Advertisement
Author: નોબત સમાચાર

લગ્ન પછી સ્ત્રીના જીવનમાં ફેરફાર મૌન એડજસ્ટમેન્ટ...

                                                                                                                                                                                                      

લગ્નના પાંચ વર્ષ પછી એક દિવસ અચાનક પતિએ પત્નીને કહ્યું કે, 'તારો સ્વભાવ બદલાઈ ગયો છે, પત્નીએ હસીને કહ્યું, આ વાતનો જવાબ એકાદ-બે દિવસમાં આપીશ...' તે રાત્રે પત્નીએ પતિનું ઓશીકુ બદલાવી નાખ્યું... પતિ સૂવા આવ્યો ત્યારે બીજુ ઓશીકુ જોઈને ગુસ્સે થયો કે, મારૃં ઓશીકુ ક્યાં? મને બીજુ ઓશીકુ નથી ફાવતું એ ખબર છે ને... પત્ની કંઈ બોલી નહી અને હસીને પતિનું ઓશીકુ આપી દીધું... બીજા દિવસે સવારથી પતિની આદત હોય તેમાં કંઈકને કંઈક ફેરફાર થવા લાગ્યા... પતિનો કોફીનો કપ બદલાઈ ગયો, પેપરની જગ્યા બદલાઈ ગઈ, તેના કપડા, પર્સ તૈયાર ન હતું... ટિફિનમાં તેને ન ભાવતી વાનગી મોકલાય ગઈ.. એક દિવસ પતિ ન બોલ્યો.. બીજા દિવસે ગુસ્સામાં કહ્યું.. આ શું છે? મારી આદત કેમ બદલે છે? તને ખબર છે કે મારે જે જોઈએ તે જોઈએ જ... બધું કેમ બદલાવે છે? બે દિવસથી મારો મૂડ જ નથી રહેતો... ત્યારે પત્નીએ હસીને કહ્યું.. તમારે એક-બે દિવસ તમારૂ રૂટીન બદલાઈ ગયું તો પણ તમે અકળાઈ ગયા.. તમારૂ મગજ ફરી ગયું.. અને મારૃં તો આખું ઘર બદલાઈ ગયું.. મારી લાઈફ સ્ટાઈલ, મારી મરજી, મારી પસંદગી, મારી ઓળખ બધું જ બદલાઈ ગયું... અને તમને શું દેખાયું? ફક્ત મારો બદલાયેલો સ્વભાવ...?

આ કદાચ દરેક સ્ત્રીના મનની વાત છે, લગ્ન પછી જીવન બદલાય જાય એવું બધા કહેતા હોય છે, પણ લગ્ન પછી સ્ત્રીનું જીવન જ બદલાય છે, પુરૂષના જીવનમાં બહુ ફેર પડતો નથી. તે તો લગ્ન પછી પત્નીને પોતાની આદતો જણાવી જ દે છે અને ઘરના પણ તેને એમ જ કહે કે પતિની આદતો સાથે એડજેસ્ટ કરી લે...

લગ્ન-સમાજે ઘડેલી એક એવી વ્યવસ્થા, જેને 'સુખની શરૂઆત' તરીકે જવવામાં આવે છે. શરણાઈના સુર, મંગળસૂત્રની ઝળહળ, હાથોમાં મહેંદી અને આંખોમાં અઢળક સપના... બધું જ નવા જીવનના આરંભનો સંકેત આપે છે. પરંતુ આ આરંભ પછીનો માર્ગ સ્ત્રી માટે કેટલો બદલાઈ જાય છે એ અંગે સમાજ ઘણીવાર મૌન રહે છે. લગ્ન પછી પુરૂષનું જીવન એડજસ્ટમેન્ટથી નહી, પણ એડવાન્ટેજથી આગળ વધે છે, જ્યારે સ્ત્રીના જીવનમાં સતત એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે છતાં તે ફરિયાદ વગર, જાતને ભૂલીને આ બધું કરે જ છે.

લગ્નથી સ્ત્રીની ઓળખ બદલાય છે. દીકરી, બહેન કે કંઈ કામ કરતી હોય તે નામથી લગ્ન પહેલા થતી ઓળખ હવે ફલાણાની પત્ની, ફલાણા ઘરની વહુ જેવા નામથી ઓળખાય છે. સૌથી પહેલાં તો અટક બદલાય છે. ક્યારેક સાસરીયાને નામ ન ગમે તો નામ પણ બદલાય છે.. પણ છતાં સ્ત્રી આ ઓળખ બદલાવને શાંતિથી સ્વીકારી લે છે.. બીજુ કે સરનામું બદલાય છે, શહેર, રાજ્ય અને હવે તો દેશ પણ બદલાય છે. આ બદલાવ માત્ર ઘરનો જ નથી.. બદલાવ છે ઘરની સાથે સાથે વાતાવરણનો, નિયમોનો, રહેણી કરણીનો, પિયરમાં જે રીતભાત હતી તે ક્યારેક સાસરીયામાં અયોગ્ય બની જાય છે.. ક્યારેક તો 'એ બધું તારા પિયરમાં ચાલે અહીં નહીં' એવું પણ સાંભળવું પડે છે. ઘર-શહેરની સાથે ભાષા-સખીઓ બધું જ બદલાય છે.. નવા શહેરમાં, નવા ઘરમાં ફરીથી પોતાની જાતને સ્થાપિત કરવી પડે છે. પુરૂષોને આવું કંઈ જ બદલવાનું નથી.. મોટાભાગે સ્ત્રીઓ જ બધો બદલાવ અપનાવે છે. કારણ કે એડજસ્ટમેન્ટ કરવાનું શીખવવામાં આવે છે.

લગ્ન પહેલાના સપના.. ભણતર, સ્વતંત્રતા.. કારકિર્દી એ બધા સામે હવે પ્રશ્નાર્થ લાગી જાય છે. જવાબદારીના ભાર હેઠળ સમય મળતો નથી કે પછી 'આ બધું અહી ન ચાલે' સાંભળવું પડે છે. ક્યાંક તો ઉચ્ચ શિક્ષણ મેળવેલ હોય તો પણ સાસરીયા નોકરીની ના પાડી દે છે અને તે સપનાના કાટમાળ ઉપર જવાબદારીનો ભાર ઉપાડીને જીવે છે. પુરૂષો માટે કારકિર્દી આગળ વધારવી એ જરૂરિયાત ગણાય છે. જ્યારે સ્ત્રી માટે તે વિકલ્પ બની જાય છે અને કદાચ કારકિર્દી સ્વીકારે તો પણ ઘરની જવાબદારી તો ઉપાડવી જ પડે છે.. છતાં સ્ત્રીઆ બધું સ્વીકારે છે.. કારણ કે પરિવારનું સુખ એ જ તેનું સુખ એમ જ તે વિચારે છે.

લગ્ન પછી રસોડું, એ મુખ્ય મંચ બની જાય છે. હજી પણ 'રસોઈ આવડે છે?' એ સવાલ સ્ત્રીના મૂલ્યાંકનનો માપદંડ છે. ઉચ્ચ ભણતર હોય, સારી નોકરી હોય, ઓફિસમાં સફળતા મેળવી હોય છતાં રસોઈની આવડત એ જ તેના ગુણ-દોષ નક્કી કરે છે. સાથે સાથે રસોઈ આવડવી જરૂરી છે. પણ છતાં સાસરે આવીને સાસરીયાની રીત અપનાવી એ રીતે રસોઈ કરવી એ જ સાચી પરીક્ષા... અને છતાં સ્ત્રી ચૂપ રહીને જીવે છે. મને આ ભાવે કે આ ન ભાવે એ બોલતી પણ નથી. સ્ત્રી માટે એક મોટો, પણ ઓછું દેખાતો ભાર છે, ભાવનાત્મક શ્રમ... ઘરમાં બધાની કાળજી લેવી, સામાજિક જવાબદારી ઉપાડવી, બધાની પસંદનો ખ્યાલ રાખવો.. અને એ પણ મનની સ્થિતિ અથવા આંસુ કે ઉદાસી છુપાવીને હસતા રહીને... આ શ્રમને કોઈ ગણતરીમાં લેતું જ નથી.. કારણ કે ઘર ચલાવવું એ સ્ત્રીની જવાબદારી છે એવી જ માન્યતા ઠોકી બેસાડેલી છે.

પ્રશ્ન એ છે કે આ એડજસ્ટમેન્ટ એ ગુણ છે કે મજબૂરી... સમાજ તેને સહનશીલ, સમજદાર, ત્યાગ જેવા ગુણથી નવાજે છે, પણ શું આ એડજસ્ટમેન્ટમાં પુરૂષનો ફાળો ૨૦-રપ ટકા જેટલો પણ નહીં? જો ના તો આ એડજેસ્ટમેન્ટની પરંપરા પર વિચાર કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હવેની સ્ત્રી શિક્ષિત છે, સ્વતંત્ર છે, પગભર છે... લગ્ન પછી એડજસ્ટમેન્ટ બંને તરફથી થાય તો જ લગ્ન સાચા અર્થમાં સહજીવન બને...

લગ્ન પછી સ્ત્રીનું જીવન ખરેખર બદલાય છે. ઓળખ, ઘર, જવાબદારી, સપના... આ બધામાં આવતા બદલાવ સાથે તે સતત એડજસ્ટ કરે જ છે.. અને આ માટે તેના પ્રયાસો પ્રશંસનીય છે જ... પણ તે ચૂપ રહીને કરવાને બદલે હવે તે પ્રશ્ન કરે છે અને કદાચ આ પ્રશ્નો જ આવનારા સમયમાં લગ્નજીવનને વધુ સમાન, વધુ માનવીય બનાવશે.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh