Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમે કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં છો કે જે છેલ્લા કેટલાય વર્ષાેથી અસાધ્ય બીમારીથી પીડાય છે? હવે કદાચ બીમારી દૂર થાય અને નોર્મલ જીવન જીવી શકે એવી આશા જ નથી... તેની સાથે તેના કુટુંબીજનો પણ પીડાય છે. આર્થિક, શારીરિક, માનસિક રીતે થાકી ગયા હોય છે, કેટલીક વખત તો આવી બીમારી હોય તેમની દવા પાછળ, સારવાર પાછળ બચત, મિલકત, ઘરેણા પણ વેચી નાખે છે... આવું હોય ત્યારે આપણા બધાને કદાચ મનમાં એવું થાય જ કે 'ભગવાન હવે આ પીડાનો અંત લાવે તો સારૃં.' આપણે ક્યારેય કોઈનંુ મૃત્યુ નથી ઈચ્છતા... પણ અસાધ્ય બીમારી, વર્ષાે સુધી પથારીમાં, લાખો રૂપિયાની સારવાર છતાં પરિણામ શૂન્ય હોય ત્યારે તે પીડિત વ્યક્તિ અને વધારે તો તેના કુટુંબીજનોની સ્થિતિનો વિચાર કરીને આપણા મોઢેથી અનાયસે જ શબ્દ બોલાય જાય કે 'ભગવાન હવે કંઈક રસ્તો કરે તો સારૃં' આપણો ઈરાદો પીડામાંથી છૂટકારો અપાવવાનો જ હોય છે. પણ આપણા દેશમાં હમણાં સુધી આવો કાયદો ન હતો.
હમણાં જ સુપ્રિમ કોર્ટે ગાઝિયાબાદના યુવક હરીશ રાણાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેના માતા-પિતા દ્વારા ઈચ્છા મૃત્યુની માગણી સ્વીકારી છે અને ધીમે ધીમે તેની સપોર્ટ સિસ્ટમ ઓછી કરીને તેને આ પીડામાંથી મુક્ત કરવાની માગણી સ્વીકારી છે. ૧૩ વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાને ધીમે ધીમે છૂટકારાની સ્થિતિ તરફ આગળ લઈ જઈને તેની સાથે તેના પરિવારની પીડાનો પણ અંત લાવવાની માગણી સ્વીકારીને હોસ્પિટલને આ પ્રક્રિયા કરવા આદેશ આપ્યો છે.
ઈચ્છા મૃત્યુ... પીડાનો અંત... આ પીડા માત્ર શરીરની નથી, પણ મન, લાગણી અને જીવનના ભારનો પણ પ્રશ્ન છે. ઈચ્છા મૃત્યુ એટલે વ્યક્તિ પોતે પોતાની અસાધ્ય પીડાથી મુક્ત થવા જીવનનો અંત પસંદ કરે. ઘણાં દેશોમાં આ વિષય પર કાયદાકીય નિયમો છે, ભારતમાં હવે આ મુદ્દે નિયમ આવ્યા છે. આ માત્ર કાનૂની દૃષ્ટિએ જ નહી, પણ માનવીય દૃષ્ટિએ પણ સંવેદનશીલ વિષય છે. ક્યારેક શરીરની પીડા અસાધ્ય બની જાય છે, ક્યારેક બીમારીના ખર્ચ કમર તોડી નાખે છે.. અસાધ્ય દુઃખ અને અસાધ્ય બીમારી વખતે 'જીવન એ આશીર્વાદ છે' એ સૂત્ર કામ નથી કરતું... અને ત્યારે ઈચ્છા મૃત્યુનો વિષય મનમાં ઉભરે છે. ઈચ્છા મૃત્યુ એ માત્ર કાનૂની કે તબીબી વિષય નથી.. પણ માનવતા, નૈતિકતા અને સમાજના મૂલ્યો સાથે જોડાયેલો પ્રશ્ન છે, ઈચ્છા મૃત્યુનો અર્થ છે કે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી અથવા પરિસ્થિતિને આધીન જીવનનો અંત લાવવાનું વિચારે... તેમાં પણ બે પ્રકાર છે. એક ડોક્ટર દ્વારા દવા કે ઈન્જેક્શન આપીને જીવનનો અંત લાવવો અને બીજું... બીમારીમાં જીવન ટકાવવા માટેની સારવાર બંધ કરવી.. ભારતમાં બીજા પ્રકારને કડક શરતો સાથે માન્યતા આપવામાં આવી.
જ્યારે આપણે ઈચ્છા મૃત્યુ વિશે વિચારીએ ત્યારે સૌથી પહેલા એ સમજવું પડશે કે 'પીડા શું છે?' પીડા માત્ર શરીરની નથી, પીડા માનસિક, એકલતાની, બીમારીની, અસહાયતાની પણ હોય છે...
કેટલીક વખત માણસ પોતે પોતાની પરિસ્થિતિથી કંટાળીને બોલી જાય છે કે આ કરતા તો મરી જવું વધુ સારૂ...
ઈચ્છા મૃત્યુનો મુદ્દો માનવતાના બે અલગ અલગ પાસા વચ્ચેનો સંઘર્ષ છે, કોઈ એમ કહે કે જીવન ભગવાને આપેલું છે, તેનો અંત લાવવાનો કોઈનો અધિકાર નથી તો.. કોઈ એમ કહે કે જો જીવન પીડા સિવાય કંઈ નથી, તો શાંતિથી વિદાય લેવાનો અધિકાર હોવો જોઈએ. આ બંને વિચાર સાચા જ લાગે છે. જો કે ઈચ્છા મૃત્યુનો સૌથી મોટો પ્રભાવ પરિવાર પર પડે છે, પરિવાર પીડા જોઈ શકતા નથી અને મૃત્યુ આપવા ઈચ્છતા નથી. આવા સંજોગોમાં નિર્ણય તર્કથી લેવાની સાથે સાથે લાગણી, પ્રેમ, અસહાયતા વચ્ચેનો સંઘર્ષ બને છે, પરિવાર 'છોડી દેવા' તૈયાર નથી બીમાર વ્યક્તિમાં 'સાજા થવા'ની શક્તિ નથી.
કાયદામાં ઈચ્છા મૃત્યુને લઈને કેટલીક શરતો છે, ડોક્ટર માટે પણ આ સૌથી મુશ્કેલ પરિસ્થિતિ હોય છે. કારણ કે, ડોક્ટર બન્યા પછી શપથ લેતી વખતે કહ્યું હોય છે કે જીવન બચાવો... પણ પરિસ્થિતિ એમ કહેતી હોય છે કે પીડા દૂર કરો. આ જ રીતે સમાજમાં પણ ઘણી ગેરસમજ છે.
પણ સાચો પ્રશ્ન એ છે કે શું આપણે પીડામાં જીવતા વ્યક્તિ માટે પૂરતી સહાય ઊભી કરી શક્યા છીએ? જો વ્યક્તિ બીમારી, એકલતા, પીડાને કારણે મૃત્યુ પસંદ કરે તો એ આપણી નિષ્ફળતા નથી? જો કે દરેકની પીડા અલગ અલગ હોય, તેમ દરેકની સહનશક્તિ પણ અલગ અલગ હોય છે. કોઈ વર્ષાે સુધી સહન કરી શકે, તો કોઈ માટે એકાદ દિવસ પણ અસાધ્ય હોય... એટલે જ દરેક પરિસ્થિતિ, દરેકને લાગુ નથી પડતી.
ઈચ્છા મૃત્યુમાં સવાલ એ છે કે 'કેવી રીતે જીવવું?' જો આપણે એવો સમાજ, એવી સારવાર, એવી લાગણી બનાવી શકીએ તો કદાચ આ પ્રશ્ન ઊભો ન થાય, છેલ્લે એટલે કે ઈચ્છા મૃત્યુને માત્ર કાનૂની મુદ્દા તરીખે નહી, પણ માનવતાની કસોટી તરીકે જોવું જોઈએ. કારણ કે જીવન આપવું મહાન છે.
પણ પીડાને સમજવું, તેને ઓછી કરવી અને કોઈને એકલા ન છોડવા, કોઈમાં જીવવાની ઈચ્છા જગાડવી એ વધુ મહાન છે.
- દિપા સોની, જામનગર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial