Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વોર્ડ નં. ૬ માં હાલ તુરંત ડિમોલીશન સ્થગિત : સાંસદ પૂનમબેન માડમે કરી જાહેરાત

રેલવે તંત્રની નોટીસોના પ્રકરણમાં રેલવે તથા જિલ્લા તંત્ર સાથે ચર્ચા પછી લેવાયો નિર્ણય

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં વોર્ડ નં. ૬ મા દિગ્જામ સર્કલ પાસે હનુમાન ટેકરી અને આસપાસના વિસ્તારમાં રેલવેના ડબલ ટ્રેકના નિર્માણ કાર્ય માટે રેલવેની માલિકીની જગ્યા પરના કાચા-પાકા મકાનોના દબાણો તેમજ અન્ય જમીનો પરના બાંધકામો સ્વેચ્છાએ દૂર કરવા રેલવે વિભાગ દ્વારા સાત દિવસની નોટીસ આપવાના મુદ્દે અંતે સંસદસભ્ય પૂનમબેન માડમની સીધી દરમિયાનગીરીથી હાલ પૂરતો સુખદ અંત આવતા આ વિસ્તારના અસરકર્તાઓમાં આનંદ અને રાહતની લાગણી ફેલાઈ હતી.

રેલવે વિભાગની નોટીસોના પ્રશ્ને સાંસદ પૂનમબેન માડમે અસરકર્તાઓની રજૂઆત સાંભળીને સોમવારે જિલ્લા કલેક્ટર, મ્યુનિ. કમિશનરની ઉપસ્થિતિમાં રેલવેના અધિકારીઓ સાથે બેઠક યોજી યોગ્ય નિરાકરણ લાવવાની હૈયધારણા આપી હતી.

જેના પગલે ગઈકાલે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ પૂનમબેન માડમના જણાવ્યા પ્રમાણે રેલવે વિભાગે જે નોટીસો આપી છે તેમાં રેલવેની માલિકીની જમીનો સિવાય મહાનગરપાલિકા વિસ્તારની જમીનો પણ છે, તેમજ કેટલાંક રહેવાસીઓ પાસે જમીનની સનદો પણ છે. આથી આ નોટીસોમાં હદ-રેખા-દિશાના સૂચન અને કાયદાની કલમનો સ્પષ્ટ ઉલ્લેખ નહીં હોવાનું જણાયું છે.

સુપ્રિમ કોર્ટે પણ સમગ્ર દેશમાં રેલવેના વિકાસ કાર્યો માટે જમીન સંપાદન માટે અને દબાણો દૂર કરવા માટે ચોક્કસ દિશાનિર્દેશ જારી કર્યા છે તેને ધ્યાનમાં રાખીને જ રેલવે અને અન્ય તંત્રો કાર્યવાહી કરે તેવી નોંધ કરવામાં આવી હતી.

રેલવેના વિકાસ કામોને અટકાવી ન શકાય, પણ તે માટે રેલવે વિભાગે લોકોને માત્ર સાત દિવસનો સમય આપ્યો તે તદ્ન ગેરવ્યાજબી છે.

જામનગરમાં જે લોકોને નોટીસો આપવામાં આવી છે તેમાં મોટાભાગે ગરીબ પરિવારો વસવાટ કરે છે, જેથી અચાનક ઘરવિહોણા થઈ જવાનો ભય લાગ્યો હતો. આવી પરિસ્થિતિમાં રાતોરાત ક્યાં જવું જેવા પ્રશ્નો ઊભા થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

આ સંજોગોમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાલપૂરતું કોઈ ડીમોલીશન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આગામી દિવસોમાં રેલવે અને અન્ય સંબંધિત તંત્રો દ્વારા કમ-સે-કમ બેથી ત્રણ મહિનાનો સમય આપવામાં આવે અને શક્ય હોય ત્યાં સરકારી તંત્ર દ્વારા કમ-સે-કમ કામચલાઉ ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા આપીને જ જમીનો ખાલી કરાવાશે. તેમજ નોટીસો આપતી વેળાએ અસરકર્તા આસામીને વિશ્વાસમાં લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી હતી.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલા નિર્ણય/નિષ્કર્ષની જાહેરાત સાંસદ પૂનમબેન માડમે તેમના કાર્યાલયમાં એકતર થયેલા અસરગ્રસ્ત પરિવારો સમક્ષ કરતા તમામ લોકોએ હાલ પૂરતો સુખદ અંત આવ્યાની હાશકારાની લાગણી સાથે પૂનમબેનને ફૂલહાર કરી તેમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે આ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધીઓ, ભાજપ સંગઠનના હોદ્દેદારો, અસરકર્તાના વકીલ વિગેરે હાજર રહ્યા હતાં.

સાંસદ પૂનમબેન માડમે અંતમાં જણાવ્યું હતું કે, રેલવે વિભાગ દ્વારા હાલારના બન્ને જિલ્લામાં ખૂબ મોટ પાયે વિકાસ કામો થવાના છે તથા થઈ રહ્યા છે ત્યારે લોકોની સુવિધા અને વૈકલ્પિક વ્યવસ્થા વિગેરેને પ્રાથમિક્તા આપીને જ કામગીરી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh