Advertisement
Author: નોબત સમાચાર

અફઘાનિસ્તાનમાં ૬.૩ ની તીવ્રતાના ભૂકંપથી ૮૦૦ લોકોના મૃત્યુઃ સેંકડો ઈજાગ્રસ્તઃ ગભરાટ

હજુ સંખ્યાબંધ લોકો કાટમાળમાં દબાયેલા છેઃ દિલ્હી-એનસીઆર સુધી ધરતી ધ્રુજીઃ બાસાવુલ નજીક કેન્દ્રિબિંદુ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧: મધ્ય રાત્રિના થયેલા તીવ્ર ભૂકંપમાં ૮૦૦ ના મોત થયા છે. સેંકડો મકાનો ધ્વસ્ત થયા છે. આજે વહેલી સવારે ૬.૩ ના ભૂકંપ પછી અનેક લોકો કાટમાળ હેઠળ દબાયા છે. પ૦૦ ને ઈજા થઈ છે. ભૂકંપની અસર ભારત અને પાકિસ્તાન સુધી થઈ છે. દિલ્હી-એનસીઆર ધ્રુજી ઊઠતા લોકો ભયભીત થયા હતાં.

મધ્ય રાત્રિએ અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. રાત્રે ૧ર-૪૭ વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૩ માપવામાં આવી છે. અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનના ઘણાં ભાગોમાં જોરદાર ભૂકંપ અનુભવાયા છે. ભૂકંપથી ભારે નુક્સાન થયું છે. અત્યાર સુધીમા ૬૨૨ લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને ૧પ૦૦ને ઈજા થઈ છે. ઘણાં વિસ્તારોમાં ઘરો ધરાશાયી થયા છે.

ભૂકંપની અસર પાકિસ્તાન અને ભારતમાં પણ અનુભવાઈ હતી. દિલ્હી-એનસીઆરમાં ભૂકંપની અસર અનુભવાઈ હતી. મધ્ય રાત્રિએ અચાનક ધરતી ધ્રુજતા ઘણાં લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતાં. લોકોમાં ગભરાટનું વાતાવરણ હતું,જો કે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અફઘાનિસ્તાનની તુલનામાં હળવા હતાં, જેના કારણે કોઈ જાનમાલનું નુક્સાન થયું નથી.

યુએસ જીઓલોજિકલ સર્વેનો અંદાજ છે કે આ ભૂકંપમાં સેંકડો લોકોના મોત થયા હોઈ શકે છે. યુએસજીએસ વેબસાઈટનો અંદાજ છે કે આ આપત્તિ સંભવિત રીતે વ્યાપક છે. મોટી સંખ્યામાં જાનહાનિ થવાની સંભાવના છે. અત્યાર સુધીમાં ૬૦૦ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

તાલિબાન સરકારી સૂત્રોએ મીડિયાને જણાવ્યું છે કે, ડઝનબંધ ઘરો ધરાશાયી થયા પછી મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયેલા છે. આનાથી એવી આશંકા છે કે ભૂકંપમાં સેંકડો લોકોના મોત થયા હશે. પાકિસ્તાનની સરહદે આવેલા કુનાર પ્રાંતના નોર્ગલ જિલ્લાના મઝાર ખીણમાં મોટાભાગના ઘરોને નુક્સાન થયું છે. આ ખીણ પર્વતીય વિસ્તારમાં સ્થિત છે.

યુએસજીએસ મુજબ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં બાસાવુલથી ૩૬ કિલોમીટર ઉત્તરમાં હતું. તેની ઊંડાઈ ૧૦ કિલોમીટર (૬.ર માઈલ) હતી. તેનાથી સમગ્ર પ્રદેશ પ્રભાવિત થયો અને પાકિસ્તાનના મોટાભાગમાં પણ ભૂકંપ અનુભવાયો. ૬ થી વધુની તીવ્રતાનો ભૂકંપ ખતરનાક માનવામાં આવે છે.

અફઘાનિસ્તાનને ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. ઓક્ટોબર ર૦ર૩ માં અફઘાનિસ્તાનમાં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ર૦૧૪ માં ઓછામાં ઓછા ૪,૦૦૦ લોકો માર્યા ગયા હતાં. આ પછી ફરી એકવાર અહીં સમાન તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન, મ્યાનમાર અને ભારતમાં વારંવાર ભૂકંપ આવે છે. ખાસ કરીને તાજેતરના મહિનાઓમાં મ્યાનમારમાં ગંભીર ભૂકંપ આવ્યા છે. આ વર્ષે માર્ચમાં મ્યાનમારમાં ભારે વિનાશ થયો હતો. ર૮ માર્ચ ર૦રપ ના મ્યાનમારના સાગાઈંગ પ્રદેશ નજીક ૭.૭ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. આમાં ૩,૬૦૦ લોકોએ જીવ ગુમાવ્યા અને પ,૦૦૦ ઘાયલ થયા. એવી જ રીતે સમયાંતરે થતો રહેતો ધરતીકંપ જુદા જુદા દેશમાં અવારનવાર તારાજી સર્જતો રહે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh