Advertisement
Author: નોબત સમાચાર

માતા-પિતા, ભાઈ સાથે બોલવાનો વ્યવહાર તૂટતા કલ્યાણપુરના પટેલકામાં યુવાને ખાઈ લીધો ગળાફાંસો

માનસિક બીમારીથી યુવાનની આત્મહત્યાઃ વૃદ્ધને હૃદયરોગનો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫ઃ કલ્યાણપુરના પટેલકા ગામમાં વસવાટ કરતા મૂળ વડોદરા જિલ્લાના વતની એક યુવાનને ત્રણેક મહિનાથી માતા-પિતા તથા ભાઈઓ સાથે બોલવા ચાલવાનો વ્યવહાર ન હતો. અવારનવાર પત્ની સમક્ષ મરી જવાની વાતો કરતા આ યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. માનસિક બીમારીથી પીડાતા રાવલ ગામના યુવાને ઝેરી દવા પી લઈ જિંદગીનો અંત આણ્યો છે અને ખંભાળિયાના વડત્રાના વૃદ્ધને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામમાં આવેલા અરશીભાઈ અરજણભાઈ ચાવડાના ખેતરમાં રહેતા મૂળ વડોદરાના તરસાલી ગામના નગીનભાઈ સવજીભાઈ મથ્થર (ઉ.વ.ર૮) નામના વિપ્ર યુવાને બુધવારે રાત્રે નવેક વાગ્યા પછીથી ગુરૂવારની સવાર સુધીમાં પોતાના રહેણાંકમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની સવારે તેમના પત્ની મીનાબેનને જાણ થતાં તેઓએ રડારોળ કરી હતી. દોડી આવેલા અન્ય વ્યક્તિઓએ નગીનભાઈને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.  મીનાબેને પોલીસને જાણ કરી છે. તેઓના નિવેદનમાં ખૂલ્યા મુજબ ત્રણેક મહિનાથી તેઓને પોતાના માતા-પિતા તથા ભાઈઓ સાથે બોલવાનો વ્યવહાર ન રહ્યો હતો અને છેલ્લા દસેક દિવસથી નગીનભાઈ જિંદગીથી કંટાળ્યા હોવાનું પણ મીનાબેનને કહેતા હતા. તે પછી બુધવારે રાત્રે આ યુવાને આત્મહત્યા કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં મયુરનગરમાં રહેતા નાથાભાઈ વાલાભાઈ લાબરીયા (ઉ.વ.૪૫) નામના ભરવાડ યુવાન છેલ્લા દસેક મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હતા. તેનાથી કંટાળી ગયેલા નાથાભાઈએ મંગળવારે સાંજે છએક વાગ્યે પોતાના ઘરેથી નીકળ્યા પછી સાની નદીના પુલીયા નજીક પહોંચી કોઈ ઝેરી દવા પી લીધી હતી.

આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેઓનો મૃતદેહ ગઈકાલે સવારે પુલીયા પાસેથી મળી આવ્યો હતો. મૃતકના નાનાભાઈ રાજાભાઈ વાલાભાઈએ પોલીસને જાણ કરી છે.

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામની સીમમાં વસવાટ કરતા દેવાતભાઈ પબાભાઈ ચાવડા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધને આઠેક વર્ષથી હૃદયની બીમારી હતી. તે દરમિયાન ગઈકાલે સાંજે વડત્રા ગામની સીમમાં તેઓને હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ થયાનું પુત્ર મારખીભાઈ ચાવડાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh