Advertisement
Author: નોબત સમાચાર

રાજસ્થાનના સિકરમાં ગાયને બચાવવા જતા માલગાડીના ૩૬ ડબ્બા ખડી પડ્યા

જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલો નથીઃ

                                                                                                                                                                                                      

જયપુર તા. ૮: રાજસ્થાનમાં ગંભીર રેલ અકસ્માત થયો હતો. ગાયને બચાવવા જતા માલગાડીના ૩૬ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. સિકર-શ્રી માધોપુરમાં ન્યુ રેલવે સ્ટેશન નજીક કુલેરા-રેવાડી કોરિડોર પર દુર્ઘટના સર્જાઈ છે. મુખ્ય રૂટ સંપૂર્ણપણે બંધ છે, અને રેલ વ્યવહાર ખોરવાયો છે.

રાજસ્થાનના સિકર જિલ્લામાં આવેલા શ્રીમાધોપુર વિસ્તારમાં એક ગંભીર રેલવે અકસ્માત સર્જાયો છે. શ્રીમાધોપુર ન્યુ રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહેલી કુલેરાથી રેવાડી તરફ જતી એક માલગાડીના ૩૬ ડબ્બા પાટા પરથી ઉતરી જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાથમિક અહેવાલો મુજબ લોકોમોટિવ ડ્રાઈવરે ગાયને બચાવવાના પ્રયાસમાં બ્રેક લગાવતા આ દુર્ઘટના થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં માલગાડીના ડબ્બાઓ એકબીજા પર ચઢી ગયા હતાં, જેના કારણે રીંગસ-શ્રીમાધોપુર કોરિડોર પરનો રેલવે ટ્રેક સંપૂર્ણપણ બંધ થઈ ગયો છે. આ ટ્રેક દિલ્હી-મુંબઈ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનો ભાગ હોવાથી માલસામાનનો રેલ વ્યવહાર ખોરવાયો છે.

દુર્ઘટનાની જાણ થતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ, પોલીસની ટીમ અને ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતાં. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પાટા પરથી ઉતરી ગયેલા અને ક્ષતિગ્રસ્ત ડબ્બાઓને હટાવવા માટે ક્રેન અને ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાટમાળ હટાવવામાં અને સમારકામ શરૂ કરવામાં હજુ કેટલાક કલાકો લાગી શકે છે.

સંતોષની વાત એ છે કે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ કે મોટી ઈજાના સમાચાર નથી, જો કે માલગાડીના ૩૬ માંથી ૩૦ થી વધુ ડબ્બાને નુક્સાન થયું છે. આ ડબ્બાઓમાં ચોખા સહિત અન્ય માલસામાન ભરેલો હોવાનું જાણવા મળ્યું છે, જેને હાલમાં ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે.

અકસ્માતના પરિણામે આ રૂટ પરનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે પરભાવિત થયો છે. ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ઝોનના અધિકારીઓએ માહિતી આપી છે કે આ અકસ્માતને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અન્ય કેટલીક ટ્રેનોના રૂટને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રેલવે પ્રશાસને મુસાફરો અને સ્થાનિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા તેમજ ટ્રેક વિસ્તારથી દૂર રહેવાની  અપીલ કરી છે. દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh