Advertisement
Author: નોબત સમાચાર

આપણાં દેશમાં સગીરો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ ? સંભાવનાઓ અને આશંકાઓ

                                                                                                                                                                                                      

જામનગરમાં અન્ડરબ્રિજ નજીકના સોસાયટી વિસ્તારમાં વિકાસનું કામ પૂરૃં કર્યા વિના ગાયબ થયેલા ઈજારેદાર સામે મહિલાઓએ માનવસાંકળ રચી અને તંત્રમાં દોડધામ મચી ગઈ. તે પછી આ ઘટનાને સોશ્યલ મીડિયા તથા પ્રેસ મીડિયામાં વ્યાપક પ્રસિદ્ધિ પણ મળી, આ જ પ્રકારે અત્યારે સોશ્યલ મીડિયાના માધ્યમથી વીડિયો બનાવીને લોકોની સમસ્યાઓ, ગુણવત્તા વગરના કામો અને ગંદકી-ઉકરડા વગેરેની વાસ્તવિકતા લોકો સ્વયં ઉજાગર કરી શકે છે, જે સોશ્યલ મીડિયાનો સદુપયોગ ગણી શકાય.

આ જ રીતે શિક્ષણ, આરોગ્ય, જનકલ્યાણ, યોજનાકીય પ્રચાર, જનલક્ષી સંચાર-પ્રચાર અને જનજાગૃતિ માટે સોશ્યલ મીડિયાનો સદુપયોગ બહોળા પ્રમાણમાં થવા લાગ્યો છે, અને મનોરંજન, સમાચાર, સંદેશા વ્યવહાર તથા વિવિધ ઉજવણીઓ માટે પણ સોશ્યલ મીડિયાનો વ્યાપક સદુપયોગ પણ વધી રહ્યો છે, તેથી સોશ્યલ મીડિયાની માત્ર નકારાત્મક બાબતોનો જ જોરશોરથી પ્રચાર-પ્રસાર કરીને આ નવતર મીડિયા પર માછલાં ધોનારા પરિબળો સામે સજાગ રહેવું જરૂરી છે, પરંતુ તેઓ પણ તદ્દન ખોટા નથી. તેથી સંયોજીત અને તટસ્થ રીતે આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારવું જ જોઈએ ને ?

થોડો સમય પહેલા ત્રણ કિશોરીઓએ કોરિયન વીડિયો ગેઈમ્સના ચક્કરમાં પોતાનો જ જીવ લઈ લીધો અને આત્મહત્યા કરી લીધી હતી, તે પછી આપણાં દેશમાં બાળકો અથવા સગીરવયના કિશોર-કિશોરીઓ માટે સોશ્યલ મીડિયા અને વીડિયો ગેઈમ્સ તથા ઓનલાઈન ગેમ્બલીંગ વગેરે પર હકીકતમાં ચૂસ્ત પ્રતિબંધ લાદવાની જરૂર હોવાની જોરદાર માંગણી પણ ઉઠી હતી, અને ધીમે ધીમે આ અંગે જનમત પણ ઘડાઈ રહ્યો હતો, પરંતુ રાજનૈતિક મુદ્દાઓમાં અટવાયેલા રાજનેતાઓએ સંસદ અને રાજયોની વિધાનસભામાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો નહીં, અને લોકોની વચ્ચેજ ચર્ચાતો રહી ગયો હતો.

જો કે, ગઈકાલથી આપણાં દેશમાં સગીર વયજૂથ માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મુકવાની વાત ફરીથી જોરશોરથી થવા લાગી છે, અને આ અભિપ્રાય એક આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાંથી ઉભરીને આવ્યો છે. અને હવે આ મુદ્દો કેન્દ્ર સરકારના ઉચ્ચ નેતાઓ અને અધિકારીઓથી લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક પ્રેસ-મીડિયા સુધી પડઘાઈ ચૂક્યો છે, તેથી બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદમાં પણ આ મુદ્દો ગુંજવાનો છે, અને આ કારણે રાજનેતાઓ અને બ્યુરોક્રેટસ માટે પણ આ અંગે કોઈ નક્કર કદમ ઉઠાવવું અનિવાર્ય બની જવાનું છે.

બન્યું છે એવું કે દિલ્હીમાં "ઈન્ડિયા એઆઈ સમિટ" દરમ્યાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સની જેમ ભારતમાં પણ બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મુકવાની અપીલ કરી હતી અને તેના દેશવ્યાપી તથા વિશ્વવ્યાપી પ્રત્યાઘાતો પણ પડયા હતા.

મેક્રોને કહ્યું હતું કે ફ્રાન્સે ૧૫ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મુકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પહેલાં સ્પેન, ગ્રીસ સહિતના યુરોપિયન દેશો પણ સામેલ થયા છે, ત્યારે ભારત પણ તેમાં જોડાઈ જાય, તે બાળરક્ષણ માટે ખૂબ જ સારું ગણાશે. બાળકોનું સોશ્યલ મીડિયાની ખતરનાક અને નકારાત્મક બાજુ સામે રક્ષણ કરવું કે માત્ર કાયદો ઘડવાની વાત નથી, પરંતુ સભ્યતાની પણ વાત છે.

ઓસ્ટ્રેલિયા પછી ફ્રાન્સ અને કેટલાક યુરોપિયન દેશો પણ આ પહેલમાં જોડાતા હોય અને તેમાં જો ભારત જેવો બહોળી કિશોર વયની જનસંખ્યા ધરાવતો દેશ પણ જોડાય જાય, તો સોશ્યલ મીડિયાના માધ્યમથી અબજો રૂપિયાની કમાણી કરતી વિશ્વકક્ષાની કંપનીઓ પર પણ પ્રેસર આવશે. મેક્રોને પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છેે કે વિશ્વની સૌથી વધુ યુવાવર્ગની જનસંખ્યા ધરાવતા ભારત જેવા વિશાળ દેશમાં જો ક્રાંતિકારી ફેરફાર થશે, તો તેની અસર વિશ્વભરમાં પડશે જે સગીર વય જૂથના હિતમાં હશે, અને પી.એમ. મોદી પણ સમર્થન આપશે.

નવી દિલ્હીના ભારત મંડપમમાં ગઈકાલે ઈન્ડિયા એ.આઈ. સમિટનું ઉદ્ઘાટન થયું, તેનું થીમ પણ એ.આઈ.નો ઉપયોગ સર્વજન હિતાય, સર્વજન સુખાય કરવાનું રાખવામાં આવ્યું છે, ત્યારે દેશભરના કરોડો સગીરોના હિતાર્થે સોશ્યલ મીડિયા પર વાજબી અંકુશ મુકવામાં આવે કે ઈન્ટરનેટ જેવી અદ્યતન ટેકનોલોજીનો દુરૂપયોગ અટકાવવા માટે કડક નિયમો બનાવવા પડે કે કાયદો ઘડવો પડે, તો તેમાં પાછીપાની કરવી જોઈએ નહીં, અને શાસને સોશ્યલ મીડિયા ક્ષેત્રના સ્થાપિત હિતો ગમે તેટલા તાકતવર હોય, તો પણ તેના દબાણમાં આવવું જોઈએ નહીં, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.

જો કે, ભારત જેવા વિશાળ દેશમાં ઈન્ટરનેટ કે સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ થતો અટકાવવા કે સગીર વયજૂથ માટે સોશ્યલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો શક્ય છે ખરો ! તેવો પ્રયોગ કેટલો સફળ થાય ? શું આ પ્રકારના પ્રતિબંધોથી સગીર વયજુથ એ જ સોશ્યલ મીડિયાના સદુપયોગથી વંચિત રહી નહીં જાય ? આ પ્રકારની આશંકાઓ પણ ઉઠી રહી છે, જ્યાર આ પ્રકારનું કદમ નહીં ઉઠાવાય તો સગીર વયજૂથ પર બરબાદીના માર્ગે જવાનો ખતરો પણ મંડરાતો રહેશે, તે પણ હકીકત છે, તેથી આ મુદ્દે સંસદ, વિધાનસભાઓ તથા લોકમંચો-જાહેર પ્લેટફોર્મ પર પણ વ્યાપક ચર્ચાઓ કરીને કોઈપણ યોગ્ય નિર્ણય તો સગીર વયજૂથના હિતાર્થે કેન્દ્ર સરકારે લેવો જ પડે તેમ છે, તે નક્કર હકીકત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh