Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશની રાજનીતિમાં કેટલાક શબ્દો અને વાક્યો રૂઢીપ્રયોગો અને કહેવતોની જેમ વપરાતા હોય છે, પરંતુ તેમાંથી પક્ષો અને નેતાઓ પોતે બોધપાઠ લેતા હોતા નથી અને તેથી આ પ્રકારના વાક્યપ્રયોગો ઘણી વખત રિવર્સ થઈને બૂમરેંગ પૂરવાર થતા હોય છે. ઘણાં નેતાઓ-પક્ષો કેટલીક વખત એવું બોલી નાખતા હોય છે, જેના કારણે પાર્ટીની છબિ ઝંખવાતી હોય છે અને વ્યક્તિગત છાપને પણ નુકસાન થતુ હોય છે એટલે જ કહેવાય છે ને કે, થુંકયુ ગળી શકાતુ નથી અને બોલાયેલા શબ્દોની અસરો પાછી ખેંચી શકાતી નથી કે ભૂસી શકાતી નથી.
રાજનીતિમાં તો "અભી બોલા અભી ફોક" જેવી હરકતો વધી રહી છે એન પોતાના જ નિવેદનો ફેરવી તોળવા, યુ-ટર્ન લેવો કે પછી તેમના નિવેદનનું અર્થઘટન જ અધુરૃં કે ખોટું કર્યુું હોવાનો બચાવ કરવાની તો જાણે ફેશન આવી ગઈ હોય તેમ જણાય છે. પહેલા તો જિલ્લા કે બહુ બહુ તો પ્રદેશ કક્ષાના કેટલાક જ નેતાઓ આવું કરતા જોવા મળતા હતા, પરંતુ હવે તો રાષ્ટ્રીય કક્ષાના જ નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ, મોટા મોટા દેશોના વડાઓ અને પોતાને મહાસત્તા ગણાવતા અમેરિકા જેવા શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ કક્ષાના નેતા પણ હવે ગોળ ગોળ નિવેદનો કરતા હોય છે અથવા સાચા-ખોટા દાવાઓ કરતા હોય છે, કે પછી પોતે જ કરેલું નિવેદન ફેરવી તોળતા જોવા મળે છે.
અત્યારે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ ફેરવી તોળવાના ગ્લોબલ એક્સપર્ટ ગણાય છે અને એટલે જ તેમણે ભારતનો ટેરિફ ઘટાડયો હોવાના નિવેદન સાથે જે કાંઈ કહ્યું છે, તેનો કોઈ ભરોસો કરતું નહોતું, પરંતુ ભારત સરકાર અને વ્હાઈટ હાઉસ તરફથી કેટલીક ચોખવટો થઈ અને પિયુષ ગોયલે કેટલીક સ્પષ્ટતાઓ કરી તેમ છતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી તદૃન બંધ કરી દેવાની બાબતે ગઈકાલે રાત સુધી ગુંચવણ પ્રવર્તતી હતી. આમ, પણ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આખી દુનિયા માટે વિશ્વસનિય નેતા રહ્યા નથી. એ જુદી વાત છે કે ટેરિફ ઘટાડયા પછી ઘણાં લોકોને ટ્રમ્પ "શાંતિદૂત" જેવા લાગ્યા હશે !
સંસદમાં અધ્યક્ષ પર કાગળો ફેંક્યા પછી આઠ સાંસદો સસ્પેન્ડ થયા છે. એ પહેલાં ગઈકાલે સંસદમાં વિવિધ મુદ્દે હોબાળો થયા પછી રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારે પ્રેસરમાં છે અને દેશહિત સાથે બાંધછોડ કરી રહ્યા છે, અને ગભરાયેલા છે, ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પોતાની છબિ ખરડાતી અટકાવવા મોદીએ માન્ય રાખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી "કોમ્પ્રોમાઈઝડ"છે. કરોડોના ખર્ચે બનાવેલી ઈમેજનો ફુગ્ગો ફુટવાની તૈયારીમાં છે. ભારત-અમેરિકાની ટ્રેડ ડીલમાં વડાપ્રધાન મોદીએ ખેડૂતોની મહેનત વેચી નાખી છે. તેમણે દેશ વેચી નાખ્યો, તેથી મને બોલવામાં રોકવામાં આવી રહ્યો છે."
રાહુલ ગાંધી આટલેથી અટક્યા નહીં, પરંતુ તેમણે ઉમેર્યું કે "જે લોકોએ મોદીની ઈમેજ બનાવી છે, તેઓ જ એ ઈમેજને ખંડિત કરી રહ્યા છે. અમેરિકામાં અદાણી પર કેસ ચાલી રહ્યો છે, અને એપસ્ટિન ફાઈલ્સમાં હજુ ઘણી જાણકારી જાહેર થઈ નથી. આ બે "પ્રેસર પોઈન્ટ" છે, જેના કારણે વડાપ્રધાન મોદી પર પ્રેસર છે."
રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલ્સનો જે આક્ષેપ કર્યો છે, તે ગંભીર ગણાય અને આ મુદ્દે અત્યારે ગ્લોબલ ટોક નો વિષય છે. એપસ્ટિન ફાઈલ્સમાં તો વિશ્વના ઘણાં દિગ્ગજોના નામ છે, અને તેમાં નામ હોવાની ચર્ચાના કારણે રાહુલ ગાંધીએ પછેડીમાં બાંધીને પાંચશેરી મારી હોય તેવો ઘાટ સર્જાયો છે. રાહુલ ગાંધીના આ નિવેદન પછી કેન્દ્રીય મંત્રીઓ તથા એનડીએના નેતાઓ પણ વિપક્ષ પર વળતા પ્રહારો કરી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે યૌન શોષણના અપરાધી જેફરી એપસ્ટિન સાથે સંકળાયેલા ૩૦ લાખથી વધુ પેઈજના દસ્તાવેજો સાર્વજનિક થયા છે, જેમાં દુનિયાની દિગ્ગજ હસ્તીઓના નામ હોવાની ચર્ચા છે. એવું કહેવાય છે કે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ ૨૦૧૭ની ઈઝરાયલની યાત્રાને એપસ્ટિન સાથે સાંકળીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, ભારત સરકારના વિદેશ મંત્રાલયે કોઈ ઈ-મેઈલને સાંકળતા આ અહેવાલોમાં કોઈ તથ્ય જ નહીં હોવાનું જણાવીને ધરમૂળથી પાયા વિહોણી પ્રકારની ચર્ચાને નિરર્થક ગણાવી હતી. વડાપ્રધાને સત્તાવાર પ્રવાસ કર્યો હોય, તેને સાંકળીને તદૃન વાહીયાત વાતો વહેતી થઈ હોવાનું જણાવી ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ કથિત ઈ-મેઈલની તમામ વાતોને બકવાસ ગણાવીને તેને રદિયો આપ્યો હતો.
કોંગ્રેસના પ્રવક્તાને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ પવન ખેડાએ સવાલ ઉઠાવ્યો હતો કે જેફરી એપસ્ટિન પાસેથી કયા પ્રકારની સલાહ લેવામાં આવી હતી ? જેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડયા હતા. સરકાર તરફથી સત્તાવાર રદિયો આપ્યા પછી પણ આ મુદ્દો રાજધાની દિલ્હીમાં ચર્ચાસ્પદ રહ્યો હતો.
હવે રાહુલ ગાંધીએ ટ્રમ્પ ટેરિફના મુદ્દે થયેલી ડીલ સાથે સાંકળીને તેમાં એપસ્ટિન ફાઈલ્સનો કથિત ઉલ્લેખ કર્યા પછી આ મુદ્દો ફરીથી ગરમાયો છે...
આ તરફ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પછી પૂરેપૂરી સ્પષ્ટતા તથા વિગતવાર માહિતી ભારત સરકારે અધિકૃત રીતે જાહેર કરી નહીં હોવાથી બટકબોલા ટ્રમ્પે જે કાંઈ કહ્યું છે, તેને ધ્યાને લઈને ખેડૂતો અને પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે, તો ત્રણ કૃષિ કાયદાનું આંદોલન ચલાવનાર ખેડૂત સંગઠનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. સરકાર જેને ઐતિહાસિક ડીલ ગણાવે છે, અને અર્થતંત્ર માટે ગેમ-ચેઈન્જ ગણાવી રહી છે, તથા આ ડીલમાં ખેડૂતો-પશુપાલકોના હિતો સુરક્ષિત રહેશે, તેવો દાવો કરી રહી છે, તેના પર સંયુક્ત કિસાન મોરચાએ ઘેરી આશંકાઓ વ્યક્ત કરી છે.
વર્ષ ૨૦૨૦-૨૧માં મોદી સરકારને ઘુંટણીયે પાડનાર સંયુકત કિસાન મોરચા સહિતના ખેડૂત સંગઠનોમાંથી તિવ્ર પ્રત્યાઘાતો મુજબ મોદી સરકારે અમેરિકન વસ્તુઓ પર શૂન્ય ટકા આયાત ડ્યુટી મંજુર કરીને સ્થાનિક ખેડૂતોના હિતો જોખમમાં મુકયા છે. અમેરિકા જંગી સબસીડી સાથે ભારતીય બજારોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની બજારો અમેરિકાના કૃષિ ઉત્પાદનોનું ડમ્પીંગ કરશે, જેથી ભારતના ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળે...વગેરે...વગેરે...
હવે ભારત અને અમેરિકાના સૂચિત સંયુક્ત નિવેદન તથા આખી ડીલની તલસ્પર્શી વિગતો સત્તાવાર રીતે જાહેર થાય, તેની જ રાહ જોવાઈ રહી છે, અને આ મુદ્દો સડકથી સાંસદ સુધી પડઘાઈ રહ્યો છે, ખેડૂત સંગઠનો પણ સામ્રાજ્યવાદી અમેરિકન રાષ્ટ્રપતિ સામે વડાપ્રધાન અને ભારત સરકાર ઝુકી ગઈ હોવાના આક્ષેપો કરવા લાગ્યા છે, ત્યારે હવે સત્તાવાર ઘોષણા તથા વિગતવાર પારદર્શક રીતે ડીલની વિગતો જાહેર થાય, તેની જ રાહ જોવી રહી..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial