Advertisement
Author: નોબત સમાચાર

જો જીતા વોહી સિકંદર... હાલારની આ અનિચ્છિનિય ઘટનાઓમાંથી બોધપાઠ લઈએ...

                                                                                                                                                                                                      

ગઈકાલે ટી-૨૦ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે દિલધડક મુકાબલો જામ્યો હતો અને ભારતે ૨૫૩ રનનો જંગી સ્કોર ખડો કરી દીધા પછી એવું લાગતું હતું કે ભારત સરળતાથી જીતી જશે, પરંતુ ઈંગ્લેન્ડના બેટધરોએ એવી આક્રમક રમત રમી કે છેલ્લે ભલભલાના હૃદયની ધડકનો તેજ થઈ જાય, તેવો રોમાંચ જામ્યો હતો.

જો કે, છેલ્લે ભારતીય બોલરોએ વાપસી કરીને ઈંગ્લેન્ડની ટીમને ૨૪૭ રને ઓલ આઉટ કરીને મેચ જીતી લીધી હતી. તેથી એવું કહી શકાય કે જો જીતા વોહી સિકંદર...

હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે ત્યારે ભારતને હરાવનાર દ.આફ્રિકાની ટીમને જે ટીમે પરાજય આપ્યો હતો, તે ન્યુઝીલેન્ડની મજબૂત ટીમ સામે ભારતનો મુકાબલો થવાનો છે. જો કે, ભારતની ટીમ પણ અત્યારે સમોવડી ગણાય છે, બસ, દશેરાના દિવસે ઘોડા દોડવા જોઈએ...

આ સેમિફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના ગુજરાતના ખેલાડીઓ બુમરાહ, હાર્દિક અને અક્ષરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી જે ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે.

હાલારમાં વન-ડે ક્રિકેટના મેચની જેટલી ચર્ચા થઈ રહી છે, એટલી જ ચર્ચા યાત્રાધામ દ્વારકામાં ઉજવાયેલા ફૂલડોલ ઉત્સવ અને તેને સંલગ્ન ઘટનાક્રમોની થઈ રહી છે. યાત્રાધામ દ્વારકામાં "પોલીસ" લખેલી થાર કારને અસલી પોલીસે આંતરીને ડુપ્લીકેટ પોલીસને પકડી લીધા અને તેઓએ કોઈ રોકટોક વગર હરી ફરી શકે તેવા હેતુથી "પોલીસ" લખીને કારમાં પ્રવાસ કર્યો હોવાની કેફિયત આપી હોવાની વાતો વહેતી થયા પછી લોકોમાં કુતૂહુલ સાથે સસ્પેન્સ જાગ્યું હતું અને ફરી એક વખત "ડુપ્લીકેટ" અને "નકલી"ની ચર્ચા શરૂ થઈ ગઈ હતી, તથા સોશ્યલ મીડિયામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તથા ગુજરાતમાં ગુન્હાખોરીની વધી રહેલી હિંમત અંગે વિવિધ કોમેન્ટો પણ થવા લાગી હતી.

આ ઘટનાની સાથે સાથે યાત્રાધામ દ્વારકા જેવા પવિત્ર સ્થળે શેરડીના રસમાં કાંઈક પીવડાવીને પહેલી માર્ચે કોઈ અજાણ્યા યુવાનોએ જામજોધપુરના તરસાઈથી પગપાળા દ્વારકા પહોંચેલા બે વડીલોને શેરડીના રસમાં કાંઈક પીવડાવીને બેભાન કરી દીધા અને તેની પાસે રહેલી હજારો રૂપિયાની રોકડ રકમ તથા સોનાના કિંમતી આભૂષણોની લૂંટ ચલાવી હોવાની ઘટનાએ તો માત્ર હાલાર નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં સનસનાટી ફેલાવી દીધી હતી., આ ઘટનાએ એવી શીખ પણ આપી હતી કે કોઈ અજાણ્યા લોકો જ્યારે કાંઈ ખાવા-પીવા કે તેની સાથે ક્યાંય જવાની ઓફર કરે ત્યારે સતર્ક થઈ જવું અને તેનાથી પીછો છોડાવી લેવો જ હિતાવહ રહે છે.

સિક્કાની બીજી બાજુની જેમ પોલીસતંત્ર દ્વારા કેટલાક લોકોને માનવતાભરી મદદ કરવામાં આવી, પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા પણ સેવા કેમ્પોના માધ્યમથી  યાત્રિકો-પદયાત્રીઓની મદદ કરવામાં આવી, તથા એકંદરે સુરક્ષિત અને સલામતીભરી દર્શન તથા અન્ય વ્યવસ્થાઓ ફૂલડોલ ઉત્સવ દરમ્યાન યાત્રાધામોમાં જાળવી શકાઈ, તેની પણ નોંધ લેવી જ જોઈએ.

બીજી દૃષ્ટિએ એવું પણ કહી શકાય કે ભલાભોળા વયોવૃદ્ધ પદયાત્રીઓને ભોળવીને અને તેને કોઈ ઘેન ચડે તેવું પીણું પીવડાવીને તેને લૂંટી લેનાર દુષ્ટો જેટલા જ દોષિત એ લોકો પણ છે, જેઓ પદયાત્રીઓ સહિત દૂર-સુદુરથી દ્વારકા દર્શનાર્થે આવેલા યાત્રિકો-ભાવિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને નફાખોરી દ્વારા તેઓને લૂંટતા હોય, પવિત્ર યાત્રાસ્થળોમાં આવતા પરિવારો, પદયાત્રીઓ, દર્શનાર્થીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને બેફામ નફાખોરી કરવી એ પણ ઉઘાડી લૂંટ જ ગણાય, અને તેના પર નિયંત્રણ રાખી નહીં શકતા તંત્રો અને શાસકો પણ તેના માટે જવાબદાર જ ગણાય ને ?

આ વખતે ધૂળેટીના પર્વે ગુજરાતમાં ડૂબી જવાથી ૨૫થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલોએ ગમગીની ફેલાવી જ હતી, તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પણ એક ગમખ્વાર સમાચાર આવ્યા, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ-કલ્યાણપુરના કબીરનગરમાં ધૂળેટીમાં રંગે રમ્યા પછી તળાવમાં નહાવા ગયેલા કિશોરના ગમખ્વાર મૃત્યુના સમાચારે બધાને હચમચાવી દીધા હતા. આ ઘટના આપણા બધા માટે બોધપાઠરૂપ છે અને ખાસ કરીને વાર-તહેવારે કે કોઈપણ પ્રસંગે નદી-તળાવ-ચેકડેમ કે જળાશયોમાં બાળકો-કિશોરો કે યુવાનો જ નહીં, કોઈપણ વયજૂથના લોકો નહાવા જાય કે વહેણ પસાર કરવા જાય, ત્યારે ખૂબ જ સતર્ક રહે અને બિનજરૂરી સાહસ ન કરે, તે અત્યંત જરૂરી છે, અને આ માટે સમાજ, સરકાર અને પંચાયતી સંસ્થાઓએ વિસ્તૃત જનજાગૃતિ ફેલાવવી જોઈએ, થા આવી ઘટનાઓ બનતી જ અટકે તેવા સ્થાનિક તથા સર્વવ્યાપી પ્રબંધો પણ કરવા જોઈએ.

ટૂંકમાં યાત્રાધામોમાં દર્શન, પર્યટન અને પ્રકૃતિનો આનંદ મનભરીને માણીએ, પરંતુ તેમ કરવા જતા આપણાં કે આપણાં સ્વજનો કે કોઈપણ લોકોના જીવનું જોખમ ઊભું થાય, કોઈ છેતરી કે ભરમાવી જાય કે લૂંટી જાય, તેની સામે અત્યંત સાવધ રહેવું પડે, અને આવી ઘટનાઓ અટકાવવા સર્વવ્યાપી, સચોટ પ્રયાસો સતત ચાલતા જ રહેવા જોઈએ.

દ્વારકા મંડળના જ એક ગામે એક આવકારદાયક નિર્ણય લીધો અને ધાર્મિક કે પ્રાસંગિક ક્રિયાઓ દરમ્યાન પશુબલિ ચડાવવાની અયોગ્ય અને ક્રૂર પ્રથાને તિલાંજલી આપી, તે પછી આ જ પ્રકારના સંકલ્પો ગામેગામથી લેવાશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે, ત્યારે એક નવી આશાનો સંચાર પણ થયો છે...વેલડન..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh