Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ એસ.ટી. ડેપોમાં રૂ।. ૬.૬૩ કરોડના ખર્ચે વર્કશોપ અને જોડિયામાં ૫.૩૫ કરોડના ખર્ચે બનશે નવું બસસ્ટેશન

જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ખાતમુહૂર્ત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ધ્રોલમાં રૂ।.  ૬.૬૩ કરોડના ખર્ચે નિર્મિત થશે આધુનિક એસ.ટી. ડેપો વર્કશોપ તથા જોડિયા ખાતે રૂ. ૫.૩૫ કરોડના ખર્ચે નવીન એસ.ટી. બસ સ્ટેશન આકાર પાશે. આ પ્રસંગે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીએ જણાવ્યુ હતું કે, એસ.ટી. વિભાગ કોઈ પણ કમાણીની અપેક્ષા વગર નાગરિકો માટે સલામત મુસાફરીનું સબળ માધ્યમ બન્યું છે.

રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ધ્રોલમાં રૂ।.  ૬.૬૩ કરોડના ખર્ચે નિર્મિત થનાર આધુનિક એસ.ટી. ડેપો વર્કશોપ તથા જોડિયામાં રૂ. ૫.૩૫ કરોડના ખર્ચે આકાર પામનાર નવીન એસ.ટી. બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, આ નવીન પ્રકલ્પોના નિર્માણથી નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિ થશે અને પરિવહનના નવા રૂટ ઉપલબ્ધ બનશે. એક સમયે ખખડધજ સ્થિતિમાં રહેલ એસ.ટી. નિગમે આજે કાયાપલટ કરી છે. આજે એ.સી., વોલ્વો અને સ્લીપર કોચ જેવી સુવિધાઓથી એસ.ટી. વધુ લોકભોગ્ય બની છે. સરકારના દૃષ્ટિકોણને કારણે મહાનગરોના બસ સ્ટેશનો આજે એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા થયા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, એસ.ટી. વિભાગ કોઈ પણ કમાણીની અપેક્ષા વગર ગરીબ અને મધ્યમ વર્ગ માટે સલામત મુસાફરીનું માધ્યમ બન્યું છે, જેમાં વિદ્યાર્થી અને દિવ્યાંગ પાસ જેવી યોજનાઓ લાખો લોકોને સહાયરૂપ બની રહી છે.

આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડાએ સરકારની વિકાસલક્ષી કટિબદ્ધતાને બિરદાવી લોકોને આ જાહેર મિલકતોની જાળવણી કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં જામનગર એસ.ટી. વિભાગીય નિયામક બી.સી.જાડેજાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર એસ.એમ. કાથડ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ચંદ્રિકાબેન અઘેરા, સભ્યો સર્વ ધરમશી ચનિયારા, પ્રવીણાબેન ચભાડીયા, લખધીરસિંહ જાડેજા, તેમજ આગેવાનો સર્વ ડો. વિનુભાઈ ભંડેરી, રમેશભાઈ મૂંગરા, ભવદીપ પંડ્યા, ડી.ડી. જીવાણી, અભિષેક પટવા સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહૃાા હતા.

ધ્રોલ ડેપો

વર્કશોપની સુવિધાઓ

રાજ્ય સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે મળેલી સહાય અંતર્ગત જામનગર એસ.ટી. વિભાગના ધ્રોલમાં એક આધુનિક સુવિધાયુક્ત નવીન ડેપો-વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કુલ ૩૪,૨૩૯.૩૪ ચો.મી. જેટલી વિશાળ જમીન ફાળવવામાં આવી છે અને તેનો અંદાજિત ખર્ચ રૂ.૬૬૩ લાખ (રૂ. ૬.૬૩ કરોડ) જેટલો થશે. આ વર્કશોપ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતું હશે, જેમાં કુલ ૧૫૪૭.૮૨ ચો.મી. માં બાંધકામ કરવામાં આવશે.

આ નવીન ડેપોમાં વહીવટી અને ટેકનિકલ એમ બંને પ્રકારની સવલતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં ડેપો મેનેજરની ઓફિસ, એડમીન રૂમ, સ્ટોર રૂમ, તેમજ સ્પેરપાર્ટ્સ માટે ટાયર, બેટરી, ઓઈલ અને ઈલેક્ટ્રિક માટે અલગ રૂમોની વ્યવસ્થા છે. બસોના મેઈન્ટેનન્સ માટે બે લોન્ગ પીટ અને એક યુ પીટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રાઉન્ડ ફ્લોર પર વોટર રૂમ અને આશરે ૩૯૮૬.૩૫ ચો.મી. વિસ્તારમાં સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ કરવામાં આવશે. જ્યારે પ્રથમ માળ પર કર્મચારીઓ માટે વર્કર રૂમ, રેકોર્ડ રૂમ અને મહિલાઓ માટે ટોઈલેટની સુવિધા સાથેનો લેડીઝ રેસ્ટ રૂમ પણ બનાવવામાં આવશે.

જોડિયા એસ.ટી.બસ સ્ટેશનની સવલતો

રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી. વિભાગના જોડિયામાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતા એક આધુનિક બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કુલ ૪૦૦૦.૦૦ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે અને તેની કુલ અંદાજિત કિંમત રૂ. ૫૩૫.૦૦ લાખ (૫.૩૫ કરોડ)જેટલી થશે. આ બસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ ૫૪૦.૦૦ ચો.મી. માં બાંધકામ થશે, જેમાં મુસાફરોની સુવિધા માટે ૫ પ્લેટફોર્મ બનાવવામાં આવશે.

મુસાફરોની સગવડ માટે અહીં ૧૬૨.૭૫ ચો.મી.નો વિશાળ વેઈટીંગ હોલ, કેન્ટીન, વોટર રૂમ અને ૪ વિવિધ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી જરૂરિયાતો માટે કંટ્રોલર રૂમ, ઈલેક્ટ્રિક રૂમ અને પાર્સલ રૂમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહિલા મુસાફરો માટે અલગ લેડીઝ રેસ્ટ રૂમ (ટોઈલેટ સહિત) તથા પુરુષ અને સ્ત્રી મુસાફરો માટે અલગ શૌચાલય બ્લોકની સુવિધા આપવામાં આવી છે. ડ્રાઈવર અને કંડક્ટર માટે પણ શૌચાલય સાથેનો અલગ રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. બસ સ્ટેશનના સરક્યુલેશન વિસ્તારમાં ૨૬૩૦.૦૦ ચો.મી. માં સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ કરવામાં આવશે અને વિકલાંગ વ્યક્તિઓ માટે ખાસ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધા પૂરી પાડવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh