Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં મહાશિવરાત્રિ પર્વે નીકળી વિશાળ શિવ વરણાગીઃ ઠેરઠેર સ્વાગત

દોઢ સદીથી વધુ જુની ૫રંપરા મુજબ ઉઘાડા પગે ધોતી પિતાંબર પહેરીને ભૂદેવો જોડાયા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયા શહેરમાં ૧પ૦ વર્ષથી વધુ સમયથી નીકળતી શિવરાત્રિની શિવ વરણાગી ગઈકાલે પણ ભવ્ય રીતે નીકળી હતી તથા ઠેરઠેર સ્વાગત પૂજામાં લોકો, આગેવાનો જોડાયા હતાં.

ખંભાળીયામાં રંગમહેલ શાળા પાસેથી શરૂ થતી આ શિવ વરણાગીમાં અત્યંત કલાત્મક અને પ્રાચીન શિવ-પાર્વતી તથા ગણેશની બસો કિલો જેટલા વજનની ચાંદીની પ્રતિમાને પાલખીમાં બેસાડીને બ્રાહ્મણો ઉઘાડા પગે તથા ધોતી કે પિતાંબર પહેરીને પાલખી ઉપાડીને શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફેરવીને ખામનાથ મંદિરે પહોંચાડે છે.

ગઈકાલે પણ ભવ્ય શ્રૃંગાર સાથે શિવ વરણાગીનું પ્રસ્થાન અશ્વિનભાઈ વ્યાસ તથા શાસ્ત્રી ભરતભાઈ દ્વારા શાસ્ત્રોક્ત પૂજા તથા આરતી કરીને કરાવાયું હતું. જે પછી શહેરના વિવિધ વિસ્તારોમાં ડીજે તથા ઢોલ-નગારા સાથે આ શિવ વરણાગી નીકળી હતી.

ખંભાળીયા શહેરમાં રંગ મહેલ શાળા, પાંચહાટડી ચોક, બજાર, લુહારશાળ તથા વિજયચોક સહિતના વિવિધ વિસ્તારોમાં થઈને આ શિવ વરણાગી ખામનાથ મહાદેવ પહોંચી હતી. જ્યાં વિશાળ સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય આરતી સાથે મંદિરના ગર્ભગૃહમાં ખામનાથ મહોત્સવના શિવલીંગ પાસે આ પ્રતિમાને બેસાડાઈ હતી.

ખંભાળીયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, પૂર્વ ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, પાલિકા સદસ્ય મહેશભાઈ રાડીયા, ભીખુભા જેઠવા, રેખાબેન ખેતિયા, ખામનાથ મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ડો. નીલેશ રાયઠઠ્ઠા, જે.વી. ધ્રુવ, પ્રતીકભાઈ જોશી, અમિતભાઈ વ્યાસ, સંજયભાઈ જોશી, લાખાભાઈ ચાવડા વિગેરે પણ જોડાયા હતાં.

રસ્તામાં ઠેરઠેર ભાવિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પૂજા, અગરબત્તી, પ્રસાદ, ફળાહાર, બિલ્વપત્ર ચડાવાતા હતાં. ખંભાળીયા પો.ઈન્સ. નિકુંજ જોશી તથા પો.સ.ઈન્સ. શ્રી જાદવ પણ પગપાળા આ શોભાયાત્રામાં જોડાયા હતાં.

ખંભાળીયા ભાજપ પ્રમુખ મીલનભાઈ કિરતસાતા, ઈન્દ્રજીતસિંહ પરમાર, અશોકભાઈ કાનાણી, લાયન્સ ક્લબના પ્રમુખ પરબતભાઈ ગઢવી, બ્રહ્મસમાજ અગ્રણી જે.કે. જોશી તથા ગાર્ડન ગ્રુપના સદસ્યો પણ શોભાયાત્રામાં જોડાયા હતાં.

ગત્ વખતે શિવ વરણાગી ઉપાડ્યા પછી દિવ્ય જોશી નામના યુવાનનું હ્ય્દયરોગના હૂમલાથી મૃત્યુ નિપજ્યું હતું. જેથી ભૂદેવો પાલખી ઉપાડવા મોટી સંખ્યામાં જોડાવા આગેવાનોએ અપીલ કરી હતી, તેને માન આપીને પુષ્પકર્ણા બ્રાહ્મણો મોટી સંખ્યામાં જોડાયા હતાં તથા શિવ વરણાગીને છેક સુધી ઉપાડી હતી. હેતલભાઈ બોડા, કિરીટભાઈ બોડા, સચીનભાઈ બોડા, હસમુખભાઈ બોડા, દીપુભાઈ બોડા તથા વામનભાઈ જોશીના પરિવારના યુવાનો છેક મુંબઈથી આ શિવ વરણાગીમાં જોડાયા હતાં.

પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમૂર તથા પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા શિવ વરણાગી રસ્તાને સાફ કરવા, શિવ મંદિરો આસપાસ સફાઈ માટે વ્યવસ્થા કરાઈ હતી, પણ સફાઈ તંત્ર ઉણું ઉતર્યુ હોય તેમ કેટલાક સ્થળોએ રસ્તા પર ગટરોના પાણીમાં ભૂદેવોએ પાલખી ઉપાડીને ખૂલ્લા પગે નીકળવું પડ્યું હતું. ઠેરઠેર કમાન-પતાકા પણ લગાવાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh