Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના રેન્જ આઈજી બનેલા નિર્લિપ્ત રાયે લોકદરબારો યોજવાની જે જાહેરાત કરી છે, તે નવી નથી. અને આ પહેલા પણ પોલીસતંત્ર દ્વારા લોકદરબારો યોજાતા રહ્યા છે., પરંતુ તેમણે વ્યાજખોરો સામે જે લાલ આંખ કરી છે, અને છાપેલા કાટલા જેવા ગૂનેગારો સામે અત્યંત કડક કાનૂની કાર્યવાહી કરવાના જે સંકેતો આપ્યા છે, તેના કારણે ગૂનાખોરો તથા વ્યાજખોરોમાં જરૂર ફફડાટ વ્યાપ્યો જ હશે. હવે રાય જિલ્લાવાર લોકદરબારો યોજાશે, અને લોકોને ગૂનાખોરો, વ્યાજખોરો અને ગુંડા તત્વો સામે નિડર બનીને ફરિયાદ કરવાની તક આપશે, તેવું જાહેર થયું છે.
પોલીસતંત્ર દ્વારા વ્યાજખોરો સામેની ઝુંબેશ આ વખતે માત્ર ફોર્માલિટી કે પરંપરા નિભાવવા ખાતર રાબેતા મુજબ કે અન્ય કેટલાક જિલ્લાઓની જેમ દેખાવ ખાતર નહીં, પરંતુ હકીકતે વ્યાજખોરો પર તૂટી પડવાની દૃઢ માનસિકતા સાથે જ શરૂ થશે, તેવા સંકેતો મળી રહ્યા છે અને પ્રારંભમાં પહેલી અને બીજી એપ્રિલે રાજકોટ જિલ્લામાં યોજાનાર લોકદરબાર પછી ખબર પડી જશે કે આ લોકદરબાર પછી તંત્ર કેટલી ઝડપી અને સચોટ તથા પરિણામલક્ષી કાર્યવાહી કરે છે તે આ વખતે સૌરાષ્ટ્રની જનતા પણ ઘણી જ આશાવાદી છે, કારણ કે નિર્લિપ્ત રાયે ભૂતકાળમાં વિવિધ સ્થળે તેમની ફરજો દરમ્યાન પણ ગૂનેગારો, ગુંડાઓ અને વ્યાજખોરો સામે કડક કાનૂની કાર્યવાહી કરીને ફફડાટ ફેલાવ્યો હોવાની ચોતરફ ચર્ચા થઈ રહી છે. બીજી તરફ ગલકાલે જ એક યુવાને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલો છે.
રાજકોટ રેન્જમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ (ગ્રામ્ય), મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાઓનો સમાવેશ થાય છે. નિર્લિપ્ત રાયે રેન્જ આઈજી તરીકે હવાલો સંભાળ્યા પછી ગોંડલથી શરૂ કરીને હાલાર સહિત વિવિધ જિલ્લાઓની મુલાકાતો લઈને જે કડક કાર્યવાહીઓ કરી છે, તે જોતાં લોકદરબારોમાં પણ તે જ પ્રકારની તત્પરતા અને સમયોચિત સચોટતા તો જોવા મળશે જ, પરંતુ પાછળથી પરેશાની થશે તેવા ડરથી અસામાજીક તત્વો, ગુંડાઓ અને વ્યાજખોરો સામે રાવ કરવા કે ફરિયાદ નોંધાવવા આગળ નહીં આવતા પીડિતો પણ હવે આગળ આવશે અને તે પછી તેઓને ન્યાય અને સુરક્ષા તથા દોષિતોને નશ્યત થશે, તેવી આશા સેવાઈ રહી છે.
હાલારની મુલાકાત દરમ્યાન રાજકોટના રેન્જ આઈજીની શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ તથા અભિગમ જોતા રાજકોટ રેન્જમાં આવતા જિલ્લાઓના લોકોમાં પણ હિંમત અને આશાનો સંચાર થશે, એટલું જ નહીં ભ્રષ્ટ પરિબળોમાં પણ ફફડાટ વ્યાપશે, તેવી ધારણા રાખવામાં આવી રહી છે. તદુપરાંત જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એક વર્ષમાં થયેલી કામગીરીના આંકડા પણ સામે આવ્યા છે.
લોકોમાં એવી પણ ચર્ચા છે કે સરકારી તંત્રોમાં કી પોસ્ટ પર નિમાતા અધિકારીઓ અને અમલદારો પ્રારંભમાં અત્યંત કડક વલણ અપનાવીને સિક્કો જમાવી દેતા હોય છે અને ઘણી વખત પાછળથી કોઈ અકળ કારણોસર કે પોલિટિકલ પ્રેસર હેઠળ કે પછી તાકતવર અને વગદાર ભ્રષ્ટ પરિબળોના કારણે ઢીલા પડી જતા હોય છે. ઘણાં લોકો એવા વ્યંગ પણ કરતા હોય છે કે એક વખત સિક્કો જમાવ્યા પછી કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાનું કદ કે મૂલ્ય વધારવાનો પ્રયાસ કરતા હોય છે. આ બધી લોકધારણાઓ સાચી હોય કે ખોટી હોય, તો પણ તેની વિભાવનાને નજર અંદાજ તો કરી જ શકાય નહીં. આ જ લોકોમાં નિર્લિપ્ત રાયના મુદ્દે અલગ અભિપ્રાય પ્રવર્તતો હોય, અને નવા ડીઆઈજીનો અભિગમ હંમેશા લોકલક્ષી અને ગૂનેગારો, વ્યાજખોરો, ગુંડા તત્વો અને અસામાજીક તત્વો-બૂટલેગરો માટે અત્યંત કડક રહેશે, તેવા અનુમાનો થઈ રહ્યા હોય, ત્યારે એટલું જ કહી શકાય કે રાજકોટના નવા રેન્જ આઈજીના આ અભિગમની અસરો હાલારના બંને જિલ્લાઓમાં પણ અવશ્ય પડવાની જ છે, અને રાજકોટ રેન્જના બધા જિલ્લાઓમાં લેન્ડ ગ્રેબીંગ કરતા અને જમીન કૌભાંડો કરતા તત્વો પર પણ તવાઈ આવવાની પૂરેપૂરી સંભાવના છે.
રેન્જ આઈજીએ પોતાના પ્રવાસ દરમ્યાન જે જંગી દબાણો હટાવડાવ્યા, તેની પણ ચર્ચા થઈ રહી છે, અને ૧૩ વોન્ટેડ આરોપીઓ માટે ઈનામની જાહેરાત કરી તથા સત્તાવાર પ્રવાસ દરમ્યાન જે રીતે તંત્રોને દોડતા કર્યા, તેની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે, તો જામનગર જિલ્લાના આઠ પીએસઆઈની બદલીની પણ પોલીસબેડામાં ચર્ચા છે.
ગુજરાતમાં એક કહેવત છે કે "અમલદાર આરંભે સૂરા..." પરંતુ નિર્લિપ્ત રાયની અત્યાર સુધીની અમરેલી એસપીથી લઈને સ્ટેટ મોનિટરીંગ સેલ સહિતની નોંધપાત્ર કામગીરી જોતા તેઓ દિવસે દિવસે વધુને વધુ સક્રિય પણ બનતા જશે, તથા લોકપ્રિય પણ બનતા જશે, તેવો અંદાજ પોલીસતંત્રના જાણકાર વર્તુળોમાં થઈ રહ્યો છે, તો બીજી તરફ "આરંભે સૂરા"ની ઉક્તિને ખોટી ઠરાવીને રેન્જ આઈજીનું કાયમ માટે જનલક્ષી અને ઈમાનદાર અધિકારીની છાપ જાળવી રાખશે, તેવો આશાવાદ પણ લોક વ્યક્ત કરી રહ્યા છે.
વ્યાજખોરીના મૂળમાં જઈને લોકોને વ્યાજખોરો પાસે જવું જ ન પડે, તેવા ઉપાયો શોધીને અમલમાં મૂકવા પડે તેમ છે., જો વ્યાજખોરોની સામેની ઝુંબેશ ખરેખર બનાવવી જ હોય, તો પહેલા તો લોકોમાં વ્યાપેલા કોઈ "અદૃશ્ય" ડરનો માહોલ હટાવવો પડશે. અને સંભવિત ભ્રષ્ટ "સડા"ને પણ દૂર કરવો પડશે, અને માત્ર કાનૂની નહીં પરંતુ જનજાગૃતિના પ્રયાસો પણ વધારવા પડશે, તથા સંભવિત સાંઠગાંઠો તોડવી પડશે. લોકોને વ્યાજખોરો પાસે જવું જ ન પડે તેવા ઉપાયોની જરૂર છે.
ઘણાં લોકો કોઈ બીમારી, સંતાનોના લગ્ન કે ઉચ્ચ અભ્યાસ માટે ના છૂટકે ઊંચા વ્યાજદરે નાણા લઈને વ્યાજખોરોના વિષચક્રમાં ફસાતા હોય છે. આ પ્રકારના લોકોને જરૂર પડયે સરળતાથી નાની-મોટી ટૂંકા ગાળાની લોન મળી રહે, તેવી કોઈ યોજના સરકારે અને સમાજોએ શરૂ કરવી જોઈએ. બીજી તરફ ધંધાકીય સાહસ, ખોટ કે અન્ય ફાયનાન્સિયલ કારણોસર ઘણાં લોકો વ્યાજખોરોનો ભોગ બનતા હોય છે, જ્યારે ઘણાં લોકો વ્યાજખોરી, વિદેશ જવાની લાલચ કે રાતોરાત કમાઈ લેવાના ચક્કરમાં ફસાઈ જતા હોય છે. આ બધા માટે સરકાર, સમાજ અને પોલીસતંત્રે સાથે મળીને કોઈ નક્કર ઉપાયો કરવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial