્મશાળામાં રમાઈ રહેલી ચાલુ ક્રિકેટ મેચ અડધેથી પડતી મૂકાઈ ગઈ, તો પાકિસ્તાનની પીએસએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ હવે યુએઈમાં રમાશે, તે જોતા ભારત-પાકિસ્તાનની આ તંગદિલી એકાદ-બે દિવસમાં ખતમ થવાની નથી, તેવું જણાઈ રહ્યું છે. બીજી તરફ એક જ રાતમાં પાકિસ્તાન પાયમાલ થઈ ગયું હોવાથી એકાદ અઠવાડિયામાં જ પાકિસ્તાન વેરવિખેર થઈ જશે, તેમ જણાય છે. જામનગર સહિત હાલાર પણ એલર્ટ છે. ગઈકાલે રાત્રે અંધારપટ સહિતની સાવચેતીઓ રખાઈ હતી અને અંધારપટનો લાભ ગુનેગારો, ચોર કે તસ્કરો ન લઈ જાય, તે માટે પણ તંત્રએ વિશેષ તકેદારીઓ લીધી હોવાના તથા કંટ્રોલ શરૃ કર્યાના અહેવાલો જોતા હવે ઓપરેશન સિંદૂર-૧,ર,૩ પછી પણ તંગદિલી પૂર્ણ કક્ષાના યુદ્ધ તરફ ધકેલાઈ રહી હોય તેમ જણાય છે...પણ ભારતનો વિજય નક્કી છે... મેરા ભારત મહાન...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh