Advertisement
Author: નોબત સમાચાર

ઈસ્લામાબાદમાં આવતીકાલથી યુદ્ધ વિરામ અંગે યોજાનારી મંત્રણાઓ ઘોંચમાં... ઈરાનનું વલણ અકળ...

ઈઝરાયલે લેબેનોન પર કરેલા હુમલા પછી ઈરાન અવઢવમાં તો પાકિસ્તાનને પણ ઝટકો... આજે સાંજ સુધીમાં ચિત્ર થશે સ્પષ્ટ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦:  જ્યાં સુધી લેબનાન પરના હુમલા નહિ અટકે ત્યાં સુધી અમેરિકા સાથે કોઈ વાટાઘાટો નહિ તેમ જણાવી ઈરાને ઈસ્લામબાદ બેઠક સ્થગિત કરવાના આપ્યા સંકેતો આપતા શાહબાઝ શરીફની ઈન્ટરનેશનલ ફજેતી થઈ છે. ઈરાની ડેલીગેશન હજુ પહોંચ્યું નથી જો કે, પરિસ્થિતિનો કયાસ કાઢવા અમેરિકાની ટીમ પહોંચી છે. આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે, પરંતુ તેમ છતાં, ઈઝરાયલ લેબનોન પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. યુદ્ધવિરામ વચ્ચે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બેઠક યોજાવાની હતી, પરંતુ હવે આ બેઠક મુલતવી રહેવાની શક્યતા વધી ગઈ છે.

ઈરાની અને અમેરિકાના પ્રતિનિધિમંડળો વચ્ચે ૧૧ એપ્રિલે પાકિસ્તાનમાં બેઠક યોજાવાની હોવાથી પાકિસ્તાને સુરક્ષા વ્યવસ્થા શરૂ કરી દીધી છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ૩૦ સભ્યોની અમેરિકાની ટીમ ઈસ્લામાબાદ પહોંચી છે.

વાસ્તવમાં, યુદ્ધવિરામ પછી, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે વાટાઘાટો થવાની હતી. જોકે, ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટો મુલતવી રાખી શકાય છે.

ઈરાનની સરકારી તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર, જો ઈઝરાયલ લેબનોન પર હુમલા ચાલુ રાખે છે, તો ઈરાન શનિવારે ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે યોજાનારી વાટાઘાટો મુલતવી રાખી શકે છે. આ ઘટનાક્રમથી ચિંતા વધી છે કે મધ્ય પૂર્વમાં તણાવ ઘટાડવાના હેતુથી રાજદ્વારી પ્રયાસો પાટા પરથી ઉતરી શકે છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે, ત્યારે ઇઝરાયલનું વલણ યથાવત છે. તે જાળવી રાખે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના આ કરારમાં હિઝબુલ્લાહનો સમાવેશ નથી, ન તો તેનો ઈરાન સાથે કોઈ સંબંધ છે.

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ બે અઠવાડિયા માટે  બંધ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી છે, પરંતુ ઇઝરાયલ લેબનોન પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે બેઠકની ચર્ચા થઈ હતી, પરંતુ આ બેઠક મુલતવી રાખવામાં આવી છે, અને જ્યાં સુધી ઇઝરાયલ લેબનોન પર હુમલો કરશે ત્યાં સુધી બંને પક્ષો વચ્ચે કોઈ વાતચીત થશે નહીં.

તસ્નીમના રિપોર્ટ અનુસાર, ઈરાની વાટાઘાટ ટીમ અમેરિકનો સાથે વાત કરવા માટે પાકિસ્તાનના ઇસ્લામાબાદ પહોંચી નથી. આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા લેબનોનમાં યુદ્ધવિરામનું વચન પૂર્ણ નહીં કરે અને ઇઝરાયલ તેના હુમલા ચાલુ રાખશે, ત્યાં સુધી બંને પક્ષો વચ્ચે કોઈ વાતચીત થશે નહીં. આ કારણે મધ્યસ્થી થઈને શાંતિ સ્થાપવાનો યશ લઈ રહેલા પાકિસ્તાનને પણ ઝટકો લાગ્યો છે.

યુદ્ધવિરામ પછી, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બેઠકની ચર્ચા થઈ હતી, જ્યાં વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહૃાું હતું કે યુએસ અને ઈરાની અધિકારીઓ ત્યાં પહોંચવાનું શરૂ કરી ચૂક્યા છે. જોકે ઈરાને આ વાતનો સંપૂર્ણ ઇનકાર કર્યો છે, પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત અમીરી મોગદમે અગાઉ એક ભૂતપૂર્વ પોસ્ટ ડિલીટ કરી હતી.

આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે લખ્યું હતું કે ઈરાની પ્રતિનિધિમંડળ કાયમી શાંતિ માટે અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે પાકિસ્તાન આવવાનું છે. જોકે, બાદમાં તેમણે પોસ્ટ ડિલીટ કરી દીધી, જેનાથી પ્રશ્નો ઉભા થયા.

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં, ઇઝરાયલ લેબનોન પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. ઇઝરાયલ કહે છે કે લેબનોન યુદ્ધવિરામમાં સામેલ નથી. જોકે, યુદ્ધવિરામની હાકલ કરતી શાહબાઝ શરીફની પોસ્ટમાં લેબનોનનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. ઇઝરાયલે એક પોસ્ટમાં લખ્યું હતું કે તે લેબનોનમાં તેના હુમલા ચાલુ રાખશે, જેનો હેતુ હિઝબુલ્લાહના ખતરાને દૂર કરવાનો છે, જેને ઈરાન દ્વારા સમર્થન આપવામાં આવે છે.

 બીજી તરફ ટ્રમ્પે ઈરાન પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તેલના ટેન્કરો પાસેથી ઈરાન ફી વસૂલી રહ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યકત કરતા કહ્યું કે, આવું ન થવું જોઈએ, અને જો ઈરાન આવું કરી રહ્યું હોય તો તેણે તાત્કાલિક અસરથી આ ટેકસ વસુલાત બંધ કરવી જોઈએ.

ઈઝરાયલની સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના લોન્ચ સાઈટ્સ પર હવાઈ હુમલા શરૂ કર્યા હોવાની પુષિટ કરી છે. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટે જણાવ્યું કે, ટ્રમ્પ ઈચ્છે છે કે યુરોપીયન દેશો હોર્મુઝની સુરક્ષા માટે ઠોસ પ્રતિબદ્ધતા આપે. લેબનોનમાં વધી રહેલી હિંસા પર જાણીતી હસ્તી મિયા ખલીફાએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યકત કર્યું છે. આ બધા ઘટનાક્રમો ઈસ્લામાબાદની સુચિત બેઠકની સંભવિત સફળતા સામે જ સવાલો ઉભા કરે છે. પાકિસ્તાનના ટાઈમઝોન મુજબ આવતીકાલે આ વાટાઘાટો શરૂ થાય છે કે કેમ તે અંગે આજ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તેમ મનાય છે.

જો કે, ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ વિરામ અંગે ઈસ્લામાબાદમાં યોજાનારી મહત્ત્વની વાટાઘાટો પૂર્વે પાકિસ્તાને એક મોટો નિર્ણય લેતા તમામ પ્રતિનિધિઓ અને પત્રકારો માટે વીઝા ઓન અરાઈવલની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે, ઈસ્લામાબાદ ટોકસ ૨૦૨૬માં ભાગ લેવા આવતા તમામ દેશોના ડેલીગેટ્સ અને મીડિયાકર્મીઓને પાકિસ્તાન પહોંચવા પર જ વીઝા આપી દેવામાં આવશે. આ સુવિધાને પગલે તમામ એરલાઈન્સને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ વીઝા વગર જ આવા વ્યકિતઓને બોર્ડિંગની મંજૂરી આપે. પાકિસ્તાન આ પગલા દ્વારા આંતરરાષ્ટ્રીય વાટાઘાટો માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરવા અને પ્રક્રિયાને ઝડપી બનાવવા પ્રયાસ કરી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh