Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાવર્ગને અસંગઠિત ક્ષેત્રમાંથી સંગઠિત ક્ષેત્રમાં જોડાવા અપીલ
રાજકોટ તા. ર૧: ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા હમણાં જ મંજુર કરવામાં આવેલી રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજના હેઠળ ઈપીએફઓ કાર્લાય રાજકોટ તથા તેના કાર્યક્ષેત્રમાં આવતા જામનગર, ગાંધીધામ-કચ્છ, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લાઓના તમામ નોકરદારો પાસેથી આ મહત્ત્વકાંક્ષી યોજનામાં સક્રિય અને અસરકારક ભાગીદારી માટેની અપીલ કર છે. આ યોજનાનો હેતુ માત્ર રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો નથી, પરંતુ ખાસ કરીને નિર્માણ ક્ષેત્રને ઉત્તેજન આપવાનો અને હજારો યુવાનોને અસંગઠિત ક્ષેત્રથી સંગઠિત ક્ષેત્રમાં લાવવાનો છે, જેથી તેઓ સામાજિક સુરક્ષા અને ભવિષ્ય નિધિના લાભો સાથે જોડાઈ શકે.
આ યોજના કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન અને સરકારની વ્યાપક આર્થિક વ્યૂહરચના હેઠળ લાગુ કરવામાં આવી છે. આ દ્વારા પહેલીવાર નોકરી મેળવતા કર્મચારીઓને રૂ. ૧પ,૦૦૦ સુધીની પ્રોત્સાહન રકમ બે હપ્તામાં આપવામાં આવશે તથા નોકરદારોને દરેક નવા કર્મચારી માટે રૂ. ૧૦૦૦ થી રૂ. ૩૦૦૦ સુધીની માસિક આર્થિક પ્રોત્સાહન રકમ મળશે. નિર્માણ ક્ષેત્ર માટે આ પ્રોત્સાહન ચાર વર્ષ સુધી મળશે, જ્યારે અન્ય ક્ષેત્રોના નોકરદારોને બે વર્ષ માટે પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. યોજના હેઠળ પ૦ થી ઓછા કર્મચારીઓ ધરાવતા પ્રતિષ્ઠાનોએ ઓછામાં ઓછા બે નવા કર્મચારીઓને નિયુક્ત કરવા પડશે, અને પ૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા પ્રતિષ્ઠાનોએ પાંચ કે તેથી વધુ નવા કર્મચારીઓની ભરતી કરવી પડશે.
રાજકોટ, જામનગર, ગાંધીધામ-કચ્છ, સુરેન્દ્રનગર અને જુનાગઢ જિલ્લાઓના ઔદ્યોગિક અને ઉત્પાદન કેન્દ્રોમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હજુ પણ અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે. આ યોજનાથી શક્ય બનશે કે આ કર્મચારીઓ સંગઠિત ક્ષેત્રમાં આવે, જેથી તેમને સામાજિકક સુરક્ષા, પેન્શન અને ભવિષ્ય નિધિ જેવી સુવિધાઓ મળી શકે. આથી માત્ર કર્મચારીઓની જીવનગુણવત્તા સુધરશે જ નહીં, પરંતુ નોકરદારોને પણ કેન્દ્ર સરકાર તરફથી સીધી પ્રોત્સાહન રકમ મળશે, જે તેમની કામગીરી અને વિસ્તરણમાં મદદરૂપ થશે.