Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એવા અહેવાલો આવ્યા છે કે યાત્રાધામ પાવાગઢમાં વિકેન્ડમાં યાત્રિકોનો ધસારો વધી જતો હોવાથી ત્યાંના વહીવટીતંત્રે દર રવિવારે તળેટીથી આગળ જવા માટે ભારે ટ્રાફિકને પહોંચી વળવા વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે, અને માચી સુધી જવા માટે માત્ર એસ.ટી. બસો, એમ્બ્યુલન્સો, સરકારી વાહનો તથા પાવાગઢ ગામની ટેકસી પાસીંગ ગાડીઓ જ પ્રવેશ કરી શકશે અને અવર-જવર કરી શકશે. આ ઉપરાંત પશુઓ કે પશુઓ જોડીને માલ-સામાનનું વહન કરવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે, એટલે કે ઘોડા, ઘોડાગાડી, બળદ કે બળદગાડી દ્વારા માલ-સામાનનું વહન કે ગાય, ભેંસ વગેરે પશુઓને દોરીને લઈ જવા પર માચીથી દુધિયા તળાવ સુધીના રસ્તે પ્રતિબંધ મૂકાયો છે.
આ ઉપરાંત ત્યાંના વહીવટીતંત્રે ખાનગી પાર્કિંગ સ્થળો પર પણ પાવાગઢ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા દરો કરતા વધુ ચાર્જ વસુલવો નહીં, એટલું જ નહીં, ખાનગી જમીન કે પોતાની જમીન કે સંકુલમાં પાર્કિંગ કરવા દેવા માટે પણ જમીનના કબજેદારોએ પૂર્વ પરવાનગી લેવાની રહેશે. અત્યારે મર્યાદિત સમયગાળા માટે બહાર પડાયેલા નોટિફિકેશનની મુદ્દત વધી પણ શકે તેમ હોવાથી આ પ્રકારના પ્રતિબંધો કાયમી ધોરણે લાગુ પડે અને સ્થાનિકોને પણ પરેશાની ન થાય અને યાત્રિકોને પણ સરળતા અને સુગમતા વધે, તે પ્રકારના નિયમનો તથા નિયંત્રણો રાજ્યના દરેક યાત્રાધામોમાં અલગ-અલગ સ્થાનિક સંજોગો, જરૂરિયાતો અને ભૌગોલિક સ્થિતિને અનુરૂપ ઘડાય, તે જરૂરી છે.
હુતાશણીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે દ્વારકા અને નજીકના બેટ દ્વારકા, નાગેશ્વર, હર્ષદ માતાજી સહિતના પાવન યાત્રાસ્થળો પર પણ આ પ્રકારના પ્રબંધો તથા પ્રતિબંધો મર્યાદિત સમય માટે લગાવાશે અને તેની વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ થશે, પરંતુ આ તમામ પ્રબંધો-વ્યવસ્થાઓ તથા વૈકલ્પિક સુવિધાઓનો પૂરતો પ્રચાર-પ્રસાર નહીં થતો હોવાથી તહેવારો કે ઉજવણીઓના દિવસોમાં યાત્રિકો અટવાતા હોય છે અને નફાખોરી તથા ઉઘાડી લૂંટનો ભોગ બનતા હોય છે.
આમ પણ સરકારી કાર્યક્રમો, સિદ્ધિઓ તથા મહત્ત્વપૂર્ણ દિવસોના સંદર્ભે સરકાર દ્વારા વિજ્ઞાપનો અપાતા જ હોય છે, ત્યારે મહત્ત્વના પર્વો, તહેવારો દરમ્યાન પબ્લિક માટે કરાયેલી વ્યવસ્થાઓ તથા દ્વારકા જેવા મોટા યાત્રાધામોમાં કાયમી ધોરણે કરાયેલી વ્યવસ્થાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે માત્ર માહિતીખાતા દ્વારા પ્રેસનોટોના બદલે વ્યાપક પ્રચાર-પ્રસાર થાય, તેવી રીતે અખબારી માધ્યમોથી જાહેરાતો તથા સ્થાનિક કક્ષાએ યાત્રાધામના શહેરો-ગામો-સંકુલોમાં ઠેર-ઠેર પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઊભી કરીને સતત માર્ગદર્શક એનાઉન્સીંગ થતું રહેવુ જરૂરી છે. આવું કરવાથી અજાણ્યા યાત્રિકો લોકલ નફાખોરીનો ભોગ બનતા અટકશે, અને લેભાગૂ તત્ત્વો ઉઘાડી લૂંટ નહીં કરી શકે. રાજ્યના કેટલાક યાત્રાધામોમાં આ પ્રકારની પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે, પરંતુ તે માત્ર મુખ્ય મંદિરની આસપાસ જ હોવાથી યાત્રિકોને સંપૂર્ણ અને સમયોચિત માહિતી પહોંચતી જ નથી અને તેઓ મજબૂરીમાં "લૂંટાતા" હોય છે, અને આ સ્થિતિ "ઓપન સિક્રેટ" છે, અને સૌ કોઈ જાણે જ છે.
યાત્રાધામોમાં મુખ્ય મંદિરોની નજીક યાત્રિકે પોતાના મોબાઈલ, સામાન, કેમેરા વગેરે રાખી શકે, અને પરત મેળવી શકે તે માટેની વ્યવસ્થાઓ હોય છે અને સમયાંતરે તેનું નવીનીકરણ કે વિસ્તૃતિકરણ થતું રહેતુ હોય છે, પરંતુ તેની જાણ બહારથી આવતા યાત્રિકોને હોતી નથી અને રેલવે સ્ટેશન, બસડેપો કે અન્ય વાહનોમાંથી ઉતરે કે પોતાના વાહનો નિયત કરેલા પાર્કિંગમાં મૂકે તે પછી છેક મંદિર સુધીના માર્ગે તગડી રકમ વસુલીને આ ચીજવસ્તુઓ સાચવતા ખાનગી સ્ટોલ અને શોપ ઊભા કરીને ત્યાં સતત એનાઉન્સીંગ થતું હોવાથી મોટાભાગના લોકો લૂંટાતા હોય છે, અને વહીવટીતંત્ર, મંદિર સમિતિઓ કે પંચાયત-પાલિકાઓ દ્વારા નિઃશુલ્ક કાયમી સુવિધાઓ સુધી પહોંચી શકતા નથી. આથી સર્વવ્યાપી સતત એનાઉન્સીંગ ઉપરાંત આ પ્રકારના મોબાઈલ કે થેલાદીઠ રૂ।. ૧૦૦ કે તેથી વધુ તગડી રકમ વસુલી અને યાત્રિકોની મજબૂરી તથા પૂરી માહિતીની અજ્ઞાનતાનો લાભ ઉઠાવતા લેભાગૂ ધંધાર્થીઓ પર "લગામ" લગાવવી જોઈએ.
યાત્રાધામોમાં પાર્કિંગ, અમાનતી સામાનઘર, નિવાસ, ભોજન, અલ્પાહાર તથા બૂટ-ચપ્પલ સાચવવા વગેરે સુવિધાઓ માટે ઘણાં સ્થળે ખૂલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવાતી હોય છે, અને યાત્રિકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવાતો હોય છે. બૂટ-ચપ્પલ સાચવવા માટે પણ મોટા ભાગના યાત્રાસ્થળોમાં નિઃશુલ્ક સુવિધાઓ હોય છે, પરંતુ માહિતી અને માર્ગદર્શન તથા સતત એનાઉન્સીંગ, ઠેર-ઠેર માર્ગદર્શક બોર્ડના અભાવે યાત્રિકો કાં તો આવી સગવડ આપતા ખાનગી લેભાગૂઓનો ભોગ બનતા હોય છે, અથવા તો ગમે ત્યાં બૂટ-ચપ્પલ ઉતાર્યા પછી તેની ચોરીનો ભોગ બનતા હોય છે તેથી યાત્રાધામો અને મેળાઓ, મેળાવડાઓમાં આ પ્રકારની વ્યવસ્થાઓ હોવા છતાં યાત્રિકો લૂંટાતા હોય તો તેના પર અંકુશ લાવવાના બહુલક્ષી કદમ ઉઠાવવા જ પડે તેમ છે.
હમણાંથી ખિસ્સાકાતરૂ ઉપરાંત રસ્તા પર હાથમાંથી મોબાઈલ ઝુંટવી જતી તથા ભીડમાં ઘુસીને લોકોએ પહેલા આભૂષણોની ચીલઝડપ કરવાની પ્રવૃત્તિઓ ચલાવતી ગેંગોનો પ્રકોપ વધ્યો છે અને યાત્રાધામો, મેળાઓ, અને ધાર્મિક-સામાજિક પ્રસંગોમાં સ્વયં શૂટેડ-બૂટેડ થઈને સજ્જન-સન્નારી હોય તેવા પહેરવેશમાં ઘૂસી જઈને લોકોની કિંમતી ચીજવસ્તુઓ ચોરીને કે સેરવીને ભાગી જવાની નવી મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે, જેની સામે તંત્રોએ વધુ ચોકસાઈ, અદ્યતન ટેકનોલોજી આધારિત નિરીક્ષણ અને ઘટના પછી ભોગ બનનારની મદદ માટે ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ ઊભી કરવાની જરૂર પણ વધી ગઈ છે.
તંત્રો દ્વારા થતી વ્યવસ્થાઓની જાણ જન-જન સુધી પહોંચે તેવી કાયમી સિસ્ટમ ઊભી કરવા ઉપરાંત યાત્રાસ્થળોમાં નફાખોરી કે ઈજારાશાહી ઊભી કરીને યાત્રિકોને બહાર લૂંટતા પરિબળોને કડકમાં કડક સજા થાય તેવો કોઈ કાયદો પણ ગુજરાત વિધાનસભાએ ઘડવો જોઈએ, અને આવા ગોરખધંધા ચાલતા હોય, ત્યાંના સ્થાનિક જવાબદાર તંત્રો તથા સંસ્થાઓની જવાબદારી નક્કી કરીને તેઓને પણ દંડ-સજા થાય, તેવો કડક કાયદો જરૂરી છે, કારણ કે અત્યારે આવા નિંભર પરિબળોને કાયદાનો ડર જ રહ્યો નથી.
બેટ દ્વારકાનો સુદર્શન બ્રિજ જેટલો વિખ્યાત બન્યો છે, તેટલીજ કૂખ્યાત ત્યાંની પાર્કિંગ વ્યવસ્થા તથા અન્ય મૂળભૂત વ્યવસ્થાઓ બની રહી છે. યાત્રિકોને "ધરાર" લૂંટાવું જ પડે તેવી ઈજારાશાહી નાગેશ્વર, દ્વારકા, બેટ દ્વારકામાં ઊભી થઈ છે અને પ્રસાદની સામગ્રી, ચા-નાસ્તો, રિક્ષા, ભોજન અને નિવાસથી માંડીને ચીજવસ્તુઓ કે બૂટ-ચપ્પલ સાચવવા માટે પણ યાત્રિકોની લૂંટ ચાલી રહી હોય ત્યારે કડક નિયમ-કાયદા અત્યંત આવશ્યક બન્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial