Advertisement
Author: નોબત સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં "ટેમ્પો" કયારે જામશે ? જામનગરમાં બદલાતા સમીકરણો... હાલારમાં મતદારો નિરસ કેમ ?

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકા સહિત હાલારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા પછી પ્રારંભિક દિવસોમાં ભલે ઠંડુ વાતાવરણ જણાતુ હોય અને રાજકીય પક્ષો અવઢવમાં કે વ્યૂહરચનાના ભાગરૂપે વિલંબ કરી રહ્યા હોય, પરંતુ ચૂંટણીતંત્રે તો ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી જ દીધી છે અને ટાઈમટેબલ મુજબની પ્રક્રિયાઓ સંપન્ન કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક સંપન્ન થઈ જાય, તે માટે વહીવટી તંત્ર અને પોલીસતંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલ થશે, તેવી આશા સેવાઈ રહી છે.

જામનગરમાં તો પોલીસતંત્રે કોમ્બીંગ નાઈટ યોજીને વાહનોનોું ચેકીંગ કર્યું અને ધૂમ સ્ટાઈલથી દ્વિચક્રી વાહનો ચલાવતા અને ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બાઈક સવારો તથા નિયમભંગ કરતા ચાલકોને દંડયા હતા. આ કારણે ચૂંટણી સમયે કોઈ ડખ્ખો ન થાય કે મતદારોને ડરાવવા, ધમકાવવા કે લલચાવવાનો પ્રયાસ ન થાય, તે માટે તંત્ર અત્યારથી જ સતર્ક થઈ ગયું હોવાનો આભાસ પણ ઊભો થયો છે.

રાજકીય પક્ષોએ પણ આ ચૂંટણી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોય તેમ જણાય છે, અને ત્રણેય પક્ષો માટે કદાચ ઉમેદવારોની પસંદગી જટિલ બની રહી છે. બીજી તરફ રાજયકક્ષાએથી ભાજપે ઉમેદવારોની પસંદગી માટે એ,બી,સી અને ડીની ફોર્મ્યુલા અપનાવી હોવાના અહેવાલો પછી હવે બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ફોર્મ ભરવાની મુદ્દતના છેલ્લા બે દિવસોમાં મહત્તમ ઉમેદવારો ફોર્મ ભરશે, તેમ જણાય છે. વિલંબથી ઉમેદવારોની યાદી જાહેર કરવા પાછળનું ગણિત કદાચ એવું પણ હોઈ શકે કે, જે ટિકિટ વાંચ્છુએને ટિકિટ ન મળે, તે પૈકીના કોઈને પક્ષ પલટો કરવા કે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવા માટે પૂરતો સમય જ મળે નહીં. જો કે, ઉમેદવારીની પસંદગીમાં વિલંબ એક કોયડો જ બની રહ્યો છે.

આમ પણ સામાન્ય રીતે પ્રારંભિક દિવસોમાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ધીમી જ રહેતી હોય છે, પરંતુ એક વખત ઉમેદવારોની યાદી જાહેર થઈ જાય, પછી જો વિલંબ થાય તો તે હંમેશાં ચર્ચાનો વિષય બનતો હોય છે. જો કે, રાજ્ય કક્ષાએથી લીલીઝંડી મળે, તે પછી જ ઉમેદવારો ફોર્મ ભરવા જતા હોય છે, તેથી અત્યારે જે કાંઈ બની રહ્યું છે, તેમાં અસાધારણ કાંઈ નથી, તેવું માનનારો પણ એક વર્ગ છે. બીજી તરફ કેટલાક ઉમેદવારો જેલમાંથી ઉમેદવારી નોંધાવવાના હોવાથી કેટલીક કાનૂની પ્રક્રિયાઓને લઈને પણ મથામણ થઈ રહી છે.

યુદ્ધ વિરામ અંગે ગુંચવણ ઊભી થયા પછી એક તરફ યુદ્ધની વૈશ્વિક સ્થિતિ અને બીજી તરફ ઋતુચક્રની અનિયમિતતાના ચક્કરમાં મતદારોમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો નહોતો અને ચૂંટણી પ્રચારનો ટેમ્પો પણ જામી રહ્યો નહોતો, પરંતુ હવે એવું લાગે છે કે રાજકીય પક્ષો તરફથી જેમ જેમ યાદી જાહેર થતી જશે, તેમ તેમ ચૂંટણી પ્રચાર પણ વેગીલો બનશે અને માત્ર સોશ્યલ મીડિયા અને સ્થાનિક પ્રારંભિક પ્રચારનો વ્યાપ વધીને પ્રચારસભાઓ, પ્રેસ-મીડિયા ડિબેટીંગ્સ અને ડોર-ટુ-ડોર સંપર્ક સુધી પહોંચશે, તેમ જણાય છે. જો કે, ગઈકાલે જિલ્લા/તાલુકા પંચાયત તથા પાલિકા માટે એકલ દોકલ ફોર્મ ભરાયા હતા, પરંતુ જામનગર મહાનગરપાલિકા માટે ફોર્મ ભરાયું નહોતું.

બીજી તરફ ભાજપે જિલ્લા-તાલુકા પંચાયત સહિતના ઉમેદવારોની સંભવિત યાદી પણ આજે અત્રે પ્રસિદ્ધ થઈ છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનોની ચૂંટણીઓ જાહેર થયા પછી રાબેતા મુજબ પક્ષપલટાઓનો સીલસીલો શરૂ થયો અને પોતાના પક્ષથી સંતોષ ન હોય તેવા નેતાઓ અન્ય પક્ષમાં સામેલ થવા લાગ્યા. હજુ ઉમેદવારોના નામ પૂરેપૂરા જાહેર થયા નથી અને રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણપણે સંપન્ન કરી નથી, ત્યાં પક્ષાંતરની શરૂઆત થઈ છે, તેથી ઉમેદવારોના નામો જાહેર થયા પછી જે ટિકિટ વાંચ્છુઓને ટિકિટ નહીં મળી હોય, તે પૈકીના કેટલાક કદાચ અપક્ષ ઉમેદવારી કરીને પોતાના અને સામેના પક્ષોના ઉમેદવારોનું ગણિત બગાડી શકે છે અન્ય કેટલાક અસંતુષ્ટ ઈચ્છાધારી નેતાઓ અન્ય પક્ષમાંથી ટિકિટ મેળવીને સામે પડી શકે છે કે પછી પક્ષાંતર કરીને પક્ષીય વફાદારી બદલી શકે છે. આ વખતે એવું થવાના ચાન્સીસ વધુ છે કારણ કે આ વખતે કેટલીક બેઠકો માટે ચોક્કસ રાજકીય પક્ષોને ઉમેદવારો પણ મળતા નહીં હોવાના અહેવાલો પછી તદ્વિષયક ચિંતા પણ સંબંધિત ક્ષેત્રો અને પક્ષોમાં ઊભી થઈ જ હશે.

ગઈ ચૂંટણીમાં જામનગરના છઠ્ઠા વોર્ડમાં ચાર કોર્પોરેટરોમાંથી મહત્તમ બીએસપી (બહુજન સમાજ પાર્ટી)ના હતા, પરંતુ તેમાંથી એક કોર્પોરેટરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા પછી ત્યાં સમીકરણો બદલાયા છે, તો ગત ચૂંટણીમાં હતો, તેવો ટેમ્પો પણ જોવા મળી રહ્યો નથી અને મતદારોની નિરસતા પણ મહાનગરના રાજનેતાઓને અકળાવી રહી છે. હવે ઉમેદવારીપત્રો ભરાયા પછી પણ મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય, તે માટેની કવાયત પહેલેથી જ કરવી પડે તેમ છે..

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે મતદારોની નિરસતતા અને સત્તાકીય પક્ષોના અવઢવ પછી અણધાર્યા અને ચોંકાવનારા પરિણામોની અટકળો થવા લાગી છે. અને ઓછું કે વધુ મતદાન કોને ફાયદો અને કોને નુકસાન કરી શકે તેમ છે, તેના ગણિત મંડાઈ રહ્યા છે, તો હાલારની કેટલીક નગરપાલિકાઓ તથા પંચાયતોને લઈને પણ અટકળો શરૂ થઈ રહી છે. બંને જિલ્લા પંચાયતોમાં આ વખતે પૂનરાવર્તન થશે કે પરિવર્તન થશે, તે અંગે પણ અનુમાનો થઈ રહ્યા છે. જો કે, ઉમેદવારોની પસંદગી, રાજકીય પક્ષોના પ્રતિસ્પર્ધીઓ તથા અપક્ષ ઉમેદવારોના ફોર્ભ ભરાયા પછીની સ્થિતિ, પ્રચાર-પ્રસાર તથા છેલ્લી ઘડીની ગોઠવણો પર બધો મદાર રહેવાનોે છે.

સ્વાભાવિક રીતે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો સીધા મતદારો સમક્ષ પોતાની વાત રજૂ કરી શકતા હોય છે અને મતદાનના દિવસે પણ "પર્સનલ ટચ" તથા પારિવારિક સંબંધોના કારણે વિધાનસભા-લોકસભાની ચૂંટણીથી મોટા ભાગે વધુ મતદાન થતું હોય છે. જોઈએ, આ વખતે મતદાનની ટકાવારી કેટલી રહે છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh