Advertisement
Author: નોબત સમાચાર

કેજરીવાલ-સિસોદિયાની હોળી સુધરી, તહેવારો અને પરીક્ષાઓ વચ્ચે ચૂંટણીના પડઘમ... કોના માટે છે સીધા ચઢાણ...?

                                                                                                                                                                                                      

હુતાશણીના તહેવારો આવી રહ્યા છે, અને દ્વારકામાં ફૂલડોલ ઉત્સવના દર્શને જવા પદયાત્રીઓનો પ્રવાહ વહી રહ્યો છે. પદયાત્રીઓની સેવા માટે ઠેર-ઠેર કેમ્પો ઊભા થયા છે, અને સેવાની પણ સરવાણી વહી રહી છે, અને આ દૃશ્યો આપણી સંસ્કૃતિ અને સંસ્કારની મૂળભૂત બુનિયાદનો પરિચય આપે છે. આટલા મોટા જનસમૂહને લક્ષ્યમાં લઈને યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા સહિતના યાત્રાસ્થળો પર તંત્રો પણ કામે લાગી ગયા છે. પોલીસતંત્ર પણ રોજ-બ-રોજ વધી રહેલા યાત્રિકો અને પદયાત્રી સંઘોની સમીક્ષા કરીને સુરક્ષા પ્લાન અપડેટ કરતા રહે છે. જ્યારે વહીવટીતંત્ર યાત્રિકોની સુવિધાઓ માટે જરૂરી ગોઠવણો કરી રહ્યા છે. રેલવે તંત્ર અને એસ.ટી.તંત્ર પણ મુસાફરોના ધસારાને પહોંચી વળવા વધારાની ટ્રીપો ગોઠવી રહ્યા છે. આ પ્રકારની અત્યારે જોવા મળતી સ્થિતિ એક સુંદર ચિત્ર ઊભું કરે છે, અને એકંદરે તહેવારોનો ઉમંગ તથા ભક્તિનો રંગ હાલારમાં હિલોળે ચડયો હોય તેમ જણાય છે.

અત્યારે જુના અનુભવોને ધ્યાને લઈને ભલે ચૂસ્ત-દૂરસ્ત પ્રબંધો કર્યા હોય, તેમ છતાં તંત્રોએ ગાફેલ રહેવા જેવું નથી અને ખાસ કરીને ભાગદોડ, આગજની કે અનિચ્છનિય બનાવો કે દુર્ઘટના થતી જ અટકાવવાના ઉપાયોની રોજેરોજ સમીક્ષાઓ કરીને સુરક્ષા, સલામતિ અને યાત્રિકોને સંબંધિત વ્યવસ્થાઓ અપડેટ કરતી રહેવી પડે તેમ છે. ખાસ કરીને પરિવહનની વ્યવસ્થાઓમાં તકસાધુઓ સામાન્ય રીતે લેવાતા ટિકિટભાડા કરતા અનેકગણાં ભાડા વસુલે કે મુસાફરોને ખીચોખીચ ઘેટા-બકરાની જેમ ભરીને સુરક્ષા પર જોખમ ઊભું કરે, તો તેની સામે યાત્રિકો-મુસાફરોને તરત જ રક્ષણ મળે, તેવી ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ પણ ઊભી કરવી જોઈએ.

જો કે, આ વર્ષે હુતાશણી પર્વની ઉજવણીને "ગ્રહણ" લાગશે, પરંતુ જ્યાં દેખાવાનું નથી, ત્યાં તેની અસરો નહીં થાય, પરંતુ ફાગણ સુદ પૂર્ણિમા તથા તેના બીજા દિવસે દર્શન તથા ઉજવણીના કાર્યક્રમમાં થોડા ફેરફારો થશે. વિષ્ણુ ભગવાન, શ્રીકૃષ્ણના મંદિરો તથા વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો-પાવન સ્થળોમાં ફૂલડોલ ઉત્સવ તો ઉજવાશે જ, પરંતુ સમય અંગે ભિન્ન-ભિન્ન અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે, પરંતુ સેંકડો કિલોમીટર સુધીનું અંતર કાપીને પગપાળા દ્વારકા આવતા પદયાત્રીઓને ચંદ્રગ્રહણને કારણે નિરાશ નહીં થવું પડે.

જો હોળી પ્રાગટ્ય બીજી માર્ચે થાય, તો પણ ત્રીજી માર્ચે ગ્રહણના કારણે ધૂળેટી ચોથી માર્ચે ઉજવાશે, તેવી સંભાવનાઓના કારણે આ વખત હોળી અને ધૂળેટીનો ઉત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે, તેવું કહેવાય છે, જોઈએ શું થાય છે તે...

આ વખતે પણ હોળી-ધૂળેટીના તહેવારો બોર્ડની પરીક્ષાઓની વચ્ચે જ આવ્યા છે, તેથી હોળી-ધૂળેટી ઉત્સવની ઉજવણી પર પરીક્ષાની અસરો પડશે, પરંતુ પરીક્ષાર્થીઓ પર આ તહેવારોની ઉજવણીની કોઈ અસર ન થાય, અને પૂરેપૂરી તૈયારી સાથે પરીક્ષા આપી શકે, તે જોવાની જવાબદારી તંત્રો ઉપરાંત આપણી બધાની સહીયારી છે, તે ભૂલવું ન જોઈએ, અને જવાબદારી માત્ર સરકાર પર જ ઢોળી નહીં શકાય. ખરૃં ને ?

એક તરફ છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરમાં હુતાશણી અને ધૂળેટીના તહેવારોની રંગત જામવા લાગી છે. બજારોમાં લોકો આ પાવન પર્વની ઉજવણી માટેની ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે, અને રંગ ઉડાડવાની પીચકારીઓ તથા જુદા જુદા રંગોની ખરીદી માટે લોકો ધીમે ધીમે માર્કેટમાં નીકળી રહ્યા છે, તો બીજી તરફ આ વર્ષે હુતાશણી પર્વના રંગમાં રાજનીતિનો રંગ પણ ભળવા જઈ રહ્યો છે, કારણ કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણીતંત્ર દ્વારા વોર્ડવાર ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂકો થયા પછી હવે ચૂંટણી લક્ષી રાજકીય હલચલ પણ તેજ થઈ ગઈ છે. બીજી તરફ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે કેજરીવાલ, સિસોદિયા અને તમામ ૨૩ આરોપીઓને શરાબ કૌભાંડમાં નિર્દોષ છોડી મૂક્યા પછી મોદી સરકારની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. જોઈએ, હવે સીબીઆઈ અપીલ કરે છે કે નહીં. આ અહેવાલોના કારણે હોળીના રંગોમાં રાજનીતિનો ઘેરો રંગ ઉમેરાયો છે અને કેજરીવાલ તથા તેની ટીમની હોળી સુધરી ગઈ છે.

આ તરફ જામનગર મહાનગરપાલિકાની પાંચ વર્ષની કામગીરી અંગે જુદા જુદા વિશ્લેષણો થઈ રહ્યા છે, અને વિપક્ષોને એન્ટી-ઈન્કમ્બન્સીનો ફાયદો કેટલો થશે, અને શાસકપક્ષ ત્રિપલ એન્જિનના શાસનની ઉપલબ્ધિઓ વર્ણવીને મતદારોને કેટલા રિઝવી શકશે, તે તો હજુ કહી શકાય તેમ નથી, પરંતુ ભારતીય જનતાપક્ષ અને કોંગ્રેસનો આંતરિક ખેંચતાણનો ફાયદો લેવા આમઆદમી પાર્ટી શતરંજ બિછાવી રહી છે, તે સ્પષ્ટ દેખાય છે. બીજી તરફ ભાજપ ત્રિપલ એન્જિનની સિદ્ધિઓ વર્ણવે છે, તે બૂમરેંગ સમાન પૂરવાર થાય અને કેન્દ્ર-રાજ્ય પ્રત્યેની એન્ટી-ઈન્કમ્બન્સી પણ જો ભાજપને નડે અને તેમાં આંતરિક અસંતોષ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ-નેતાઓની નારાજગીનો ઉમેરો થાય, તો ભાજપને સત્તા જાળવી રાખવી અઘરી પણ પડી શકે છે.

આવું થવાની સંભાવનાઓ એટલા માટે પણ વર્તાય છે કે દાયકાઓથી શાસનમાં હોવા છતાં કેટલીક મૂળભૂત સમસ્યાઓ પણ ભાજપના શાસકો ઉકેલી શક્યા નથી, તો શહેરની ચોતરફ વિસ્તરેલા વિસ્તારો સહિત નગરની ઘણી બુનિયાદી અપેક્ષાઓ પણ પૂરેપૂરી સંતોષી શકાઈ નથી. જો કે, વિપક્ષી વર્તુળોમાં પણ હુંસાતુંસી વર્તાતી હોવાથી જનમત કઈ તરફ ઝુકશે, તે અત્યારથી તો કહી શકાય તેમ નથી, પરંતુ એટલું જરૂર કહી શકાય કે આ વખતે જામ્યુકોની ચૂંટણી જીતવી એ ત્રણેય મુખ્ય પક્ષો માટે સીધા ચઢાણ તો છે જ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh