Advertisement
Author: નોબત સમાચાર

હોળી-ધૂળેટીની ઉમંગભેર ઉજવણી વચ્ચે ગમખ્વાર ઘટનાઓ તંત્રો-સમાજ-સરકાર જાગે... સબકો સન્મતિ દે ભગવાન...

                                                                                                                                                                                                      

હાલારમાં ગઈકાલે ધૂળેટીનું પર્વ ખૂબ આનંદપૂર્વક અને પરંપરાગત રીતે ઉજવાઈ ગયું. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવાયો, અને ડાકોર-દ્વારકા સહિતના ભગવાન શ્રીકૃષ્ણના યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી, તો ગામેગામ હોળી-ધૂળેટીનો તહેવાર ઘણાં જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે આનંદપૂર્વક ઉજવાયો, જો કે, ગુજરાતમાં કેટલીક ગમખ્વાર ઘટનાઓ બની, જે એક પ્રકારનું સોશ્યલ એલર્ટ પણ આપે છે.

જામનગર શહેર, યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા સહિતના હાલારના બંને જિલ્લાઓમાંથી હોળી-ધૂળેટીપર્વની ઉજવણીની સાથે સાથે કેટલાક માનવીય, સામાજિક અને પ્રેરણાત્મક સેવાકાર્યોના પણ અહેવાલો આવ્યા અને ફૂલડોલ ઉત્સવ જેવા પ્રસંગે લાખો યાત્રિકો ઉમટયા હોવા છતાં એકંદરે વ્યવસ્થાઓ અને સુરક્ષા-સલામતી જળવાઈ રહી હતી, તે માટે તંત્રો અને સંસ્થાઓની સાથે સાથે સ્થાનિકો અને જનતા તથા ખાસ કરીને ભાવભક્તિથી દૂર-દૂરથી પગપાળા તથા અન્ય રીતે આવેલા લાખો યાત્રિકો-દર્શનાર્થીઓની સ્વયં-શિસ્ત તથા સૌજન્યતાને પણ બીરદાવવી જ પડે.

બીજી તરફ કેટલાક લેભાગુ પરિબળોએ જુદી જુદી સેવાઓ, વ્યવસ્થાઓ, પરિવહન, નિવાસ-ભોજન અને અલ્પાહારથી માંડીને ઓનલાઈન સેેવાઓ તથા કેટલાક સ્થળે તો પૂજા સામગ્રી, પ્રસાદ સામગ્રી તથા ભગવાન શ્રીકૃષ્ણને લગતી ચીજવસ્તુઓના વેંચાણમાં પણ નફાખોરી થઈ હોવાની ફરિયાદો કેટલાક યાત્રાસ્થળોમાંથી ઉઠતી હતી, તો કેટલાક સેવાભાવી લોકો તથા સંસ્થાઓ કેટલીક સેવાઓ તથા સામગ્રી રાહતદરે કે નિઃશુલ્ક પૂરી પાડતા તથા અટવાયેલા યાત્રિકોને મદદરૂપ થઈ રહેલા પણ જોવા મળ્યા હતા. એકંદરે સમગ્ર ઉજવણીઓ ઉમંગભેર અને શાંતિપૂર્વક સંપન્ન થયા હતા. જો કે, આ અનુભવો પરથી બોધપાઠ લઈને તંત્રો-સંસ્થાઓ, વ્યવસ્થાપકો-સમાજ અને સરકાર દ્વારા પણ આગામી તહેવારોમાં જરૂરી સુધારા-વધારા તથા વિશેષ કાળજી રાખવામાં આવશે, તેવી આશા રાખીએ.

સિક્કાની બીજી બાજુની જેમ ગઈકાલે ગુજરાતમાં અનેક સ્થળે ગમખ્વાર ઘટનાઓ પણ બની હતી. જેથી ચંદ્રમાની રોશનીમાં કલંક (કાલિમા) જેવી સ્થિતિ ઊભી થઈ હતી.

ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં ડૂબી જવાથી ૨૫થી વધુ લોકોના જીવ ગયા હોવાના અહેવાલો ઘણાં જ ગમખ્વાર છે અને ધૂળેટીની ઉજવણીનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો, તેના કારણે રાજ્યમાં થઈ રહેલી ધૂળેટીના રંગમાં ભંગ પડયો.

ગઈકાલે અમરેલીમાં નદીમાં તણાઈ જવાથી એક, સુરતની કીમ નદીમાં નહાતી વખતે ડૂબી જવાથી ત્રણ, કડી(થોળ) પક્ષી અભ્યારણ્ય નજીક તળાવમાં ડૂબી જવાથી એક, મહેસાણાના મોટી દાઉ નજીક જળાશયમાં ડૂબી જવાથી બે, કોઠંબા ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણ, અમદાવાદ શહેરના જુદા જુદા જળાશયોમાં ડૂબી જવાથી ચાર, બારડોલીમાં નદીમાં નહાવા જતા ડૂબી જવાથી ચાર અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા સ્થળે ચેકડેમ અને તળાવમાં ડૂબી જવાથી ત્રણ વ્યક્તિઓનો જીવ ગયો. આ ગમખ્વાર ઘટનાઓ પછી હોળી-ધૂળેટી પર્વે રંગે રમીને નહાવા જતા કે પછી નદી-તળાવોમાં જુદી જુદી રમતો રમવા કે પછી બેધ્યાનપણે નહાવા પડવા કે જળમાર્ગો પાર કરવા સામે હવે આપણે બધાએ સ્વયં પણ જાગૃતિ રાખવાની ખાસ જરૂર હોય તેમ નથી લાગતું ?

દ્વારકાની ગોમતી નદીમાં પણ સંગમ સ્થળે કે ઉંડાણમાં નહાવા કે સમુદ્રસ્નાન કરવા જતા ઘણું જ સાવચેત રહેવું પડે તેમ છે, કારણ કે આ સ્થળે ગોમતી નદી સીધી દરિયામાં મળતી હોવાથી દરિયાની ભરતી-ઓટની સીધી અસર નદીમાં થતી હોવાથી તથા ગોમતી નદીની રેતી ક્યારેક વધુ તણાઈ જતાં નદી ક્યાં ઊંડી હશે અને ક્યાં છીછરી હશે તેની ખબર નહીં પડતી હોવાથી ગોમતી સ્નાન કરતી વખતે પણ ઘણું જ ધ્યાન આપવું પડે તેમ છે.

ધૂળેટીનો ઉત્સવ, ગણેશોત્સવ તથા અન્ય ઉત્સવો સમયે નદી, તળાવ, જળાશયોમાં સ્નાન કરવાની પરંપરાઓ હોવાની જાણ બધાને હોવાથી સરકાર, સમાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા તેના તંત્રોએ પણ આ બાબતે સુરક્ષા તથા ચેતવણીની સુદૃઢ વ્યવસ્થાઓ સાથે જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, કારણ કે, આ પ્રકારની ઘટનાઓમાં જેમણે સ્વજનોને ગુમાવ્યા હોય, તેઓની આખી જિંદગી પણ ગમખ્વાર યાદોમાં જ વિતતી હોય છે. સબકો સન્મતિ દે ભગવાન...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh