Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલ અને મનિષ સિસોદીયાને નિર્દોષ ઠરાવીને સીબીઆઈની ઝાટકણી કાઢી, તે પછી સ્વાભાવિક રીતે જ "આપ"ના નેતાઓ ગેલમાં છે, કાર્યકરો જોશમાં છે અને ભાજપના નેતાઓ બેકફૂટ પર જણાય છે. જો કે, કેજરીવાલે પ્રથમ જ પ્રત્યાઘાતમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસની પણ ટીકા કરતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે આમઆદમી પાર્ટી કોંગ્રેસ કે ઈન્ડિયા ગઠબંધન સાથે જોડાવાના બદલે હવે બેવડા જોરથી એકલા હાથે ચૂંટણીઓ લડવાની નીતિ અપનાવશે. "આપ" દેશભરમાં "છુટકારા"ની ઉજવણી કરી રહ્યું છેે, તો જામનગરમાં પણ આમઆદમી પાર્ટીએ કિસાન બચાવ યાત્રા આજે કાઢી છે.
ભાજપના નેતાઓએ હજુ "આપ"ના પાપ ધોવાયા નથી અને બીજા ઘણાં કેસો બાકી છે, તથા સીબીઆઈએ અપીલ કરી હોવાથી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો આપ્યા, તો અન્ના હજારે એ ન્યાયતંત્રના ફેંસલાને માથે ચડાવવાની વાત કરી છે, તો બીજી તરફ કેજરીવાલે "કોંગ્રેસને શરમ ન આવતી ?" તેવા શબ્દપ્રયોગો કરવા પડયા, તેની પાછળનું ઘેરું રહસ્ય પણ ચર્ચાના ચાકડે ચડ્યું છે.
હકીકતે કેજરીવાલ અને મનિષ સિસોદીયા નિર્દોષ છુટયા પછી કોંગ્રેસના પ્રવક્તાએ આને ભાજપની ઊંડી ચાલ ગણાવી હતી અને કોંગ્રેસ મૂક્ત ભારતની નીતિ ધરાવતા ભાજપે "આપ" ને આગળ કરીને કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર રચ્યું હોવાનો અંદેશો પણ વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત કેજરીવાલ અને સિસોદીયાએ નીચલી અદાલતે નિર્દોષ ઠરાવ્યા પછી હજુ હાઈકોર્ટ અને તે પછી સુપ્રિમકોર્ટ સુધી કાનૂની લડત ચાલવાની છે, તેથી આમઆદમી પાર્ટીએ બહુ હરખાવા જેવું નથી, તેવા નિવેદનો પણ આવ્યા હતા, તેથી વિવિધ અટકળો વહેતી થઈ હતી.
વાસ્તવમાં પંજાબમાં અત્યારે "આપ" ની સરકાર છે, અને ત્યાં ભાજપનું પહેલેથી જ બહુ વર્ચસ્વ નથી, અને તેની સાથે દાયકાઓ સુધી ગઠબંધનમાં રહેનાર અકાલીદલ પણ નબળુ પડી ગયું હોવાનું મનાય છે. આ કારણે આગામી ચૂંટણીમાં પંજાબ વિધાનસભામાં કોંગ્રેસને બહુમતી મળે, તેવા સંજોગો હોવાથી કોંગ્રેસ આમઆદમી પાર્ટી સાથે ગઠબંધન કરે, તેમ જણાતુ નથી. બીજીતરફ ગુજરાતમાં તાજેતરના કોઈ સર્વેક્ષણમાં પણ ભાજપના વળતા પાણી થાય કે ભાજપની સત્તા ચાલી જાય, તેવી સંભાવનાઓ ઊભી થાય કે ન થાય, તો પણ ગુજરાતમાં આમઆદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાના કારણે વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને પાછળ છોડીને આમઆદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બની શકે તેમ હોવાના તારણો નીકળ્યા હોવાની વાતો વહેતી થઈ હતી. હવે જયારે કેજરીવાલ અને મનિષ સિસોદીયાને નીચલી અદાલતે નિર્દોષ છોડયા પછી સ્વાભાવિક રીતે જ આમઆદમી પાર્ટીની લોકપ્રિયતા પહેલા કરતા વધી શકે છે, અને પંજાબ તથા ગુજરાતમાં આમઆદમી પાર્ટીને ફાયદો થઈ શકે તેમ છે, આ કારણે જ કોંગ્રેસ એવી આશંકા રાખી રહી હશે કે ભાજપે જ આમઆદમી પાર્ટીને ઉત્તેજન આપવા સીબીઆઈ દ્વારા નબળા પૂરવા રજૂ કરીને કેજરીવાલ એન્ડ કાું. ને નિર્દોષ છોડાવ્યા હશે. જો કે, આવું થાય, તે સરળતાથી ગળે ઉતરે તેવું નથી, પરંતુ એવરીથીંગ ઈઝ પોસિબલ ઈન વોર એન્ડ પોલિટિક્સ !
ગઈકાલથી જ ભાજપ અને "આપ" તથા કોંગ્રેસના નેતાઓના નિવેદનોની ભરમાર વચ્ચે સીબીઆઈએ રાઉઝ એવન્યૂ કોર્ટના ફેંસલા સામે હાઈકોર્ટમાં અપીલ કરવાની પ્રક્રિયા આદરી દીધી હતી અને "આપ"ના નેતાઓની આ ખુશી અલ્પજીવી નિવડશે અને નીચલી અદાલતે નજરઅંદાજ કરેલા તથ્યો, પૂરાવાઓ તથા નાશ કરી દેવાયેલા પૂરાવાઓને લક્ષ્યમાં લઈને હાઈકોર્ટે યોગ્ય નિર્ણય લેશે, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, તેવા દાવાઓ થઈ રહ્યા હતા. અને કેજરીવાલના વકીલે પણ આ ફેંસલો કેજરીવાલ સરકારની શરાબનીતિની યથાર્થતા અંગે હતો, તથા અપીલ કરવાનો સૌને અધિકાર છે, તેવું કહ્યા પછી હવે દડો હાઈકોર્ટના મેદાનમાં પડવાનો છે, તે નક્કી છે.
જો કે, હાઈકોર્ટે પણ જો રાઉઝ એવન્યુ કોર્ટનો જ ફેંસલો બહાલ રાખ્યો અને સીબીઆઈ સામે જ સવાલો ઉઠ્યા તો ભાજપ સરકાર અને તેના તંત્રવાહકોની કેવી હાલત થશે ? તેની રાજકીય અસરો કેટલી પડશે અને તેનો રાજકીય ફાયદો "આપ" ને કેટલો થશે ? તે તો ઓપન સિક્રેટ જ છે ને ?ૃ
તેનાથી વિપરીત જો હાઈકોર્ટે રાઉઝ એવન્યુ કોર્ટનો ફેંસલો પલટાવ્યો, અને ફરીથી કેજરીવાલ અને મનિષ સિસોદીયા સહિતના આ કેસના આરોપીઓને દોષિત ઠરાવ્યા કે કેસ ફરીથી ચલાવવા નીચલી અદાલતને આદેશ આપ્યો, તો "આપ" ના નેતાઓ માટે આ ખુશી ટૂંકા ગાળાની રહેશે. જો કે, તેવું થવાની સંભાવના ઓછી ગણાવાઈ રહી છે.
સામાન્ય રીતે અપીલ થયા પછી ઉપલી અદાલત આખો કેસ ફરીથી ચલાવતી હોતી નથી કે નવા પૂરાવા લેવાતા નથી, પરંતુ જો નીચલી અદાલતે કોઈ મહત્ત્વપૂર્ણ પૂરાવા કે તથ્યો ધ્યાને લીધા જ ન હોય, તો તેના પર સુનાવણી થઈ શકે છે. જોઈએ, હવે શું થાય છે તે... જસ્ટ વેઈટ એન્ડ વોચ...
ભારતીય જનતા પક્ષ માટે રાઉઝ એવન્યુ કોર્ટનો ચૂકાદો એટલા માટે ઝટકા સમાન છે કે કેજરીવાલ અને તેના અન્ય નેતાઓની લોકપ્રિયતા શરાબ કૌભાંડ, મની લોન્ડ્રીંગ કેસ, શિશમહેલ તથા અન્ય કથિત કૌભાંડોના કારણે ઘટી હતી, અને હવે જો તેને ક્લિનચીટ મળે, તો દિલ્હી સ્ટેટના સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ ફરીથી હાંસિયામાં ધકેલાઈ શકે તેમ હોવાનું ઘણાં વિશ્લેષકો માને છે.
ગઈકાલે ભાજપને અકળાવે તેવા એક બીજા સમાચાર પણ આવ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ ફરીથી પ્રગટ થયા અને કહ્યું કે તેમણે ક્યારેય એવું કહ્યું જ નથી કે તેઓ બીમાર હતા. તેમણે એક કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન કહ્યું કે તેમણે ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે આપ્યું હતુ...આ નિવેદન પછી તેઓના રાજીનામા પાછળના કારણો અંગે થતી અટકળોનો તો અંત આવ્યો, પરંતુ આ કાર્યક્રમ માટે કરેલા પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના પૂર્વ સાંસદ રામસિંહ કસવાની મુલાકાત લેતા ક્યાંક તેઓ કોંગ્રેસ તરફ ઢળી રહ્યા તો નથી ને ? તેવા સવાલો ઉઠવા લાગ્યા હતા, તો કોઈએ ધનખડ "યોગ્ય" સમયે ખેલ નાખશે, તેવી અટકળો કરતા સંકેતો આપ્યા હતા કે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial