Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે એક તરફ ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજ્યનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું, તો બીજી તરફ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ જામ્યુકોના સંકુલમાં જનરલ બોર્ડમાં રૂ।. ૧૮૫૪ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. આ બંને બજેટના પ્રતિભાવો અને વિશ્લેષણો ગઈકાલથી જ પ્રેસ-મીડિયા, સોશ્યલ મીડિયા તથા રાજકીય વર્તુળોમાં પડઘાવા લાગ્યા હતા.
નાણામંત્રીએ વર્ષ ૨૦૨૬-૨૭માં કરેલી ફાળવણીઓ અને જાહેરાતોની વિસ્તૃત વિગતો હવે સૌ કોઈની સામે આવી ગઈ છે, અને તેનું ઊંડુ અધ્યયન પણ થઈ રહ્યું છે., ખાસ કરીને સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની જાહેરાત, સોમનાથ અને અંબાજીમાં અદ્યતન બસપોર્ટ, સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે, પોરબંદર સહિત પાંચ શહેરોના એરપોર્ટનો વિકાસ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામોનું ડેવલપમેન્ટ, દ્વારકા, કચ્છનો માતાનો મઢ, ગીરનાર, અંબાજી તથા ડાકોરમાં ધાર્મિક મેળાઓ માટે વિશેષ જોગવાઈ, સોમનાથ અને શીવરાજપુર બીચના વિકાસનો ઉલ્લેખ, વિસાવાડા, પોરબંદરનો સ્થાનિક વિકાસ હિરાસર સહિત રાજ્યના પાંચ શહેરોને સેટેલાઈટ ટાઉન બનાવવાની યોજના, રાજકોટ સહિત ચાર શહેરોમાં આઈ હબની સ્થાપના, જામનગર સહિત ત્રણ શહેરોમાં આઈ.વી.એફ.ની સગવડ વગેરે જોગવાઈઓ અને જાહેરાતો ધ્યાન ખેંચે તેવી છે.
વિરોધપક્ષના પ્રતિભાવો સ્વાભાવિક રીતે જ ટીકાત્મક હોય છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે બજેટમાં ખેડૂતોને અપાતી વીજસહાયમાં કાપ મૂકાયો હોવાનું જણાવી સરદાર સરોવર યોજનાનું ફંડીંગ પણ ઘટાડી દેવાયો હોવાની આલોચના કરી હતી. તો આમઆદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં કૂપોષણ નિવારવાના મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. ગોપાલ ઈટાલિયાએ પણ શિક્ષકોની ઘટ તથા ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓના અભાવના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વિપક્ષી તેના અમિત ચાવડા સહિતના નેતાઓએ બજેટને ચૂંટણીલક્ષી ગણાવીને સરકારે ગામડાઓને અન્યાય કરીને આગામી પાલિકા-મહાપાલિકાઓની ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને શહેરોને વધુ ફાળવણી કરવાની ટકોર સાથે કહ્યું હતું કે રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં બજેટમાં રૂ।. ૭ હજાર કરોડથી વધુની ફાળવણી કરી છે, જયારે ગ્રામ્ય વિસ્તારો માટે માત્ર રૂ।. ૬૯ કરોડનો વધારો સૂચવાયો છે, જે ગામડાઓ સાથે દેખીતો અન્યાય છે. ગરીબોના કાચા મકાનોને પાકા બનાવવા બજેટમાં કોઈ વધારો થયો નથી. ખેડૂત વીજ સહાય યોજનામાં રૂ।. ૧૨૮૯ કરોડનો ઘટાડો કરાયો છે. સ્વચ્છ ભારત અભિયાન માટેની જોગવાઈઓમાં પણ રૂ।. ૧૩૧ કરોડનો ઘટાડો કરાયો છે.
બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા કરવેરા નાખ્યા નથી, તેમ જણાવી બજેટમાં સમાજના તમામ વર્ગોનું ધ્યાન રખાયુ હોવાનો દાવો કર્યો હતો તથા હાઈસ્પીડ કોરિડોર, આદિવાસી વિસ્તાર વિકાસ, વિકસિત ગુજરાત-૨૦૪૭ વગેરેનો આંકડાકીય વિગતો સાથે ઉલ્લેખ કરીને નાણામંત્રી કનુભાઈ દેસાઈની પીઠ થાબડી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ પત્રકાર પરિષદ યોજીને ગત વર્ષ કરતા ૩૭,૮૦૩ કરોડ રૂપિયાના વધારા સાથે રજૂ થયેલા રૂ।. ૪.૦૮ લાખ કરોડના બજેટની વિસ્તૃત વિગતો આપી હતી.
ગુજરાતના મોટા ભાગના શહેરોના ઉદ્યોગજગત તથા શાસકપક્ષના નેતાઓ અને બુદ્ધિજીવીઓના હકારાત્મક પ્રતિભાવો આવ્યા છે, તો ખેડૂતવર્ગ અને જેન-ઝેડમાંથી મિશ્ર પ્રત્યાઘાતો આવ્યા છે. સૌરાષ્ટ્રમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેકસની અપેક્ષા સંતોષાઈ નહીં હોવાના પ્રત્યાઘાતો પણ પડયા હતા. હીરા ઉદ્યોગના ક્ષેત્રોના મુદ્દે લોકો નારાજ થયા હોવાની પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી, અને નાના વેપારીઓ માટે બજેટમાં કોઈ જોગવાઈ નહીં હોવાના પ્રત્યાઘાતો પડયા હતા. હીરા ઉદ્યોગની લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રે સહાયની જાહેરાતની અપેક્ષા સંતોષાઈ નહીં હોવાની નારાજગી પણ તદ્વિષયક પ્રત્યાઘાતોમાં પડઘાઈ હતી.
એક તરફ ગુજરાતના બજેટને લઈને વિવિધ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા હતા, તો બીજી તરફ ગઈકાલે જામનગર મહાનગરપાલિકામાં પ્રગટેલા દસ માથાવાળા રાવણ તથા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે જનરલ બોર્ડમાં રજૂ થયેલા બજેટની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી.
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ વિપક્ષોએ વિવિધ મુદ્દા ઉઠાવ્યા હતા અને સૂચનો પણ કર્યા હતા. તે પહેલા સભાગૃહ પાસે ધરણા, સુત્રોચ્ચાર, પ્રદર્શન કરીને શાસકપક્ષ દ્વારા ૪૦ ટકાનો ભ્રષ્ટાચાર ચલાવાઈ રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. બજેટમાં સ્ટ્રીટ વેન્ડર્સ માટે ચોક્કસ જગ્યા નક્કી કરીને ટ્રાફિકની સમસ્યા નિવારવાની સાથે સાથે ફેરિયાઓની રોજીરોટી છીનવાઈ ન જાય, તેવો ઉપાય કરવાનો "નોબત" દ્વારા અત્રેથી કરાયેલા સૂચનો પ્રતિઘોષ સંભળાયો હતો, અને મહાનગરપાલિકાના રિઝર્વ-પ્લોટોમાં ફેરિયાઓને જગ્યાની ફાળવણી ઉપરાંત ઓવરબ્રિજની નીચે ફૂડઝોન તથા ગેઈમ ઝોન બનાવવાની જાહેરાત પણ થઈ હતી.
ઓવર બ્રિજની નીચે ફૂડઝોન, પાર્કિંગ અને ગેઈમ ઝોન બનાવવાની વાતો એ પહેલા પણ થઈ હતી, પરંતુ કોઈ કારણે તેમાં પ્રગતિ થઈ હોય તેમ જણાતું નથી. જો કે, ભાવબાંધણા ઉપરાંત પણ ઓવરબ્રિજની નીચે જ કોઈપણ પ્રવૃત્તિઓ થાય, તો તેમાં શોટ સરકીટ, આગ-દુર્ઘટના કે અન્ય જોખમો ઊભા ન થાય, તેની કાળજી રાખવા તથા સેઈફગાર્ડ નક્કી કરવા પણ વિચારવું પડે તેમ છે.
ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થયા પછી એક તરફ બજેટનો વિસ્તૃત અભ્યાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ ગયા વર્ષના બજેટ સાથે તુલના કરવામાં આવી રહી છે, અને રાજ્ય સરકારે ભૂતકાળમાં કરેલી જાહેરાતો પૈકી કેટલી વાસ્તવમાં અમલી બની અને કેટલી વિસરાઈ ગઈ તેની ટિકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે, તેવી જ રીતે જામનગર મહાનગરપાલિકાના ગત વર્ષના બજેટ તથા તે પછી કરાયેલી જાહેરાતો અને કરાયેલા વાયદાઓમાંથી કેટલા અમલી બન્યા અને કેટલા વિસરાઈ ગયા, તેની સમીક્ષા પણ થઈ રહી છે.
કેન્દ્રીય બજેટમાં જ રેલવે બજેટ રજૂ થઈ જતું હોવાથી પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કરેલી કેટલીક જાહેરાતોમાં હાલાર અને સૌરાષ્ટ્રની રેલવેને લગતી કેટલી માંગણીઓ સંતોષાઈ છે, તે બિલોરી કાચ લઈને જોવું પડે તેમ હોવાના પ્રત્યાઘાતો સાથે દ્વારકાથી મથુરા થઈને હરિદ્વારની ટ્રેનો અંગે ભૂતકાળમાં તત્કાલિન રેલવે રાજ્યમંત્રી દ્વારા કરાયેલા વાયદાઓનું શું થયું ? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.
એકંદરે આ ત્રણેય બજેટોમાં રજૂ થયેલી આંકડાઓની ભરમારની ટીકા-ટિપ્પણી સાથે સાથે કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતોની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial