Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હમણાં સોશિયલ મીડિયામાં ફરતા ફરતા એક વ્યક્તિની પોસ્ટ નજરે ચડી. ફિલ્મી અભિનેત્રી મલાઈકા અરોરાએ ત્રીજી વખત પ્રેમ કર્યાે, ત્રીજી વખત સંબંધમાં જોડાઈ એ બાબત અંગેની પોસ્ટ હતી. પોસ્ટમાં તે વ્યક્તિએ મલાઈકાને આ કાર્ય બદલ ખરાબ શબ્દમાં સંભળાવ્યું હતું. તે વ્યક્તિનું કહેવું હતું કે, 'આવી સ્ત્રીઓ સમાજને, અન્યના ઘરને બગાડે છે.. આવી સ્ત્રીઓ સમાજમાં રહેવાને લાયક નથી.. મારો સવાલ એ છે કે, શું મલાઈકાના જીવન પર ટિપ્પણી કરવાનો આપણને હક્ક છે..?
મલાઈકા અરોરા... પહેલાં લગ્ન ૧૮ વર્ષ ચાલ્યા, પછી બંને છૂટા પડ્યા, પછી બીજી વખત તેને પ્રેમ થયો, તેમાં પણ લોકો તરફથી ઘણી ટીકાઓ થઈ અને હવે એ બીજી વખતના પ્રેમ પછી તેમાંથી બ્રેકઅપ થતાં ત્રીજી વખત કોઈ સાથે તેનું નામ જોડાઈ ગયું, તેનું પોતાનું કહેવું એમ છે કે, 'તેની સાથે ગમે તે નામ જોડી દેવામાં આવે છે. તેનું અંગત જીવન મીડિયા માટે ચર્ચાનો વિષય બની ગયું છે. શું પ્રેમ એ કોઈ ગણિતની ફોર્મૂલા છે કે બે વખત નિષ્ફળ ગયા એટલે હવે બંધ કરી દેવાનું? મલાઈકા સેલિબ્રિટી છે એટલે તેની વ્યક્તિગત પસંદગી ચર્ચાનો વિષય બને છે, પણ પ્રશ્ન એ છે કે શું આપણને આ હક્ક છે..?
ફરી એકવાર ફિલ્મી અભિનેત્રીએ લગ્ન કર્યા, ફરી એકવાર સમાજે આંખો ફાડીને જોયું, ફરી એકવાર સ્ત્રીની જિંદગી જાહેર મિલકત બની ગઈ, ફરી એકવાર કોઈએ સ્ત્રીને પૂછ્યું નહી અને પોતાનો અભિપ્રાય આપી દીધો. પ્રશ્ન એ નથી કે અભિનેત્રીએ ત્રણ કે ચાર લગ્ન કર્યા, પ્રશ્ન એ છે કે સ્ત્રીના જીવન પર સમાજનો આ અઘોષિત હક્ક ક્યારે રદ્દ થશે? ઘણી વખત અખબાર ખોલતા એક ખબર નજરે ચડે કે અભિનેત્રીએ ફરીથી લગ્ન કર્યા.. અને પછી શરૂ થાય છે ટીવી ડિબેટ, વોટ્સએપ યુનિવર્સિટી, સોશિયલ મીડિયા અને પાનની દુકાને કે ચાની હોટલો પર ઊભેલા નૈતિકતાના મંત્રીઓની ટિપ્પણી...
સમાજની નજરે સ્ત્રીની સૌથી મોટી ભૂલ શું છે ખબર છે? લગ્ન તૂટ્યા એ ભૂલ નથી, પણ ભૂલ એ છે કે લગ્ન તૂટ્યા પછી પણ એ જીવતી રહી, ફરી ઊભી થઈ, ફરી ખુશ થવાની હિંમત કરી.. સ્ત્રી જો તૂટેલા લગ્ન પછી ચૂપચાપ શરમમાં જીવે, એકલી રહે, જીવનની સજા માનીને વિતાવે, બિચારી-બાપડી બનીને અન્યની દયા પર જીવે તો સમાજ સંતોષ અનુભવે છે. પણ જો એ કહે કે, મારે ફરી પ્રેમ કરવો છે, ફરી જીવન જીવવું છે, ફરી ખુશ રહેવું છે, ફરી લગ્ન કરવા છે. તો અચાનક સમાજનું બ્લડપ્રેશર વધી જાય છે. 'પુરૂષના ત્રણ લગ્ન એટલે અનુભવ' અને 'સ્ત્રીના ત્રણ લગ્ન એટલે ચરિત્ર હીનતા'... આ સમીકરણ સમાજમાં ચાલે છે. એક્ટર ત્રણ લગ્ન કરે તો લોકો કહેશે કે રોમેન્ટિક છે, ખુલ્લા દિલનો છે, મસ્ત લાઈફ, જીવી રહ્યો છે.' પણ આ જ રીતે એકટ્રેસ ત્રણ લગ્ન કરે તો લોકો કહેશે કે.. ખરાબ ચરિત્ર છે, લગ્નને મજાક બનાવે છે, સમાજને બગાડે છે.. અરે.. સમાજ અભિનેત્રીના લગ્નથી નહી, આપણી વિચારધારાથી બગડે છે. એક સીધો સવાલ એ કે, લગ્ન તૂટે તો પુરૂષ આઝાદ અને સ્ત્રી આરોપી... આવું કેમ! લગ્નમાં સ્ત્રીને સમજાવાય છે કે, થોડું સહન કરવું પડે, ઘર બચાવવું જોઈએ, બધાં ઘરમાં નાના મોટા ઝઘડા ચાલતા જ હોય... સ્ત્રી સહન કરે ત્યાં સુધી આદર્શ, પણ જ્યારે બહાર નીકળે તો અચાનક બધાં સંસ્કારના રક્ષક બની જાય છે. લગ્ન જો એટલા જ પવિત્ર હોય તો તૂટતી વખતે વાંક માત્ર સ્ત્રીનો જ કેમ? સામાન્ય સ્ત્રી બે-ત્રણ વખત લગ્ન કરે તો કદાચ કોઈ એટલી નોંધ ન લે અને નોંધ લેવાય તો પણ તેના ઘર, પરિવાર, આડોશી-પાડોશી પૂરતી જ... પણ કોઈ અભિનેત્રી લગ્ન કરે, તૂટેલા સંબંધના કાટમાળમાંથી જાતને ઊભી કરીને ફરીથી નવા સંબંધની ઈમારત ચણે, ફરીથી હસે, ખુશ થાય, આત્મવિશ્વાસથી ઊભી થાય ત્યારે એ વાત સમાજને ખટકે છે. સમાજને ખુશ રહેતી સ્ત્રી ખતરનાક લાગે છે, સ્વતંત્ર સ્ત્રી અસહ્ય લાગે છે. પોતાની શરતો પર જીવતી સ્ત્રી સમાજને અરીસ્સો બતાવે છે એ સમાજથી સહન નથી થતું.
અભિનેત્રીના લગ્ન પર પંચાત-ચોપાલ કરનાર મીડિયા મોટે મોટેથી તેનું જીવન, તેના જીવનની ઘટનાઓ, તેનો ભૂતકાળ, અંગત સંબંધો બતાવી બતાવીને કહેતા હોય છે કે લોકો જોઈ રહ્યા છે.. અભિનેત્રીના લગન એટલે જાણે કે મીડિયા માટે સમાચારનો મસાલો, હેડલાઈન લાઈવ ડિબેટ, ચરિત્ર વિશ્લેષણ... એવું કેટલુય... કેટલાય દિવસો સુધી ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા આ વિષય પર ચર્ચા કરતા રહે છે... તેનું જીવન દેખાડશે, તેના સંબંધો પર ચર્ચા કરશે, પણ કોઈ નહી પૂછે કે તે શું શું સહન કરીને આવી છે? તેણે કેટલા સમાધાન કર્યા છે? એ કેટલીવાર તૂટીને ઊભી થઈ છે? સોશિય્લ મીડિયા પર સ્ત્રીની-અભિનેત્રીની વાત નહી તેની શીરફાડ વેચાય છે, ડિબેટ થાય છે તેના ચરિત્ર ઉપર... પણ આપણને એ બોલવાનો શું હક્ક...?
આપણે એક વાત બહુ સહેલાઈથી ભૂલી જઈએ છીએ કે સેલિબ્રિટી જાહેર વ્યક્તિ છે, જાહેર મિલકત નથી. એ ફિલમ કરે છે એટલે તેની વ્યક્તિગત જિંદગી પર બોલવાનું આપણને લાયસન્સ છે એમ વિચારવું ગેરસમજ છે. આપણને સેલિબ્રિટીના જીવન પર, તેના અંગત સંબંધો પર બોલવું, વિચારવું, ચર્ચા કરવી ગમે છે, કારણ કે બીજાની જિંદગી પર વાત કરવામાં આપણને કદાચ આનંદ આવે છે અથવા તેની પાસે જે છે તે આપણી પાસે નથી એવી અધૂરૂપ તૂટતી દેખાય છે. અભિનેત્રીના લગ્નમાં આપણે સંખ્યા ગણીએ છીએ કે ત્રીજા લગન કે ચોથા લગ્ન... પણ આપણે એ ક્યારેય નથી ગણતા કે તેના સંબંધોમાં તેણે કેટલું સહન કર્યું? કેટલું સમાધાન કર્યું? સંબંધ ટકાવવા કેટલો પ્રયાસ કર્યાે? લગ્ન નિષ્ફળ જાય એટલે વ્યક્તિ નિષ્ફળ... તેને બીજીવાર પ્રયત્ન કરવાનો હક્ક નથી તેવું જ બધાં વિચારે છે. ખરેખર તો આપણે આવી ચર્ચા કરીને સમાજની ચિંતા કરીએ છીએ કે પછી મજા લઈએ છીએ? આવું કંઈક થાય... સમાજે ઠોકી બેસાડેલા રિવાજોથી અલગ કંઈક કોઈ કરે એટલે બધાને બોલવાનો હક્ક મળી જાય છે.
મારા મતથી કહું તો સંબંધ છૂપાવીને જીવવા વાળા કરતા સંબંધને જાહેરમાં અપનાવવાવાળા વધુ પવિત્ર છે. લેખની શરૂઆતમાં કહ્યું તેમ જે વ્યક્તિએ પોસ્ટ મૂકી કે મલાઈકા જેવી સ્ત્રીઓ સમાજ માટે ખતરો છે, એ વ્યક્તિને મારે પૂછવું છે કે શું તેણે પોતાના લગ્નજીવનમાં વફાદારી કરી છે? છાના છપના અફેર્સ, લગ્નતેર સંબંધો કરતા આવા ખુલ્લા મનથી સ્વીકારેલા સંબંધો વધુ સારા... અને છેલ્લે એટલું જ.. અભિનેત્રી ગમે તે કરે, તેની જિંદગી... આપતને બોલવાનો હક્ક શું..?
- દિપા સોની, જામનગર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial