Advertisement
Author: નોબત સમાચાર

કેન્સરની સારવારમાં ઘર ધોવાઈ જવાની ચિંતા કરતા લૈયારાના ખેડૂતે ઝેરી દવા પી મોત મીઠું કર્યું

પતિ સાથે થયેલી બોલાચાલીનું માઠું લાગી આવતા પરિણીતાનો ગળાટૂંપોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: ધ્રોલ-રાજકોટ રોડ પર આવેલા લૈયારા ગામમાં રહેતા એક ખેડૂત કેન્સરનો ભોગ બન્યા પછી દોઢેક વર્ષથી સારવાર મેળવતા હતા. આ રાજરોગની સારવારમાં ઘર ધોવાઈ જશે તેવી સતત ચિંતા અનુભવતા આ વૃદ્ધે ગઈકાલે સવારે ઝેરી દવા પી લીધા પછી તેઓનંુ સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના પુત્રનું નિવેદન નોંધ્યું છે. જામનગરના એક પરિણીતાએ પતિ સાથે થયેલી બોલાચાલીનું માઠું લાગી આવતા સોમવારે સવારે પોતાના ઘરમાં દોરી વડે ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે પતિની કેફિયત નોંધી છે.

ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં વસવાટ કરતા ગુલાબસંગ દેવુભા જાડેજા (ઉ.વ.૬૩) નામના વૃદ્ધને દોઢેક વર્ષથી કેન્સરની બીમારી લાગુ પડી હતી. જેની તેઓને પરિવાર દ્વારા સારવાર અપાવવામાં આવતી હતી. આમ છતાં કેન્સરની બીમારીના કારણે સારવારના ખર્ચમાં ઘર ધોવાઈ ન જાય તેની ગુલાબસંગ સતત ચિંતા કરતા હતા.

તે દરમિયાન ગઈકાલે સવારે આ વૃદ્ધે જીવતરનો અંત આણવાનો કઠોર નિર્ણય કરી પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેની જાણ થતાં પરિવારજનોએ ગુલાબસંગને રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ આ વૃદ્ધને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના પુત્ર હાર્દિકસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે. ધ્રોલના જમાદાર આર.ડી. જાડેજાએ અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી મયુર બાગ સોસાયટીની શેરી નં.૭માં વસવાટ કરતા ઈલાબેન હાર્દિકભાઈ ઘાડીયા (ઉ.વ.૩૮) નામના પરિણીતાએ સોમવારે સવારે સાડા દસ વાગ્યા પછીથી સાંજના સાડા સાત વાગ્યા દરમિયાન પોતાના ઘરના એક ઓરડામાં રહેલા પંખામાં દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો.

આ પરિણીતાના પતિ હાર્દિકભાઈ કિશોરભાઈ ઘાડીયા સોમવારે સવારે કામ પર ગયા પછી સાંજે જ્યારે પરત આવ્યા ત્યારે તેઓને ઈલાબેને ગળાફાંસો ખાધાની જાણ થઈ હતી. આ મહિલાને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. દોડી આવેલી પોલીસે પતિ હાર્દિકભાઈનું નિવેદન નોંધ્યું છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે નાની બાબતે ઝઘડા થતા રહેતા હતા તેનાથી માઠું લાગી આવતા ઈલાબેને આ પગલું ભરી લીધુ છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh