Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિ વચ્ચે વિવિધ સંદર્ભોમાં કોવિડ-૧૯ની સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, અને કોવિડ-૧૯ના પ્રથમ લોકડાઉનથી લઈને સતત લગભગ બે-ત્રણ વર્ષ સુધી તેની અસરોની કડવી યાદો પણ તાજી થવા લાગી છે. જો કે, પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કેન્દ્ર સરકાર કોવિડ-૧૯ની સ્થિતિને જે રીતે સરકાર અને દેશવાસીઓએ હેન્ડલ કરી હતી, તેવી જ હેન્ડલ કરવાનો દાવો કેન્દ્ર સરકાર તરફથી થતા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગી સાંસદ રાહુલ ગાંધીએ શાબ્દિક પ્રહારો કર્યા છે, તો કોવિડ-૧૯ના લોકડાઉન સમયે થયેલા એક કોન્સ્ટેડિયલ કેસમાં હાઈકોર્ટની સુઓમોટો સુનાવણી પછી મદુરાઈની સેસન્સ કોર્ટે નવ પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી હોવાના અહેવાલોના સંદર્ભે પણ લોકડાઉન દરમ્યાન બનેલી ઘાતકી દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનિય ઘટનાની કમકમાટી ઉપજાવતી યાદો તાજી કરાવી દીધી છે. આ ઘટનામાં લોકડાઉન દરમ્યાન દુકાન ખુલી રાખવા જેવા સામાન્ય ગૂન્હામાં પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારતા વેપારી પિતા-પુત્રના મૃત્યુ નિપજયા હતા, જેમાં અદાલતે આ ઘટનાને ક્રૂરતાની પરાકાષ્ટા ગણાવીને ફાંસીની સજા સંભળાવ્યા પછી આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બની ગયો છે.
કોવિડ-૧૯નો પ્રકોપ શરૂ થયા પછી અને ભારતમાં કેસો વધવા લાગ્યા પછી વર્ષ ૨૦૨૦માં ૨૨મી માર્ચે સ્વૈચ્છિક જનતા કર્ફ્યુનો પ્રયોગ થયો હતો, અને ૨૪મી માર્ચથી ૧૪ દિવસ માટેે સાર્વજનિક લોકડાઉન લાગુ થયુ હતું, તે પછી બીજા તબક્કામાં ત્રીજી મે અને ચોથા તબક્કામાં ૧૮મી મે સુધી લોકડાઉન લંબાવાયુ હતું તે પછી ધીમે ધીમે પ્રતિબંધો હળવા કરાયા હતા, તથા પહેલી ડિસેમ્બર-૨૦૨૦થી તબક્કાવાર અનલોક શરૂ થયુ, અને ક્રમશઃ પ્રતિબંધો વધુ હળવા થતા ગયા, જે પ્રક્રિયા ૩૧મી માર્ચ-૨૦૨૨ સુધી ચાલી હતી. કોરોનામાં લોકોની જિંદગી બદલી ગઈ, ઘણાં જીવ ગયા, એ ગમખ્વાર ઘટનાક્રમ તથા પડકારરૂપ સમયગાળાને અત્યારે જુદા જુદા સંદર્ભોમાં જ્યારે જ્યારે યાદ કરવામાં આવે છે, ત્યારે ત્યારે એ કપરા દિવસોની યાદો ફિલ્મની સ્ક્રીપ્ટની જેમ નજરો સમક્ષ તરવા લાગે છે.
એ લોકડાઉન દરમ્યાન દેશભરમાં માનવતા પણ મહેંકી ઉઠી હતી અને કેટલાક દુર્ભાગ્યપૂર્ણ તથા નિંદનીય બનાવો પણ બન્યા હતા, જેમાં તમિલનાડૂના સાથનકૂલમ કસ્ટોડિયલ ડેથની કમકમાટીભરી ઘટનાનો પણ સમાવેશ થાય છે. તબક્કાવાર લોકડાઉન લંબાવાઈ રહ્યું હતું, તે સમયે ૧૯ જૂન ૨૦૨૦ના દિવસે નિર્ધારિત સમય કરતા વધુ સમય દુકાન ખુલી રાખ્યાના આરોપમાં જયરાજ અને બેનિક્સ નામના વેપારી પિતા-પુત્રની અટકાયત કરાઈ હતી અને રાત્રે પોલીસ સ્ટેશનમાં બેરહમીથી મારપીટ થઈ હતી. એવું કહેવાય છે કે વર્ષ ૨૦૨૦ની ૨૨મી જૂને પુત્ર બેનિકસ અને ૨૩ જૂને પિતા જયરાજનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ ઘટનાની હાઈકોર્ટે સુઓમોટો સુનાવણી કરીને સીબીઆઈને તપાસ સોંપ્યા પછી પોલીસકર્મીઓ સહયોગ નહીં આપતા હાઈકોર્ટે સંબંધિત પોલીસ સ્ટેશન મહેસુલ વિભાગના નિયંત્રણમાં મૂક્યુ, તે પણ આઝાદ ભારતની કદાચ અભૂતપૂર્વ ઘટના હતી.
હાઈકોર્ટે જો આ કેસની સતત દેખરેખ રાખી ન હોત તો આ અત્યાચારી ઘટના દબાઈ ગઈ હોત એન દિવંગત પિડિત પિતા-પુત્રને ન્યાય મળ્યો ન હોત. આ કેસમાં ઈન્સ્પેકટરથી માંડીને કોન્સ્ટેબલ સુધીના ૧૦ આરોપીઓ હતા, તેમાંથી એક આરોપીને કોરોના જ ભરખી ગયો હતો, જ્યારે બાકીના નવને સજા મળી છે.
તમિલનાડૂની આ ઘટના લોકડાઉનના સમયગાળાની અમાનવિય અને કાળજુ કંપાવનારી હતી, તેથી તેને પ્રથમ લોકડાઉનના માર્ચથી મેના પ્રથમ તબક્કાને યાદ કરાઈ રહ્યો છે, અને પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કોવિડ-૧૯ના સમયગાળા સાથે સરખાવીને તે સમયે જે રણનીતિ અપનાવીને તબક્કાવાર રાહતના કદમ ઉઠાવાયા હતા, તેવી જ રીતે હેન્ડલ કરવાની વાતો થઈ રહી છે, તો કોવિડના સમયગાળાનો જ ઉલ્લેખ કરીને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ પ્રવર્તમાન સમયગાળાની કપરી સ્થિતિમાં સરકાર પર પ્રહારો કર્યા છે.
દેશમાં એલપીજીની તંગીનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે "પીએમ મોદી" એ હાલના ગેસ સંકટને કોવિડની જેમ હેન્ડલ કરવાનું કહ્યું હતું અને ખરેખર અત્યારે સ્થિતિ કોવિડ જેવી જ છે. મોટી જાહેરાતો, શૂન્ય નીતિ અને બધો જ બોજ ગરીબો પર...!
તેમણે ઉમેર્યું કે મર્યાદિત આવક ધરાવતા શ્રમિકો માટે રાંધણગેસ ખરીદવો પોસાય તેમ નહીં હોવાથી તેઓ ફરી એક વખત (કોરોનાકાળની જેમ) ગામડાઓ તરફ પલાયન કરી રહ્યા છે. શ્રમિકોના આધારે જ ચાલતા ટેક્સટાઈલ અને મેન્યુફેકચરિંગ ઉદ્યોગો પ્રવર્તમાન વૈશ્વિક યુદ્ધના સંકટના કારણે ઊભી થયેલી સ્થિતિમાં ભાંગી રહ્યા છેે. અહંકાર જ્યારે નીતિ બની જાય ત્યારે અર્થતંત્ર પડી ભાંગે છે અને દેશ દાયકાઓ પાછળ ધકેલાઈ જાય છે વગેરે...
રાહુલ ગાંધીએ ભલે આ પ્રકારનું નિવેદન રાજકીય ઉદ્દેશ્યથી કે વ્યંગમાં આપ્યું હોય, પરંતુ જે રીતે સરકાર કેરોસીનની છુટ આપી રહી છે અને પાંચ કિલોના સિલિન્ડરનું વેચાણ તથા રેસ્ટોરન્ટોને લાકડાના ચૂલાની છૂટ તથા પરોક્ષ રીતે કેરોસીન અને રાંધણગેસના રેશનીંગ જેવા કદમ ઉઠાવી રહી છે, તે જોતાં કાં તો યુદ્ધ લાંબુ ચાલે, તો તેવી સ્થિતિમાં પરિસ્થિતિનો સામનો કરવામાં સહયોગી બનવા માટે લોકોને માનસિક રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે, અથવા તો અત્યારે "સબ સલામત"ની રેકર્ડ વગાડાઈ રહી છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક જૂદી જ છે...! જે હોય તે ખરૃં, ઈરાન સંકટ ઝડપથી ઉકલી જાય, તેવી આશા વચ્ચે ટ્રમ્પના અલ્ટિમેટમ પછી આ જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial