Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ડો. ભીમરાવ રામજી આંબેડકરની જયંતી છે, તેઓને બંધારણના ઘડવૈયા ગણવામાં આવે છે. તેઓ બંધારણની ડ્રાફટ સમિતિના અધ્યક્ષ હતા અને બંધારણ સભા દ્વારા બંધારણના ઘડતર તથા આખરી ઓપ આપવામાં તેઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તેઓને ડો. બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ આપણે ઓળખીએ છીએ. ડો. ભીમરાવ (બાબાસાહેબ) આંબેડકરની જયંતી ઉજવાઈ રહી છે, ત્યારે જ આ અઠવાડિયામાં દેશમાં બંધારણીય ઘટનાક્રમો પણ બની રહ્યા છે, જે બંધારણ સભા અને ડો. બાબાસાહેબ આંબેડકરની દૂરંદેશી તથા સચોટતા દર્શાવે છે.
અત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા દેશના કેટલાક રાજયોમાં વિધાનસભાના જનરલ ઈલેકશન તથા પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે, તે પણ બંધારણીય હેઠળ જ યોજાઈ રહી છે.
એ બંધારણ જ છે, જેની જોગવાઈઓ હેઠળ સુપ્રિમકોર્ટ એસઆઈઆરના મુદ્દે સુનાવણી કરીને ચૂંટણીપંચ અને સંબંધિત સરકારોને જરૂરી દિશાનિર્દેશ આપી રહી છે. પ.બંગાળમાં એસઆઈઆરમાં ૯૦ લાખ મતદારોના નામ કપાયા, તે મુદ્દે સુપ્રિમકોર્ટે જે સમતોલ અને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે, તે આપણાં દેશના સ્વયંસ્પષ્ટ લેખિત બંધારણને જ આભારી છે.
ડો. બાબાસાહેબ આંબેડકરના વડપણ હેઠળ ડ્રાફટ કમિટીમાં તૈયાર થયેલા મુસદાને બંધારણ સભાએ સ્વીકૃતિ આપી. તે પહેલા આ બંધારણ આઝાદ ભારતમાં જરૂર પડયે કાયદા-કાનૂન કે મજબૂત અધિકારો સિવાયની જોગવાઈઓમાં સુધારા-વધારા થઈ શકે, તેવી વ્યવસ્થાઓ પણ એ જ બંધારણમાં કરવાની વિશેષ કાળજી રાખવામાં આવી હતી. અને આ બંધારણ લાગુ પડયુ ત્યારથી અત્યાર સુધીમાં સવાસોથી વધુ બંધારણીય સુધારાઓ થઈ ચૂક્યા છે.
આઝાદી પછી થયેલા બંધારણીય સુધારાઓની માહિતી નોબતની ગત દિવાળી પૂર્તિમાં એક વિસ્તૃત લેખમાં અપાઈ હતી. આ બંધારણીય સુધારાઓ હેઠળ જ આપણાં દેશમાં મહિલાઓને સંસદની લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠકો પર આરક્ષણ આપવાનું વિધેયક વર્ષ-૨૦૨૩માં મૂકાયુ હતું આ બિલનું નામ હતું નારીશક્તિ વંદન વિધેયક-૨૦૨૩...
આ બિલ વર્ષ ૨૦૨૩માં પસાર તો થઈ ગયું, પરંતુ તેમાં નવુ સિમાંકન નવી વસતિ ગણતરીના આધારે થવું જરૂરી છે, હવે નવી વસતિ ગણતરી થયા પછી નવું સિમાંકન થાય, તેની રાહ જોવાઈ રહી છે.
આપણાં દેશમાં દર દસ વર્ષે વસતિ ગણતરી થાય છે અને છેલ્લી વસતિ ગણતરી વર્ષ ૨૦૧૧માં થઈ હતી, અને તે પછી વર્ષ ૨૦૨૧માં વસતિ ગણતરી થવાની હતી, પરંતુ કોવિડ-૧૯ના કારણે તેમાં વિલંબ થયો હતો. હવે આ વર્ષે વસતિ ગણતરી થવા જઈ રહી છે. આ વસતિ ગણતરી થતા જ નવું સિમાંકન નક્કી થશે, અને લોકસભા, દેશની તમામ વિધાનસભાઓમાં (દિલ્હી સહિત) મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રહેશે. જેવી રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા અનામત છે, તેવી જ રીતે (પછાત વર્ગો સહિત) લોકસભા અને દેશની વિધાનસભાઓમાં પણ ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે.
આ સમગ્ર પ્રક્રિયા પણ આપણાં એ જ દીર્ઘદૃષ્ટિપૂર્વક તૈયાર કરાયેલા લિખિત બંધારણને જ આભારી છે, અને આ બિલની મહત્તમ જોગવાઈઓ અંગે દેશમાં વિસ્તૃત ચર્ચાઓ પણ થઈ હતી. આ બિલ પણ બંધારણમાં ૧૦૬મા સુધારા તરીકે વર્ષ-૨૦૨૩મા પસાર થયું હતું. તે પછી હવે આ બિલને અંતિમ ઓપ અપાયા પછી ૧૨૮મા બંધારણીય સુધારા તરીકે ઓળખાશે. આ સુધારામાં નવા સિમાંકનની વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે. આ બિલમાં એસ.સી. અને એસ.ટી.ની અનામત બેઠકોમાં પણ ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. હવે આ વિષય પર ૧૬મી એપ્રિલથી સંસદમાં ચર્ચા થવાની છે, ત્યારે કોંગ્રેસે આ બિલના ટાઈમીંગ પર સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે વડાપ્રધાને આ બિલ અંગે દિલ્હીના વિજ્ઞાનભવનમાં મહિલા સમુદાયો સાથે પણ સંવાદ કર્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશના બંધારણીય વડા છે. તેઓ આજે ગુજરાતની મુલાકાતે છે અને રાજધાની ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. બીજી તરફ હાલાર સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જયંતીની ઉજવણીના ભવ્ય કાર્યક્રમો, રેલીઓ અને સમારોહો યોજાઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ ડો. આંબેડકરને સ્મરણાંજલિ અર્પીએ અને બંધારણના મૂળભૂત મૂલ્યો તથા બંધારણના ઘડવૈયાઓની દેશભાવનાને જાળવી રાખવાનો સંકલ્પ લઈએ...
આજે જ્યારે દેશ અને દુનિયા સામે નવા પડકારો ઊભા થઈ રહ્યા છે અને આઝાદીકાળની દેશભક્તિની પ્રબળ ભાવનાને પુનઃ પ્રજ્વલિત કરવાની જરૂર છે, ત્યારે દેશ માટે શહીદી આપનાર તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial