Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યારે દેશભરમાં રાંધણગેસની અછતના મુદ્દે ઉહાપોહ છે અને સરકાર "સબ સલામત"ની વાતો જ દોહરાવી રહી છે, પરંતુ ઠેર-ઠેર જોવા મળતા દૃશ્યો કાંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ગેસના બાટલાનું બુકિંગ ઓટોમેટિક સિસ્ટમથી જ થાય છે, તેથી ગેસ એજન્સીઓની ઓફિસોમાં બુકીંગ થઈ શકતુ નથી, અને ઓટોમેટિક સિસ્ટમમાં ટેકનિકલ ક્ષતિઓ-સર્વર ડાઉન કે પછી અન્ય કોઈ કારણે બુકીંગમાં વિલંબ થાય કે બુકીંગ થાય જ નહીં, તેવા સંજોગોમાં લોકો (કસ્ટમર્સ) ગેસ એજન્સીઓની ઓફિસે પહોંચી જતા હોય છે, અને ત્યાં પણ માત્ર લાચારીભર્યા ગોળ ગોળ જવાબો મળતા હોવાથી લોકોમાં નારાજગી વધી રહી છે. બીજી તરફ આ અસંતોષ ક્યાંક એટલી એન્ટી ઈન્કમ્બન્સી ઊભી ન કરી દ્યે, કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અણધાર્યો ફટકો પડે, તેવી ચિંતા કદાચ ભાજપના અંતરંગ સ્થાનિક વર્તુળોથી માંડીને પ્રદેશ કક્ષા સુધી ફેલાઈ ગઈ હોય, તેવા સંકેતો પણ મળી રહ્યા છે. આ કારણે જ જિલ્લા તંત્રો દ્વારા સતત "સબ સલામત" ની જાહેરાતો કરાવીને તથા જિલ્લા કક્ષાએ સમીક્ષા બેઠકોનો સીલસીલો ચાલ્યા પછી હવે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ મુદ્દે ખાસ બેઠક બોલાવવી પડી હશે, તેવો વ્યંગ પણ વિપક્ષી સમર્થકોના વર્તુળોમાં વ્યક્ત થઈ રહ્યો છે.
બીજી તરફ શાસક પક્ષમાં પણ આ મુદ્દે ગુપસુપ અને અટકળો તથા આશંકાઓ શરૂ થઈ ગઈ હોવાનું ચર્ચાય છે. આ સ્થિતિમાં પોલિટિકલ ડેમેજ કંટ્રોલ માટે બોલાવાઈ હોય કે પછી સંકટના સમયમાં પ્રજાની પડખે ઊભા રહેવાનો રાજધર્મ નિભાવવા આ બેઠક બોલાવાઈ હોય, તો પણ કહી શકાય કે દેર આયે....દૂરસ્ત આયે.!!
ગઈકાલે એવા એહવાલો આવ્યા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેે બેઠક બોલાવીને રાજ્યમાં ગેસનો પુરવઠો, ઈંધણ એટલેકે પેટ્રોલ, ડીઝલ, ઓઈલ વગેરેની સ્થિતિ, વિતરણ વ્યવસ્થા તથા કાળાબજાર વગેરે તમામા પાસાઓની ચર્ચા વિચારણા અને સમીક્ષા કરી હતી. આ બેઠક દરમ્યાન રાજયભરના તંત્રોને કેન્દ્રની ગાઈડલાઈનનું કડક પાલન કરવા સૂચવવા તથા લોંગ ટર્મ પ્લાનીંગનું ચૂસ્ત અમલીકરણ કરવાના નિર્દેશો પણ અપાયા. આ પ્રકારની બેઠક બોલાવાઈ, રાજ્યભરમાંથી માહિતી મેળવાઈ અને કેટલાક નક્કર આયોજનો તથા નિર્દેશો અપાયા હોય તો તેમાંથી જ ફલિત થાય છે કે રાજયમાં રાંધણગેસના પુરવઠાની સ્થિતિ ઠીક નથી અને ઈંધણના પુરવઠા અંગે પણ દ્વિધા પ્રવર્તે છે. આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ પડઘાયો હતો.
જો કે, સરકારે સંકટના સમયે પ્રજાની પડખે ઊભુ રહેવું જ જોઈએ, અને આ પ્રકારની સમીક્ષા કરવી તથા આવશ્યક તમામ કદમ ઉઠાવવા, એ સરકારનો રાજધર્મ છે, અને ભૂપેન્દ્રભાઈએ તંત્રને ઢંઢોળ્યું હોય તો તે સમયની માંગ પણ હતી અને સરકારનું કર્તવ્ય પણ હતું, પરંતુ આ પ્રકારની તકેદારી જો ઈરાન સંકટ વધારે વકરી રહ્યું હતું, ત્યારે જ રખાઈ હોત અને લોકોને ગભરાટમાં બિનજરૂરી રીતે ઈંધણ અને ગેસ માટે પડાપડી કરવી પડે, તેવી સ્થિતિ જ સર્જાવા દીધી ન હોત તો કદાચ "રાજધર્મ" યોગ્ય રીતે બજાવ્યો હોવાની છાપ ઊભી થાત. હજુ પણ ઘોડા છૂટી જાય, તે પહેલા તબેલાને તાળા મારવાની તૈયારી તંત્રો અને સરકારે કરી, તે સારૂ છે, અન્યથા કોઈ અનિચ્છનિય અને વિસ્ફોટક ગંભીર સ્થિતિ ઊભી થતા વાર લાગી ના હોત...દેર આયે દૂરસ્ત આયે...
કેન્દ્રીય સ્તરે પણ ભારે અસમંજસ અને દ્વિધા પ્રવર્તી રહી છે. સાંસદ તો જાણે રાજનીતિનો અખાડો બની ગઈ હોય, તેમ રોજીંદી નારેબાજી અને શાસકપક્ષની બહુમતીના જોરે બીલો-પ્રસ્તાવોની બહાલીના નાટકો ભજવાઈ રહ્યા છે. હકીકતે ગેસના બાટલા માટે દર દર ભટકતા લોકોની હાડમારીને "સબ સલામત"ની બૂમરેંગમાં દબાવી દેવાની ગૂપ્ત રણનીતિમાં ક્યાંક ને ક્યાંક જાણતા કે અજાણતા પણ વિપક્ષો પણ સહભાગી બની રહ્યા હોય તેમ જણાય છે, અત્યારે વૈશ્વિક સંકટની ઘડીમાં શાસન પીછેહટ કરે, તે પણ યોગ્ય નથી અને તેનો ગેરલાભ ઉઠાવાય, તો તે પણ યોગ્ય નથી.
એક તરફ રાંધણગેસની અછત અથવા સરકારના દાવા મુજબ પૂરતો પુરવઠો હોવા છતાં અછતની અફવા ફેલાતા પહેલા દરરોજ લગભગ ૫૫ લાખની આજુબાજુ ગેસના બાટલાના બુકીંગ થતા હતા, જે હવે દરરોજ ૭૫ લાખને વટાવી ગયા છે. બીજી તરફ સરકાર લોકોને ગભરાટમાં આવીને ગેસના સિલિન્ડરનું જરૂરિયાતથી વધુ બુકીંગ ન કરાવે, તેવી અપીલ કરી રહી છે. ઘણાં લોકો એવો સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે જો બધું જ બરાબર હોય અને માર્કેટમાં રાંધણગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોય તો સરકારે હોટલ-રેસ્ટોરન્ટોને કોલસો, કેરોસીન વગેરે દેશી પદ્ધતિઓની છૂટ કેમ આપવી પડી ? બે બાટલા વચ્ચે બુકીંગનો સમયગાળો અવાર નવાર કેમ વધારવો પડ્યો ? તેવા સવાલોના જવાબો મળશે ખરા ?
આ તરફ ઈરાનના રાજદૂતે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને ભારતના કેટલાક તેલવાહક જહાજો હોર્મુઝ પાર કરવાની ઈરાનને મંજુરી આપી હોવાના અહેવાલો સકારાત્મક જણાય છે, તો ઈરાનના કેટલાક નેતાઓ પર અમેરિકાએ કરોડોના ઈનામની જાહેરાત કર્યા પછી એવું જણાય છે કે આ યુદ્ધે મહાસત્તાને પડકારી છે અને ત્રણેય દેશોને હવે આ યુદ્ધ મોંઘુ પડી રહ્યું હોવા છતાં કોઈ નમતુ જોખવા તૈયાર નથી.
એલપીજી અછતના કારણે હાલારમાં પણ હાલાકી છે. જામનગર જિલ્લા પુરવઠા તંત્ર સુધી નગરમાં ગેસના બાટલાના બુકીંગમાં પડતી મુશ્કેલીની ફરિયાદો પહોંચી છે, તો દ્વારકામાં પણ રાંધણગેસ તથા કોમર્શિયલ ગેસનું બુકીંગ કરતા સર્વરો ડાઉન થઈ ગયા, અને એક અઠવાડિયાથી કોમર્શિયલ ગેસની સપ્લાય જ ખોરવાઈ જતા કાળાબજારી વધી છે, તો ઘણાં પરિવારોના મંગલ પ્રસંગો પણ ખોરવાઈ ગયા હોવાની રાવ ઉઠી છે. આ સ્થિતિમાં ખોટી માહિતી અપાય, કે જનતાને ભ્રમમાં રખાય તે પણ ખોટું છે અને રાષ્ટ્રીય કટોકટીના સમયમાં અફવાઓ ફેલાવાય તે પણ ખોટું છે....સબ કો સન્મતિ દે ભગવાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial