Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા અઠવાડિયે દેશના ગૃહમંત્રી પ.બંગાળના ચૂંટણી પ્રચારમાં ગયા હતા, ત્યારે જાહેરસભામાં તેઓએ જનતાની અદાલતમાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પોલિટિકલ ચાર્જશીટ મૂક્યું હતું, અને હવે જામનગરમાં કોંગ્રેસે જામનગર મહાનગરપાલિકામાં વર્ષોથી શાસન કરતા ભાજપ પર ચાર્જશીટ મૂક્યુ છે, કાનૂનની અદાલતમાં જેમ આરોપી પર પ્રાથમિક દૃષ્ટિએ પૂરાવા હોય કે આરોપોમાં તથ્ય જણાતુ હોય, ત્યારે ચાર્જશીટ મુક્યા પછી કેસ ચાલે અને તબક્કાવાર સુનાવણી પછી ન્યાયપાલિકા ફેંસલો સંભળાવે, તેવી જ રીતે પોલિટિકલ પાર્ટી દ્વારા પ્રતિસ્પર્ધી પાર્ટી પર મૂકાતુ ચાર્જશીટ ૫ણ જનતાની અદાલતમાં રજૂ થાય છે, ચૂંટણી પ્રચાર દરમ્યાન બંને પક્ષે દલીલો થાય છે અને અંતે જનતા પોતાના મતાધિકાર દ્વારા પોતાનો ફેંસલો સંભળાવે છે. ન્યાયની અદાલતોમાં બંધારણને ધ્યાને રાખીને તથા વિવિધ કાયદાઓને અનુરૂપ ચૂકાદા લખાતા હોય છે, જ્યારે જનતાની અદાલતમાં ઉમેદવાર કે પાર્ટીની જનમાનસમાં છાપ, કરેલા લોક હિતના કાર્યો, ભવિષ્યમાં કરવાના કામોનો રોડ-મેપ, પ્રામાણિકતા, પરફોર્મન્સ સહિતના ઘણાં માપદંડોને અનુરૂપ જનતા વિવિધ ચૂંટણીઓમાં મતદાન કરીને પોતાનો ચૂકાદો સંભળાવતી હોય છે. આ કારણે રાજકીય પક્ષો પ્રતિસ્પર્ધી પર ચાર્જશીટ મૂકીને ચૂકાદો પોતાની તરફેણમાં આવે, તે દલીલો સાથે જોરદાર ચૂંટણી પ્રચાર કરતા હોય છે.
જામનગર મહાનગરપાલિકાની મુદ્દત પૂરી થઈ જતા હાલમાં વહીવટદારનું શાસન છે. એ પહેલા ભાજપનું શાસન હતું, તેથી ભાજપના શાસકો પર કોંગ્રેસે તહોમતનામુ રજૂ કરીને જનતાની અદાલતનો ફેંસલો માંગ્યો છે. છેલ્લા બે દાયકાથી જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હતું અને એ દરમ્યાન ભ્રષ્ટાચાર અને કૌભાંડો થયા હોવાના આરોપો લગાવવા કોંગ્રેસે પ્રેસ-કોન્ફરન્સ યોજી, અને ભાજપના શાસન સામે ચાર્જશીટ મૂક્યુ, તે પછી જામનગરમાં જાણે ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો હોય, તેમ જણાય છે. ટૂંક સમયમાં જ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થશે અને આદર્શ આચારસંહિતા લાગી જશે, અને તે પછી મહાનગરમાં ચૂંટણી પ્રચારનો ઝંઝાવાત ફૂંકાશે, જેના સંકેતો કોંગ્રેસના ચાર્જશીટ અને તે પછી આવેલા પ્રત્યાઘાતો દ્વારા મળી રહ્યા છે.
જામનગરના પૂર્વ સાસંદ, ખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય અને દાયકાઓથી હાલારની રાજનીતિના કેન્દ્રમાં રહેલા વિક્રમભાઈ માડમે ભાજપના શાસકો દ્વારા નગરજનોને કેન્દ્રમાં રાખીને નહીં, પણ બિલ્ડરો તથા ઈજારેદારોને ફાયદો પહોંચાડવા કામ કરી રહ્યા હતા અને દરેક વિકાસકામમાં ૪૦ ટકા કમિશન લેવાતુ હતું, તેવા મતલબનું તોહમત મૂક્યુ હતું, અને કોંગ્રેસે જે વિસ્તૃત અને મુદ્દાવાર તહોમતનામુ (ચાર્જશીટ અથવા આરોપપત્ર) રજૂ કર્યું છે, તે અંગે ચાંદીબજાર ચોકમાં ભાજપના નેતાઓ સાથે જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર પણ ફેંક્યો હતો, તો કોંગી ધારાસભ્ય લલિતભાઈ વસોયા, તથા શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના નેતાઓએ પણ ભાજપ અને તેની સ્થાનિક નેતાગીરી પર સણસણતા આરોપો લગાવ્યા હતા. અને ભાજપના શાસનમાં કઈ કઈ સુવિધાઓ મળી નથી અને કઈ કઈ સમસ્યાઓ નથી ઉકેલાઈ તેની લાંબી યાદી રજૂ થઈ હતી.
કોંગ્રેસના આ આરોપનામાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ પહેલા લાલપુરમાં આમઆદમી પાર્ટીના વડા કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ-કોંગ્રેસ પર લગાવેલા આક્ષેપોને સાંકળીને આ વખતે જામનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પણ ત્રિપાંખીયો જંગ ખેલાશે, તો તેમાં કોનું પલડું ભારે રહેશે, તેની ચર્ચા પણ શરૂ ગઈ છે.
એક તરફ જામનગર સહિત હાલારમાં ભાજપ-કોંગ્રેસ પર તડાપીટ બોલી રહી છે, તો બીજી તરફ પ.બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સામે ભાજપ અને કોંગ્રેસ અલગ-અલગ રીતે ચૂંટણી લડી રહ્યા છે, અને લૂપ્ત થતા જતા ડાબેરી પક્ષોને ગણી લઈએ, તો પ.બંગાળમાં ચતુર્કોણીય મૂકાબલો થવાનો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ તૃણમુલ કોંગ્રેસ અને મમતા સરકાર પર ચાર્જશીટ રજૂ કર્યું હતું, તેની ચર્ચા ટોક ઓફ ધ નેશન બની છે.
શનિવારે પ.બંગાળમાં ભાજપ તરફથી સ્ટાર પ્રચારક તરીકે ચૂંટણી પ્રચાર કરવા ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મમતા સરકાર પર ચાર્જશીટ મુક્યુ હતું અને તે માટે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. અમિતભાઈએ ૧૪ મુદ્દાનું ચાર્જશીટ મૂકીને મમતા સરકારના ૧૫ વર્ષના પ.બંગાળ પર શાસનની નિષ્ફળતાઓ વર્ણવી હતી અને "કટમની"ની સિસ્ટમ પર ગહન વ્યંગ પણ કર્યો હતો. તેમણે મમતા સરકાર પર ભ્રષ્ટાચાર, વોટબેંકની રાજનીતિ, સિન્ડીકેટ, કૌભાંડો તથા ઘુસણખોરોને છાવરવા જેવા સંખ્યાબંધ આરોપો લગાવ્યા હતા અને મમતા બેનર્જી હિંસાનો રાજનીતિમાં બેધડક ઉપયોગ કરતા હોવાનો ગંભીર આક્ષેપ પણ લગાવ્યો હતો.
સામાન્ય રીતે કાનૂનની અદાલતો એટલે કે ન્યાયની દેવડીમાં તહોમતનામુ, આરોપપત્ર કે ચાર્જશીટ જેવી પ્રક્રિયાઓ થતી હોય છે, પરંતુ જનતાની અદાલતમાં ચૂકાદો મેળવવા તથા પોતાની તરફેણમાં જનમત કરવા માટે પ્રતિસ્પર્ધી પક્ષો પર તહોમતનામુ અથવા ચાર્જશીટ મૂકવાની આ પરંપરા હવે નગરથી નેશન સુધી વ્યાપી રહી છે, ત્યારે આશા રાખીએ કે જે કોઈ ચાર્જશીટો મૂકતા હોય, તેની પ્રત્યેક વિગતોને ધ્યાને લઈને તથા તેની પરખ કરીને તથા તેની યથાર્થતા તપાસીને જ જનતા મહાનગરપાલિકા હોય કે વિધાનસભા હોય, તમામ ચૂંટણીમાં મૂક્ત મને યોગ્ય ચૂકાદો આપશે તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial